શિક્ષણ
શિક્ષણ
એ દિવસે માનવ સાજે ઘરે આવ્યો ત્યારે એ કોઈની સાથે ફોન પર વાત ચાલુ હતી. થોડો વિચલીત અને અસમંજસમાં લાગતો હતો એ દિવસે અને રોજની જેમ રૂમમાં જવાને બદલે એ ઘરની બાલ્કનીમાં ગયો અને ફોન પર વાર્તાલાપ ચાલુ રાખ્યો. ઘરના બીજા સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. સભ્યો કહીએ તો માનવનો મસ્તીખોર દિકરો સ્વપ્નીલ, પ્રેમાળ પત્નિ પ્રિતી અને માનવના વયોવૃધ્ધ પિતા પ્રકાશભાઈ. માનવની માતાએ બે વર્ષ પહેલા જ ચિરવિદાય લીધી હતી. પ્રકાશભાઈ સ્વપ્નીલને રમાડતા હતા અને પ્રીતિ રસોડામાં ઘરકામ કરતી હતી. "તારૂ શું માનવું છે યાર.. આજકાલ કોમ્પિટીશન તો જો. અને એટલે જ મારે સ્વપ્નીલને સારામાં સારી સ્કૂલમાં ભણાવવો છે કે જેથી આગળ જતા એને કોઈ જ તકલીફ ન પડે. આ કોમ્પેટેટીવ દુનિયામાં એ આસાનીથી ટકી શકે."
પ્રકાશભાઈ આખી ઘટના પામી ગયા કે માનવના આજના વર્તનનું મુખ્ય કારણ શું હતું. આ ઘટનાને એક સપ્તાહ પુરો થયો પણ હજુ સુધી તે અસમંજસનુ કોઈ નિરાકરણ ન આવ્યું. ઊલટુ આ સવાલ વધુ ગુંચવાવા લાગ્યો કે સ્વપનીલને કઈ સ્કુલમા ભણાવવો કે જેથી એનું ભવિષ્ય ઊજળું બને. રાત્રે જમવાનું પતાવીને માનવને ઘરમાં આટા મારતો જોઈ પ્રકાશભાઈએ માનવને પોતાની પાસે બોલાવ્યો. તુ આટલા દિવસથી અસમંજસમાં છે એનું કારણ સ્વપ્નીલનું ભણતર છે? પ્રકાશભાઈના આ સવાલનો જવાબ આપતા માનવે કહ્યું કે હા, પપ્પા. વિચારુ છું કે એને કઈ સ્કૂલમાં એડમિશન અપાવું. મારા મોટાભાગના મિત્રોના છોકરા લેટેસ્ટ સ્કૂલમાં, લેટેસ્ટ માધ્યમમાં ભણે છે અને એ બધાની સલાહ પણ એવી જ છે કે તુ તારા સ્વપ્નીલને આવી જ કોઈ સ્કૂલમાં ભણાવ કે જેથી એ ભવિષ્યમાં ક્યાંય પાછો ન પડે. એટલે જ પપ્પા હુ અસમંજસમાં છું કે સ્વપ્નીલ માટે કઈ સ્કૂલ અને માધ્યમ બેસ્ટ હશે?
પ્રકાશભાઈએ સમાધાન જણાવતા કહ્યુ કે હું તો એક નાનકડો ખેડૂત છું મને આ આજકાલની લોકોએ જાતે ઊભી કરેલી "કોમ્પિટીશન"માં ઝાઝી ખબર ન પડે પણ ખેડૂત તરીકે એટલું ચોક્કસ કહીશ મારા અનુભવ પરથી કે જે પાક આપણી જમીનને સુસંગત હશે તેની વાવણી કરીશું તો તે ઉત્તમ વળતર આપશે પણ જો એવો પાક કે જે સુસંગત નથી એની વાવણી કરીએ, ખુબ મોંઘા રાસાયણીક ખાતરનો ઉપયોગ કરીને, કિમતી દવાઓ દ્વારા ગમે તેમ કરીને પાક ઉભો તો કરી દઈએ છીએ પરંતુ કુદરતના એક જ વાવાઝોડા આગળ એ પાક જમીનદોસ્ત થઈ જાય છે. પોતાના બાળકને પોતાનું બેસ્ટ આપવું એ દરેક મા-બાપની નૈતિક ફરજ છે પરંતુ પોતાના સપનાઓ અને ઈમેજને ઉજળી બનાવવાની લાહ્યમાં ક્યાંક સ્વપ્નીલના પોતાના સપના રગદોડાઈ ન જાય એનું ધ્યાન રાખવું પણ એટલુ જ જરૂરી છે. પ્રકાશભાઈની આ નાનકડી વાતે માનવની સઘળી અસમંજસતા દુર કરી દીધી.
