સ્વતંત્રતાનો અનુભવ
સ્વતંત્રતાનો અનુભવ
ઉપરોક્ત વિષયવસ્તુ અંતર્ગત સ્વતંત્ર વિચારોમાં મારી વાત શરૂ કરું તો,'મહાત્મા ગાંધીજી કહી ગયા છે કે, જ્યાં સ્વતંત્રતામાં ભૂલોનો સ્વીકાર માત્ર સજા સ્વરૂપે જોવાતો હોય તો એ સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય નથી'.
હું મારા વિચારોના, સપનાના વર્તુળમાં માત્ર એક કેન્દ્રબિંદુ બની સ્થિર રહી ગઈ છું. રૂઢિચુસ્ત સમાજે ઘડેલા નિયમો એ મારા સપનાના વર્તુળમાં પરિઘ બની બોર્ડરે ઊભા છે. એ પણ જાણું છું કે,કેન્દ્ર વગર એ વર્તુળના પરિઘનું કોઈ કિંમત નથી. છતાં પણ એ રેખા ઓળંગવાની હિમંત નથી. કદાચ મારા સપનાની પાંખ લઈ ઊડવા પ્રયત્ન કરું અને નીચે પડી જવાય તો આ સમાજ મારી ભૂલોનો સજા સ્વરૂપે જ સ્વીકાર થશે. બસ એ ડર જ મને મનથી સ્વતંત્ર હોવાનો અનુભવ નથી થવા દેતો.
જ્યાં સુધી હું મારા મનથી સ્વતંત્ર નથી થઈ ત્યાં સુધી સમાજમાં મળતી દરેક સ્વતંત્રતા ગૌણ છે. તેમજ આ 15મી ઓગસ્ટના દિવસે ઉજવાતો આ સ્વતંત્રતા પર્વ મારા માટે માત્રને માત્ર કેલેન્ડરમાં આવતી જાહેર રજા છે. હું ખરેખર મનથી સ્વતંત્ર નથી અથવા તો સ્વતંત્ર થવા ઈચ્છતી નથી. કારણ એ સ્વતંત્રતા સાથે એક ડર પણ જોડીદાર બની ચાલે છે. કદાચ એ ડર જવાબદારીનો પણ હોય શકે. સ્વતંત્રતા સાથે ઘણી જવાબદારીઓ પણ જોડાય છે. મૂલ્યલક્ષી વિચારો પણ સમાજને ભેટ આપવાની જવાબદારી રહે છે.
શિક્ષીત છું છતાં પણ મારા પ્રયત્નમાં થતી ભૂલોનો સ્વીકાર નહીં થાય તો, બસ આ તોતેર મણના "તો" જ મારા મનમાં એક ભાર બની ઘર બનાવી બેઠો છે. જ્યારે આ વજન હળવો થશે ત્યારે હું મારા સ્વતંત્ર વિચારો મારા પરિવાર,સમાજ સમક્ષ રજૂ કરી શકીશ ત્યારે જ હું સાચી રીતે સ્વતંત્ર હોવાનો અનુભવ કરીશ. અને દર વર્ષે આવતો આ રાષ્ટ્રીય તહેવાર મારા માટે માત્રને માત્ર કેલેન્ડરની એક રજા નહિ પરંતુ,સાચી રીતે સ્વતંત્ર હોવાનો અનુભવ કરાવશે.