દરકાર
દરકાર
સાંજના સમયે સાગર કિનારે બેઠેલા એક ગર્ભશ્રીમંત એવા દીનાનાથને જોઈ દૂર ઉભેલા એક પત્રકાર વિનોદને તેમની મુલાકાત લેવાનું સુઝ્યું. કિનારે ભેગા થયેલા સાગરના પાણીથી પોતાના પાયજામાને પલળતા બચાવવા વિનોદે તેને નીચેથી સહેજ વાળ્યો. હવે, ધીમે પગલે અને ખુદને પાણીથી સાચવતા એ દીનાનાથની નજીક આવ્યો અને તેમને પૂછ્યું, “સાહેબ, તમે આ સાગર કિનારે આવીને કેમ આમ એકલા એકલા બેઠા છો?”
દીનાનાથે જવાબ આપ્યો, “જયારે પણ મારા મનમાં લોભ, લાલચ અને અંહકારનું નિર્માણ થાય છે ત્યારે હું આ સાગર કિનારે આવીને બેસું છું.”
પત્રકાર વિનોદે નવાઈ પામતા પૂછ્યું, “પણ કેમ?”
દીનાનાથે કહ્યું, “કારણ... આથમતી સાંજે દરિયાના પાણી પર થતા સૂર્યાસ્તને જોઇને મને એ વાસ્તવિકતાનું ભાન થાય છે કે આ દુનિયામાં કોઈ સર્વસ્વ નથી! આ વિશાળ દરિયો મને એ હકીકતથી વાકેફ કરાવે છે કે કુદરત આગળ મનુષ્ય કેટલો વામણો અને લાચાર છે. જો આજે આપણે આપણા ધંધા વ્યવસાયને લઈને કુદરત તરફ બેદરકારી દાખવીશું ત્યારે કાલે તે આપણી જરાયે દરકાર નહીં રાખે અને એવા સંજોગોમાં આપણે ગમે તેટલી તકેદારીઓ લઈશું તો પણ પોતાની જાતને કુદરતના કહરથી બચાવી નહીં શકીએ.”
દીનાનાથ દરિયાના પાણી પરથી થઇ રહેલા ચંદ્રોદયને નિહાળવામાં મશગુલ થઇ ગયા. વિચારોમાં ગરકાવ પત્રકાર વિનોદ ત્યાંથી રવાના થઇ જ રહ્યો હતો ત્યાં ઉછળતા એક મોજાથી તેને આખો ભીંજવી ગયો એ સાગર.
(સમાપ્ત)