તનની દોલત તંદુરસ્તી
તનની દોલત તંદુરસ્તી
વર્ષો પહેલાંનાં સમયમાં લોકોનું જીવન સાદું હતું. એમાં મુખ્ય બે વર્ગ હતા એક અમીર વર્ગ અને બીજો ગરીબ વર્ગ. અમીર વર્ગ મોટાભાગે ગરીબ વર્ગનો શોષણ કરતો. .અને એશ-આરામની જિંદગી જીવતો. નોકર-ચાકર અને બેઠાડું જીવનના લીધે અમીર વર્ગના શેઠ-શેઠાણીઓના શરીર ગોળ મટોળ થઈ જતાં. કોઈપણ શેઠનું નામ કાને પડતાં તેનું ગોળમટોળ શરીર આંખો સામે તરી આવે. તો સામે પક્ષે ગરીબ વર્ગના સ્ત્રી પુરુષો ખેતી અને મજૂરી કરતાં. તેમનો ખોરાક સાદો અને કુદરતી હતો એટલે એમનો બાંધો સુડોળ અને મજબૂત રહેતો. ઘરના વલોવેલા ધી છાશ અને માખણથી શરીરનું સૌષ્ઠવ જળવાઈ રહેતું. વળી છાશ વલોવવાથી માંડીને દળણું દળાવવા સુધીના તમામ જાતે કરવા પડતા તેના કારણે સ્ત્રીઓને કસરત થઈ જતી. વળી ગામડાની સ્ત્રીઓ દૂર દૂર પાણીના બેડાં ભરવા ખુલ્લા પગે જતી. એટલે તેમને કસરત અને એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ મળી રહેતી. અમીર વર્ગની સ્ત્રીઓના સુખી જીવનના ધોરણના લીધે તેમના શરીર બેડોળ અને જાડા થઈ જતાં. એ સમયે તો જાડાપણું એ અમીર હોવાની નિશાની ગણાતું. જ્યારે એ સ્થૂળ કાયામાં કોઈ રોગ ઘર કરી જાય તો તેને ગરીબોના નિસાસા પડ્યા કે વળી કોઈ દેવનો કોપ થયો છે એવી અંધશ્રદ્ધામાં મૃત્યુ થતું.
હવે વિજ્ઞાનનો આધુનિક ટેકનોલોજીનો યુગ આવ્યો છે એટલે તમામ લોકોનું જીવનધોરણ બદલાઈ ગયું છે. અને ફરી પાછું એવું જ બેઠાડું જીવન શરૂ થયું છે. કોમ્પ્યુટર અને લેપટોપ પર કલાકો સુધી કામ કરવામાં શરીર વધતું જાય છે અને ફાંદ બહાર નીકળતી જાય છે. અતિ વ્યસ્તતાને કારણે લોકો ઘરકામ પણ જાતે કરતા નથી. આની અવળી અસર સૌની તંદુરસ્તી પર પડવા લાગી છે. બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બીમારીઓ તો હવે સામાન્ય થઈ ગઈ છે. અને બીજો પક્ષ એવો પણ છે કે જે સુંદર દેખાવાની લ્હાયમાં અને ઝીરો ફિગરની ઘેલછામાં પૂરતા પોષક તત્વો પણ લેતો નથી. અને અનેક રોગોનો ભોગ બને છે. કુપોષણનો શિકાર પણ આજના યુગની મોંઘવારીના કારણે ઘણા બાળકો બને છે. લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવા માટે આળસ છોડી અને શારીરિક શ્રમ કરવો જરૂરી છે. સાથે સાથે સંતુલિત આહાર પણ ખૂબ જ જરૂરી છે. ફાસ્ટ ફૂડ અને તીખા મસાલેદાર ચટપટા બહારના નાસ્તાઓ છોડીને ઘરનું સાદું ભોજન લેવામાં આવે અને સાથે સાથે ઘરના તમામ કામ જાતે કરવામાં આવે તો શરીર ચોક્કસ પણે સુડોળ બને છે. અને પરિણામે ઘણી બધી બીમારીઓ દૂર ભાગે છે. આથી શરીર ઉતારવાના તાત્કાલિક નુસખાઓ કે દવાઓ અપનાવવાના બદલે પહેલાંના સમયના ગામડાના લોકો જેવું જીવન અપનાવવામાં આવે તો શરીરમાં કોઈ રોગ પ્રવેશી ના શકે અને જીમ જવાની કે ડાયટ પ્લાન નો અમલ કરવાની જરૂર પણ રહે નહીં. આપણા જીવનની ખરી દોલત તો તંદુરસ્તી છે અને આ તંદુરસ્તી શરીર બેડોળ હોય તો ટકતી નથી. એટલે કહેવાય છે ને કે," પેટ બહાર તો રોગ અંદર અને પેટ અંદર તો રોગ બહાર."
