પિતા
પિતા
માવજીભાઈ આજે તો હયાત નથી, પણ ત્રણ ત્રણ દીકરાઓ હોવા છતાં એમણે પોતાની જીંદગીના પાછલા કેટલાય વર્ષો પોતાની પત્ની મોંઘીબહેન સાથે એકલપંડે એક ઓરડાના ઘરમાં ગુજાર્યા હતા. વૃદ્ધાવસ્થામાં દીકરાઓએ એમની ટેકણલાકડી બનવાને બદલે એમને તરછોડી એકલા રહેવા મજબુર કર્યા હતા. મોંઘીબહેન તો માવજીભાઈ સમક્ષ ચોધાર આંસુએ રડી હૈયું હળવું કરી લેતાં, પણ માવજીભાઈ તો મરદજાત એટલે અંદર અંદર રીબાતા રહેતાં. દુઃખ અસહ્ય થઈ પડે ત્યારે એ જ અંધારિયા ઓરડામાં નહાતી વખતે બે-ચાર આંસુ પાડી લેતાં, જે ગંદા પાણી સાથે ગટરમાં વહી જતાં.
આજે જ્યારે એમના એક દીકરાનો ફેસબુકમાં રાખેલો પ્રોફાઈલ ફોટો જોયો ત્યારે મારી આંખના ખૂણા ભીના થઈ ગયા. લખ્યું હતું, 'પિતા વિનાનું ઘર શું છે એનો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ અંગુઠા વિના ખાલી આંગળીઓના ઉપયોગથી આપના દરેક કામ કરી જુઓ પિતાની કિંમત સમજાઈ જશે.'