ઈસ્ત્રી
ઈસ્ત્રી
પ્રેમ કરવો એ તમારા વશમાં હોય છે પણ પ્રેમ થવો ? ના, એ તો થઈ જાય છે. માણસથી, મકાનથી, કોઈ બે ઘડી પહેલાં મળેલા મહેમાનથી, કોઈના શબ્દોથી, કોઈની શરમથી અને કોઈના સર્વસ્વથી.. શરણમ એનું નામ, એને પ્રેમ થઈ ગયો હતો નૈસર્ગીની ચૂંદડીથી. નૈસર્ગી ત્રિવેદી, મુંબઈમાં માત્ર 1 મહિનાની ઈંટર્નશિપ કરવાં એણે 1 કરોડનો ફ્લેટ ખરીદી લીધો હતો. અને શરણમ ? એ તો હતો પેલાં ધોબીનો દીકરો. તેની ઔકાત શું હતી કે તે નૈસર્ગીને પ્રેમ કરી શકે ! અને તે પણ આ વાત સમજતો હતો.. પણ.. પણ..
આંખોથી પ્રેમ થાય એ આકર્ષણ હોય કદાચ;
અસ્તિત્વથી પ્રેમ થઈ જાય તો શું ?
ચહેરાની ચમક ગમે તો બને કે ચાહતમાં હોય કચાશ;
ચરિત્રથી પ્રેમ થઈ જાય તો શું ?
વાણીથી થયેલ વ્હાલ વહેમ હોય બની શકે;
વ્યક્તિત્વથી પ્રેમ થઈ જાય તો શું ?
સ્ત્રીથી સ્નેહ થાય તો સમજું કે કોઈ સ્વાર્થ હશે;
સ્ત્રીત્વથી પ્રેમ થઈ જાય તો શું ?
અને એટલે જ તેણે ક્યારેય નૈસર્ગીને આ વાત ન કરી. એની સાથે તે આંખો પણ ન મળાવી શકતો.. પણ દરેક ઘરમાં એક ચૂંદડી હોય છે જે ચૂંદડીમાં બાંધીને કપડાં ઈસ્ત્રી માટે મોકલાય છે. અને શરણમ માટે નૈસર્ગીની એ ચૂંદડી; મંદિરમાં બંધાતી માનતાની ચૂંદડી જેટલી મહત્વની હતી. તે રોજ રાત્રે આ ચૂંદડી ઓઢીને સુઈ જતો. ઘરમાં પણ કોઈને આ વાતની ખબર ન્હોતી, રોજ સવારે ચૂંદડી ફરી સંકેલાઈને એની જગ્યાએ મૂકાઈ જતી. કહેવાય છે ને કે.. "પ્યાર ઝૂકતા તો હૈ, મગર પ્યાર છૂપતા નહીં" નૈસર્ગીને પણ આની ખબર હતી.. અને એટલે જ તે રોજ કંઈક ને કંઈક ઈસ્ત્રી માટે મોકલતી. અરે સાવ ચોખ્ખા કપડાં પણ બેગમાંથી કાઢી કાઢીને એ ધોવામાં નાખતી. પણ સમયને જતા ક્યાં વાર લાગે છે ? એક મહીનો એક ઘડીની જેમ નીકળી ગયો અને નૈસર્ગી એ મુંબઈ છોડવું પડ્યું. નૈસર્ગીને શરણમથી પ્રેમ ન્હોતો, પણ એ તેના પ્રેમની કદર કરતી હતી. અને એટલે જ કદાચ તે એક દિવસ પેહલા જ મુંબઈ છોડી ગઈ અને રહી ગઈ શરણમ પાસે એ ચૂંદડી..
"મારી કબ્રનું કફન તારી ચૂંદડી,
મારી વાર્તામા કવન તારી ચૂંદડી..
એનાં એક-એક રેસામાં તારી હાજરી જણાય;
જાગરણનું બની ગઈ કારણ તારી ચૂંદડી.."

