સંગીત
સંગીત
1 min
251
જીવનનો એક અધ્યાય છે સંગીત,
જિંદગીનો એક પર્યાય છે સંગીત,
સામવેદ બની વેદોમાં વસનારું જે,
રાગરાગિણીમાં સમાય છે સંગીત,
હૃદયના તારને ઝણઝણાવતું સદા,
સપ્તસૂરે હંમેશાં વખણાય છે સંગીત,
હાલરડાંથી મરશિયા સુધી દેખાતું,
નટરાજની કૃપાથી વરતાય છે સંગીત,
સમય સમય પર સૂર હો બદલતા,
પ્રકૃતિમાં નજરથી પરખાય છે સંગીત,
વસંતે બહારને વર્ષામાં મેઘમલ્હાર,
ૠતુ મુજબ વળી ગવાય છે સંગીત,
ક્યાંક ભક્તિ સંગાથે હોય અડીખમ,
નરસિંહના કેદારે સમજાય છે સંગીત,
હેત હરિ પ્રત્યેનું સૂરોમાંથી ઊભરાતું,
મીરાંની ભૈરવીમાં સંકળાય છે સંગીત,
વિવિધ રોગોના ઉપચાર પણ શક્ય છે,
તનમનની તંદુરસ્તી બની જાય છે સંગીત.