જીવન પૂરક છે
જીવન પૂરક છે
સવાર અને સાંજ, દિવસ અને રાત એકબીજાના પૂરક છે. જીવનમાં દરેક, વ્યક્તિ હોય કે વસ્તુ એમનો પૂરક ભાગ અસ્તિત્વ ધરાવે જ છે. એકબીજાના પૂરક હોવાથી જ વસ્તુ હોય કે વ્યક્તિ પરિપૂર્ણ થાય છે. રાત્રે ચમકતા ચંદ્રની ચાંદનીની શીતળતાની ઠંડક ત્યારે જ મન સુધી પહોંચે, જ્યારે આપણે સૂરજની ગરમીનો અનુભવ કર્યો હોય.
જીવનને ફકત પ્રકાશ કે શીતળતા ક્યારેય પરિપૂર્ણ ન કરી શકે. બંનેનું સમાયોજન જ જીવનની સુંદરતાને વ્યાખ્યાયિત કરે છે. કંઈ કરવા માટે આગળ વધવા માટે મનમાં ધધકતી જ્વાળા હોવી જોઈએ, સૂરજની જેમ સમય પર પોતાનું કાર્ય શરૂ કરવાનું ઝનૂન હોવું જોઈએ. પ્રશંસા કે અવગણનાની ઉપરવટ જઈને પોતાનું કાર્ય કરવાની ક્ષમતા અને સમજ કેળવવી આપણને સૂરજ શીખવે છે.
શાંતિનો અનુભવ, રાત્રિના અંધકારમાં પણ સકારાત્મકતાનો ભાવ, અંધકારમાં ચમકતા તારાની સુંદરતા: આ બધું જ આપણે ફક્ત રાત્રે જોઈ શકીએ છીએ. આખા દિવસનો થાક ચંદ્રની શીતળતામાં શાંતિ અર્પે છે. સમય-સમય પર વધતા તેમજ ઘટતા રહેવું એટલે કે પોતાની ક્ષમતાઓને જરૂર મુજબ જ બહાર કાઢવી એ આપણને ચંદ્ર શીખવે છે.
રાત્રિનો અંધકાર ગમે તેટલો ગાઢ કેમ ન હોય; જો ધ્યાનથી જોઈએ તો તેમાં કોઈ ને કોઈ તારો ચમકતો દેખાય છે અને જો તેમાં ચંદ્રનો સાથ મળી જાય તો એ અંધકારની સુંદરતા સો ઘણી વધી જાય. જીવન પણ કંઈક આવી જ વૃત્તિ ધરાવે છે, તેથી દિવસ પછી રાત આવે છે અને સૂર્યના ઢળતા ચંદ્ર તેનો પ્રકાશ ફેલાવે છે. જીવન રોજ સવારે પોતાને નવી આશા સાથે પ્રજ્વલિત કરે છે અને રાત્રે અનુભવ સાથે ઢળાવે છે.