ભગવાન વિષ્ણુનાં અવતાર
ભગવાન વિષ્ણુનાં અવતાર
આદિ-અનાદિ કાળથી પૃથ્વીનો જન્મ થયો ત્યારથી લઈને અત્યાર સુધી અનેકવાર જન્મ લેનાર પ્રભુ વિષ્ણુ ક્ષીરસાગરમાં બેઠા-બેઠા બધાના વિવિધ શ્રાપના નિવારણ માટે વિવિધ અવતાર ધારણ કર્યા.
પ્રભુ શ્રી વિષ્ણુનું જ એક એવા ભગવાન છે, જેમણે અત્યાર સુધી દસ અવતાર ધારણ કર્યા. દરેક જન્મ ધારણ કરવાનો હેતુ અને તેમનું કાર્ય એમને ખબર હતી,તેઓ કયા કારણસર અવતાર લેવાના છે. તેમણે કેવી લીલા કરવાની છે, અને ક્યારેય એમણે લીલા સંકેલી પાછા જવાનું છે. બધું જ તે જાણતા હતાં.
અહીં નીચે પ્રમાણે જણાવેલ વારાફરતી વિવિધ અવતારો તેમણે લીધેલા છે.
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ જગતપાલક માનવામાં આવે છે. ધર્મની રક્ષા માટે હિન્દૂ ધર્મ ગ્રંથ શ્રીમદ્ભાગવતપુરાણ અનુસાર સતયુગથી લઈને કલિયુગ સુધી ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા છે, જેમાં દસ મુખ્ય અવતાર છે અને બાકીના અંશાવતાર છે. જે માત્ર કોઈ કામ માટે અવતરીને કામ પૂરું કરી તરત અદ્રશ્ય થઈ જાય તેને અંશાવતાર કહે છે.
(1) મત્સ્ય અવતાર – જ્યારે પ્રલય થઈ રહ્યો હતો ત્યારે તેમાંથી સત્ કર્મિઓને બચાવવા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો.
(2) કૂર્મઅવતાર – જ્યારે દેવો અને દાનવો સમુદ્રમંથન કર્યું હતું ત્યારે પર્વત ફરી શકે તે માટે કૂર્મ અવતાર લીધો હતો.
(3) વરાહ અવતાર – હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે પૃથ્વી વરાહ ભગવાનના દાંત પર સલામત રૂપે રહેલી છે. પ્રલય કાળે પૃથ્વીને બચાવવા માટે આ અવતાર લીધો હતો.
(4) નરસિંહ અવતાર – અડધુ શરીર ‘નર’-માણસનું અને અડધું ‘સિંહ’નું ધારણ કરી અને પોતાના ભક્ત પ્રહ્લાદને બચાવ્યો અને હિરણાકશ્યપનો સંહાર કર્યો હતો.
(5) વામન અવતાર – ઠીંગણા બ્રાહ્મણ વેશ ધરી અને બલિ રાજા પાસેથી ત્રણ વેત જમીન માપી સમગ્ર પૃથ્વી-પાતાળ-સ્વર્ગ છોડાવ્યું.
(6) પરશુરામ અવતાર – બ્રાહ્મણના રૂપે જન્મેલ યોદ્ધાના અવતારમાં તેણે પાપી, દુરાચારી રાજાઓનો સંહાર કર્યો.
(7) શ્રીરામ અવતાર – મર્યાદા પુરુષોત્તમના રૂપે જન્મ લઈ અને અનેક પ્રાણીને મોક્ષ આપતા રાવણનો ઉદ્ધાર કર્યો.
(8) શ્રીકૃષ્ણ અવતાર – 16 કલાઓના પૂર્ણ અવતાર રૂપ જીવનની ઘણી સમજ સાથે સમાજને શિક્ષા આપી કંસ ઉદ્ધાર અને કૌરવોના સંહારમાં કારણભૂત થઈ પ્રેમતત્વ રૂપે સ્થાપિત થયા.
(9) બુદ્ધ અવતાર – ક્ષમા, શીલ અને શાંતિના રૂપે અવતાર લઈ અને સંસારને શાંતિનો માર્ગ બતાવ્યો.
(10) કલ્કી અવતાર – આ અવતાર કલિયુગના અંતમાં થનાર છે તેવી ભવિષ્યવાણી શાસ્ત્રોએ કરી છે. અને અવતાર ધરી સૃષ્ટિનો સંહાર કરશે.
આમ તેમણે મુખ્ય દસ અવતાર લીધા બાકી બીજા ઘણા અવતાર હતા તેમની લીલાઓનો પાર નથી સહુની તમામ મનોકામના પૂરી કરવા માટે વારંવાર પૃથ્વી પર જન્મ લીધો આજનો માનવ અને જીવન કેવી રીતે જીવવું માનવ જીવન માટે જરૂરી છે. પ્રેમ, આત્મીયતા, ફરજ, ભાવનાઓ, માતૃપ્રેમ, પિતૃપ્રેમ, મિત્રતા, ગુરુ, શિષ્ય, રાજાનું કર્તવ્ય, ન્યાયપ્રિયતા, શૌર્ય, બલિદાન, સત્ય વચનની લાજ, ધર્મપરાયણતા, એવા તો કેટલાય બોધપાઠ એમણે જાતે આપણને અવતાર ધારણ કરીને અગણિત કષ્ટ વેઠીને માનવજાતિને એમણે ઉદાહરણ પૂરા પાડ્યા છે. એમના દરેક અવતાર પાછળ એક ચોક્કસ હેતુ, ધ્યેય, કારણ છુપાયેલું હતું. દરેક અવતાર પાછળ કોઈને કોઈ મોટા અનિષ્ટ તત્વોને નાશ કરીને આપણી પૃથ્વીને તેના પંજામાંથી છોડાવવાની હતી.
આમ જ્યારે પણ આ ધરતી પર જેણે ખરાબ નજર કરી છે, તેને બચાવવા પ્રભુ વિષ્ણુએ અવતાર ધારણ કર્યો છે, અને હવે કળિયુગમાં કલ્કી અવતાર લેશે.