જાત મિલન
જાત મિલન
જગતની જંજાળમાં સુખી થવા કે સુખી કરવાની માયા મોહમાં માણસ પોતાની જાતને મળવાનું અને માણવાનું ભૂલી જાય છે. મોટે ભાગે માણસ નાનપણમાં મોટા ભાઈ/બહેન હોય તો નાનાને અને નાના હોય તો માટાને ખુશ રાખવા મથતાં હોય છે. ક્યારેક જાત પણ ભૂલી જવાય છે. આવી જ રીતે વયસ્ક થયાં પછી ઘર પરિવાર સગા સંબંધી સમાજ વગેરે વ્યવસ્થામાં વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાને મળી ન શકે તો જીવન આનંદથી વંચિત રહી જાય છે.
આ સમસ્યા હરકોઈની નથી પણ મોટા ભાગના લોકોની હશે! શું ખરેખર સમાજમાં તમારા થકી સઘળું ચાલે છે ? બધાંને તમે ખુશ કરી શકો છો ? વિચારો !
હા, તો તમને આત્મ સંતોષ હશે. ના, તો ભીતરમાં ગ્લાનિ. આ બધા વચ્ચે વ્યક્તિગત રીતે પોતાને પોતાનાથી કેટલો સંતોષ અને સહકાર છે? જાણવાં કોશિશ કરો, તો ક્યાંક વિસામો લેવાનું મન થાય અને આ વિશ્રામ એ જાત મિલન કે આત્મા તરફ પ્રયાણ બની જાય. જીવન મોહ અને માયાથી ગતિમાન છે. ન કે મારાથી. જ્યારે આ ભાવ સહજ બની વિસ્તરશે ત્યારે વ્યક્તિગત રીતે નિજ સાથે સંવાદ બંધાશે અને આત્મા તરફ સક્રિયતા વધશે. પછી આત્મ મિલન જાત મિલન પછી શક્ય બનશે. જીવન માં એક આનંદ આવશે અને સક્રિયતા વધશે.