શબ્દોની દુનિયામાં...
શબ્દોની દુનિયામાં...
હું દિલથી સાચો હતો,
પણ વાણીથી કાચો હતો,
હું દુનિયાને સમઝાવતો એક,
અને દુનિયા મને સમજતી એક,
મંત્રાક્ષરમાં પણ તાકાત છે,
અને શબ્દોમાં પણ જાદુ છે,
એટલેજ
પથ્થરની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને,
મરતા મરતા જીવને પણ સમાધિ પ્રાપ્ત થાય છે!
શબ્દોની દુનિયા કેવી વિસ્મયકારક છે,
માંગલિકના શબ્દોનું મંગલ મૌન થઈ વધે છે!
જીવનની આ યાત્રામાં,
અનેક યાત્રિકોની યાત્રા ચાલુ છે.
મનભૂમિ પર જન્મેલા શબ્દો,
જીભડા સુધી પહોંચતા,
ખબર નઈ કેમ પણ એના,
સ્વરુપ બદલાઈ જાય છે.
પછી નો પ્રવાસ તો આખોની,
પલકારામાં પતી જાય છે.
જીભથી કર્ણ સુધીની યાત્રા તો,
વીજળી વેગે પોહોંચી જાય છે!
પણ પછી આવે છે એક કઠોર પ્રવાસ
કર્ણથી મનસુધીનો.
અને ફરી એક વાર અક્ષરોનું,
વિચારો સાથે સખ્ખત ઘર્ષણ થાય છે,
અને ફરી એક વાર એના સ્વરૂપ બદલાઈ જાય છે !
મનની વાત મનસુધી પહોચેજ ક્યાં છે !
એટલેજ
મનથી મનનું અંતર હજ્જાર મણનું થઈ જાય છે,
અને એટલેજ ક્યારે ક્યારે,
મનની મનમાંજ રહી જાય છે.
હું એમ નથી માનતો કે નથી કહેતો,
કે આ બધાનો ગુન્હેગાર અક્ષર છે,
અક્ષર અક્ષર તો અક્ષતથી વધાવવા યોગ્ય છે,
પણ મોક્ષ આપવા સમર્થ નથી.
મોક્ષ તો અક્ષરની ઉંડા દરિયામાં,
રહેલા ભાવોના મોતી મળે તો મળશે,
અક્ષર અને ભાવ એમ ફેર એટલોજ છે કે
પ્રભુ માટે 'સવી જીવ કરું શાસનરસી' એક ભાવ હતો
અને આપણ માટે એ એક વાણી છે.
અને એટલે જ
પ્રભુ મોતીડાં લઇ ગયા ને
આપણે દરિયો ડૂબી ગયા.