પરગ્રહવાસીઓ કોણ ?
પરગ્રહવાસીઓ કોણ ?
પરગ્રહવાસીઓ હોય છે કે નહીં એ ખબર નથી. પણ દુનિયાના ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પરગ્રહ પર 👽 એલિયનો વસે છે. જેની ભ્રમણા કે માનવ સહજ જિજ્ઞાસાથી એલિયનો પૃથ્વી પર ફલાણાં ફલાણી જગ્યાએ ઉતર્યા છે એવું માને છે. એ ઉપરથી હોલિવૂડ અને બોલિવૂડમાં ફિલ્મો બનેલી છે. માનવ સહજ જિજ્ઞાસા એવી હોય છે કે કોઈ આપણાથી જુદું પડતું હોય તો જાણે એ પરગ્રહથી આવ્યો હોય એમ વર્તન કરવામાં આવે છે.
આજે પણ ભારતના કોઈ પણ ભાગમાં કોઈ વિદેશી ગોરી વ્યક્તિ કે આફ્રિકાની કાળી વ્યક્તિ મુલાકાત લે છે ત્યારે ભારતીયો જાણે એ અલગ ગ્રહ પરથી આવ્યા હોય એ રીતે જુએ છે. હવે વાત એમ છે કે અત્યારે કોરોનાનો કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોના વોરિયર્સ એમનું કાર્ય ખંત પૂર્વક કરે છે, પણ એક સામાન્ય સમાજના માણસો એ વાત સમજી શકતા નથી. જ્યારે કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ સારવાર લે છે. એ ગાળા દરમિયાન એની તરફનું સામાન્ય વ્યક્તિનું વર્તન વિચિત્ર પ્રકારનું થાય છે. એ કોરોના દર્દીઓ જાણો પરગ્રહમાંથી આવ્યા હોય એમ સમજીને એ કુટુંબ પ્રત્યેનો વહેવાર ઓછો કરી નાખે છે.
જ્યારે એ કોરોના દર્દીઓ સામાન્ય સ્થિતિમાં હતા ત્યારે એના આડોશી પાડોશી એની સાથે નો વ્યવહાર એક સારા પડોશી કે સારી વ્યક્તિ તરીકે કરતા હોય છે.પણ પરિસ્થિતિ બદલાઈ જાય છે. જ્યારે કોરોના દર્દીઓ સારવાર પછી નેગેટિવ આવે છે એટલે કે સાજા થાય છે. ત્યારે પણ આપણા શાણા અને સમજુ લોકો એવા વ્યક્તિઓ પ્રત્યે જાણે એ બીજી દુનિયામાંથી આવ્યા હોય એમ વર્તન કરે છે. એની સાથેનો વ્યવહાર ઓછો કરવો તેમજ મદદરૂપ થવાનું બંધ કરે છે. આ આપણી માનસિકતા આ આપણો સુધરેલો સમાજ.
માનવી માનવતા ભૂલે ત્યારે હવે કહો આ એલિયનો કોને કહું ? માનવતા વિહીન સમાજ ને કે ? માણસની પરીક્ષાઓ સામાન્ય સ્થિતિમાં ઓછી થતી હોય છે. પણ જ્યારે પરિસ્થિતિ અસામાન્ય થાય છે ત્યારે પરીક્ષા આકરી થાય છે. સોચ બદલો, સમય બદલાઈ રહ્યો છે.