નથી મળતા હરિ
નથી મળતા હરિ
માત્ર મંદિરે જવાથી નથી મળતા હરિ.
માત્ર ભગવાં ધરવાથી નથી મળતા હરિ.
સર્વવ્યાપી છે સર્વેશ્વર સર્વત્ર વસતા,
માત્ર મૂર્તિમાં જોવાથી નથી મળતા હરિ.
અંતર આપણું એનામાં પરોવવું જરૂરી,
માત્ર દેખાવ કરવાથી નથી મળતા હરિ.
જનેજનમાં હાજર છે હરિવર સદાએ,
માત્ર તીરથ જવાથી નથી મળતા હરિ.
આચરણમાં શુધ્ધતા હોવી અનિવાર્ય,
માત્ર તોતારટણથી નથી મળતા હરિ.
'હું' મેલીને હરિ સુધી જવાનું નકકી,
માત્ર દાનપુણ્ય થકી નથી મળતા હરિ.