“અપના હાથ જગન્નાથ.”
“અપના હાથ જગન્નાથ.”
“અપણા હાથ જગન્નાથ.”
સુમનભાઈના અકાળે મૃત્યુ પછી, ભાંગી પડેલી પુષ્પા થોડો વખત સાસરીમાં રહી. પણ બધું કેટલો વખત ? પુષ્પાની આંગળીએ છાયા અને માયા બે નાની દિકરીઓ પણ તો હતી. માથે છત્ર વગરની, અપમાન અને ઠેબા ખાતી પુષ્પાની આંખમાં આંસુ અને ઓશિયાળાપણું જોતા, જમાનાના પારખુ સસરાજી સમજી ગયા. ને મનોમન નિર્ણય લઈ, તેમણે સાંજે જમી રહ્યા પછી ઘરના બધા સભ્યોને ભેગા કર્યા.
“પુષ્પાવહુ, આપણું કામ આપણે જ કરવું પડે છે. જેમ કોઈ કોળિયો તૈયાર કરે, ભરાવે, પણ ચાવવું અને પચાવવું તો આપણે જ પડે છે. તેમ તમારે તો હવે તમારો કોળિયો, તમારે પોતે પેદા પણ કરવાનો છે. સ્વહસ્તે પરસેવો પાડીને કમાયેલું ધન, એમાથી મેળવેલું ધાન જ આપણને પચે. સમજાય છે ને તમને બધાને ? મેં નક્કી કરી લીધું છે, આપણું મેડીવાળુ બંધ પડેલું ઘર તૈયાર કરાવી રાખ્યું છે. તમે ત્યાં રહો, ને તમારી આવડત પ્રમાણે તમારું ઘર ચલાવો. હા, તમને મહિને ખર્ચીના પૈસા મળી જશે. આપણે સહુ વારે તહેવારે મળશું, ને આવતા જતા પણ રહેશું.” ઘરના મોભીનો કડક અને સાફ શબ્દમાં કહેવાયેલો હુકમ ઘરના ન કોઈ ટાળી શક્યા કે ન સામો સવાલ કરી શક્યા.
શું કરવું ? કેમ કરવું ? કેમ નીકળશે એકલા આ ભવ ? અસમંજસમાં પુષ્પાને જોઈને બાપુજી સધીયારો આપતા બોલ્યા,-
“વહુ, એક ઈશ્વરમાં, અને બીજો પોતાના હાથમાં વિશ્વાસ રાખજો. નસીબની રેખાઓ પણ હાથમાં જ હોય છે ને. અને એને બદલાવાની ક્ષમતા બાવડામાં હોય છે. મારા પર વિશ્વાસ રાખો. સહુ સારા વાના થશે.” સસરાજીના શબ્દો હિંમત પ્રેરક તો હતા, પણ કેવી રીતે થશે બધું ? પુષ્પાને એ નહોતું સમજાતું. તેનું મગજ સુન્ન થઈ ગયું હતું. એણે પોતાની જાતને નસીબને હવાલે કરી દીધી. ને બે દિવસમાં તો પુષ્પા બન્ને દિકરી અને થોડી ઘરવખરીનો સામાન લઈ પોતાના નવા ઘરે આવી ગઈ. બે-પાંચ દિવસ તો બધું ગોઠવવામાં ને સેટ થવામાં પસાર થઈ ગયા.
“પુષ્પાવહુ, કાલે મારા સાત આઠ મિત્રો જાત્રાએ જવાના છે, તો થોડા થેપલા, શાક ને ગોળપાપડી બનાવી આપજો. તમારા હાથની ગોળપાપડી તો બહુ સરસ ને પોચી થાય છે. અને આ સો રૂપિયા તમારી મહેનત ને સીધું સામાનના.” સસરાજીએ પુષ્પાની ગાડી પાટે ચડાવાનું બીડું જો ઝડપ્યું હતું તે. મનમાં સારી ભાવના હોય તો અંજામ સારો જ આવે. ધીમે ધીમે એક મોઢેથી બીજે મોઢે, પુષ્પાના હાથની ને જીભની મિઠાશ, ને કામની ધગશ ફરવા લાગી. પુષ્પાને પણ આ કામ ગમવા લાગ્યું. હાથમાં મહેનતના, પરસેવાની કમાણીના પૈસા આવવા લાગ્યા તેમ તેની હિંમત પણ વધવા લાગી. કામ કામને શીખવે તેમ નવા ઓર્ડર, નવું કામ ઘરે બેઠા જ પુષ્પાને મળવા લાગ્યું. દીકરીઓ પણ મોટી થતા હાથવાટકો થઈ ગઈ. પછી તો કામ વધતા પુષ્પાએ પોતાના જેવી એકલી અને જરૂરીયાતમંદ દસ-બાર સ્ત્રીઓને કામે રાખી તેમને પણ પગભર કરી. ઘરમાં એક નાનું ગૃહઉદ્યોગ જ શરૂ થઈ ગયું. અથાણા, પાપડ, નાસ્તા ને સવાર સાંજના જમવાના ટીફીન પણ પુષ્પાનું મંડળ ‘પુષ્પ મિલન‘માંથી જવાનું શરૂ થઈ ગયું.
ગામમાં પુષ્પાના કામની નોંધ લેવાણી. જ્ઞાતિના સ્નેહમિલનના મેળાવડામાં અતિથિ વિશેષે તેનું બહુમાન કરી તેને ‘સ્વયંસિદ્ધા‘ નું બિરદ આપ્યું. ત્યારે પુષ્પાને સંદેશાના બે શબ્દ બોલવાનું કહ્યું. સંકોચાતી પુષ્પા, જે અત્યાર સુધી હાથ ચલાવતી હતી, તેણે પહેલી વાર જીભ ચલાવી.
“આપણા હાથ જ જગન્નાથ છે, તેથી જ કદાચ હાથે કરેલા કાર્યને સત્કાર્ય કહેવાતું હશે. મારા આ કામ કરતા હાથને લીધે જ હું આજે પગભર છું. બીજાના તુંબડે કદી તરાય નહીં. આ વાત બાપુજીએ મને બરાબર સમજાવી, ને હું અહીં સુધી પહોંચી શકી. તે માટે મારા પહેલા વંદન બાપુજીને. ને પછી બીજા વંદન ઈશ્વરને,
‘ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ.
બહુ દઈ દીધું નાથ ! જા ચોથું નથી માંગવું.’
આ સાથે જ તાળીઓના ગડગડાટથી સહુએ પુષ્પાને વધાવી લીધી. સ્ટેજ પરથી નીચે ઉતરીને પુષ્પાએ સૌથી પહેલા સજળ આંખોએ, ટટ્ટાર બેસેલા સસરાજીના ચરણ સ્પર્શ કર્યા.
