અકળ કર્મનો સિદ્ધાંત
અકળ કર્મનો સિદ્ધાંત
એક સવાલ પૂછું કે માનતા માનવાથી મનોકામના પુરી થાય ?
આ શ્રધ્ધા છે કે અંધશ્રધ્ધા ?
મારાં મંતવ્ય મુજબ.
જો માનતા માની લેવાથી દરેકની મનોકામનાઓ પુરી થઈ જતી હોય તો તો આ દુનિયામાં કોઈ પણ સમસ્યાઓ હોય જ નહીં.
કોઈ દુઃખ કે તકલીફ પણ ન હોય.. ઈશ્વરે સૃષ્ટિ સર્જી ત્યારે જ માણસને અને દરેક જીવને કર્મ એવું ફળ એ સિધ્ધાંત અફળ છે એ નિયમો પર જ સૃષ્ટિની રચના કરી હતી. ઈશ્વરને આપણી પાસેથી કશુંજ નથી જોઈતું. ભગવાન તો ફકત આપવામાં જ સમજે છે.. તેમની પાસે આપણાં પાપ-પુણ્યનો ( કર્મોનો ) પુરો હિસાબ હોય જ છે અને તેના પ્રમાણે આપણી જિંદગીમાં સુખ-દુઃખ આવ્યા કરે છે. સર્જનહારે દરેક વસ્તુનું સર્જન કર્મની ગોઠવણ થકી કરી છે.. તેને માટે એક દાખલો જે બધાંજ જાણતાં હશે. એક્વાર એક માણસ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા રસ્તામાં તે થાકી ગયો. તેને થયું કે લાવ થોડોક આરામ કરી લઉં. ત્યાં એક મોટું ઘટાદાર વડનું ઝાડ દેખાયું. તે વડના ઝાડ નીચે લાંબો થઈને સુતો..
સુતાં સુતાં તેને વિચાર આવ્યો કે ઈશ્વરે પણ કમાલ કરી આવડાં મોટા વડનાં ઝાડ ઉપર સાવ નાનાં નાનાં ટેટા ઉગાડયા અને આવડાં મોટા તરબૂચને જમીન પર વેલા ઉપર ઉગાડયાં. તે મનોમન ઈશ્વની આ રચના ઉપર હસતો હતો. ત્યાંજ વડનાં ઝાડ ઉપરથી એક ટેટો તેના માથા ઉપર પડ્યો અને એ ઝબકી ગયો. તેને વિચાર આવ્યો કે ઈશ્વરે બધુંજ બરાબર કર્યું છે ટેટાની જગ્યાએ તરબૂચ આ ઝાડ ઉપર હોત તો ?
આ તો થઈ ભગવાનની રચનાની વાત, પરંતુ આપણે વાત હતી કર્મનાં સિદ્ધાંત અફળ છે અને એ પ્રમાણે જ આપણને એ ફળ આપીને છોડે છે.
ધારોકે કોઈ વ્યક્તિ કર્મ ખોટાં કરે પણ ભક્તિ અને દાન પૂજન કરતાં હોય તો જે દિવસ પુણ્ય ઘટી જાય એટલે જે ખરાબ કર્મો કર્યા હોય એનું ફળ મળશે.
આપણાં સૌને જયારે જયારે તકલીફ આવે છે ત્યારે જ ભગવાન યાદ આવે છે અને આપણી તકલીફ દૂર થાય એ માટે તે ભગવાનને પ્રાર્થના કરીએ છે.. અને ઘણાંખરાં લોકો માનતા માની લે છે. માનતા માનવાથી એક વાત છે કે એક માનસિક રાહતનો અનુભવ થાય છે કે હવે આપણી તકલીફ દૂર થઈ જશે, પરંતુ આપણે વિચારવા તૈયાર જ નથી કે જે તકલીફ આવી છે તે શા માટે આવી છે ?
કોઈ પોતાનાં કર્મ વિશે વિચારવા તૈયાર જ નથી. કારણકે કોઈ એવું કબૂલવા તૈયાર નથી કે આગલાં જન્મમાં કોઈ કર્મ ખરાબ થયું હોય ?
બધાં એમજ કહે હું તો કોઈનું અહિત કરું જ નહીં. પણ જો મનમાં ક્ષણિક વિચાર આવ્યો કે આનું અહિત થાય તો એ કર્મ છે જે આપણને પાછું આવી મળે છે.. કોઈ જગ્યાએ મેં વાચ્યું છે એ દ્રષ્ટાંત તમને કહું .
મહાભારતમાં જ્યારે ૧૦૦ કૌરવો મરી ગયા પછી ધ્રુતરાષ્ટે ભગવાન શ્રી કૃષ્ણને પુછ્યું કે "હે કૃષ્ણ ! મને આ સજા કેવી મળી કે હું આ જન્મમાં આંધળો થયો અને મારાં સો સો દીકરા એક સાથે મારી હયાતીમાં જ મૃત્યુ પામ્યા ?". ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપ્યો કે "હે ધ્રુતરાષ્ટ, તું તારાં એક જન્મમાં શિકારી હતો અને તે એકવાર કબૂતરો ચણતાં હતા તેમના ઉપર સળગતી જાળી નાંખી હતી જેને લીધે કેટલાંય કબૂતરો આંધળા થઈ ગયા હતાં અને સો કબૂતરો એકસાથે મરી ગયા હતાં તારાં એ કર્મનું ફળ તારે આ જન્મમાં ભોગવવાનું હતું માટે તું આ જનમમાં આંધળો થયો અને તારા સો સો દીકરા એક સાથે મૃત્યુ પામ્યા".
કહેવાનું તાત્પર્ય એટલુંજ છે કે આપણાં સારા કે નરસા કર્મોનાં ફળ ભોગવ્યેજ છૂટકો છે. કદાચ અત્યારના આપણે સુખ ભોગવતાં હશું તો કોઈ આપણાં સારા કર્મોનું ફળ ભોગવતા હશું અને જયારે દુઃખ કે મુશ્કેલી આવે ત્યારે જરૂરથી માનવું કે આપણાં કોઈ ખરાબ કર્મોનું ફળ આપણને મળ્યું છે. હું પોતે કર્મનાં સિદ્ધાંત ને બહું માનું છું. નાનપણમાં હું બહુ તોફાની હતી. ગામડામાં રહેતા હતા. રંગબેરંગી પતંગિયા ફૂલો પર બેસે એને પકડીને કોઈની પાંખ છૂટી કરી દેતી અથવા કમરથી એને વાળી દેતી બિચારું અધમૂવા થઈ જાય મારાં પિતાએ મને સમજાયું પછી મેં બંધ કરી દીધું કોઈ જીવજંતુ ને હું નુકસાન નહોતી કરતી. પણ આજે એ જ ખરાબ કર્મ પાંત્રીસ વર્ષ પછી મને કમરથી તોડી નાંખી છે અને પગ પણ જોઈએ એવાં કામ નથી કરતા આ કર્મનો સિદ્ધાંત છે.
હવે હું હંમેશા બધાંને સારાં કર્મો કરવા સમજાવું છું કોઈને માટે કાંઇજ ખરાબ વિચારીશું પણ નહીં. આપણે સારાં કર્મો કરીએ તો તેનું ફળ અવશ્ય સારુંજ મળશે.. માટે કોઈનું સારું ન કરી શકીએ તો કાંઈ નહીં પરંતુ ખરાબ તો કયારેય ન કરવું.
સુખ આવશે તો એ પણ ચાલ્યું જવાનું છે અને દુઃખ પણ જયારે આવશે તો એ પણ ચાલ્યું જવાનું છે. સમય હંમેશા પરિવર્તિત છે.. એટલે જ સારાં કર્મો કરતાં રહો. માનવ ધર્મથી મહાન કોઈ ધર્મ નથી. ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તેનો આભાર માની પુણ્યનું ભાથું બાંધીએ.. જે આ લોક અને પરલોકમાં સાથે આવશે. આપણાં કર્મો થકી જ આપણી નામનાં થશે.. માટે જ કર્મનાં સિદ્ધાંત ને સમજીને જિંદગી જીવીએ અને બીજાને જીવવા દઈએ.
