નવમું શ્રાદ્ધ
નવમું શ્રાદ્ધ
નાનપણથી મને મનમાં એક પ્રશ્ન થતો કે આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે એમાં, 'દાદાનું શ્રાદ્ધ,' 'નાનાનું શ્રાદ્ધ' 'મોટા બાપાનું શ્રાદ્ધ' 'કાકાનું શ્રાદ્ધ'..
આ બધા શ્રાદ્ધ વ્યક્તિગત આવે પણ, આજ શ્રાદ્ધ ને વ્યક્તિ અને તિથિ મુજબ વ્યવસ્થિત યાદ રાખનાર સ્ત્રીઓ, દાદી, નાની, માં, કાકી, મામી કે માસી, ફોઈ, એ સ્ત્રીઓનું શ્રાદ્ધ કેમ વ્યક્તિગત ન આવે? એને બદલે ભાદરવા વદ નોમ ને દિવસે બધી સ્ત્રીઓનું એકસાથે, સાગમટે શ્રાદ્ધ એટલે "ડોશીઓ નું શ્રાદ્ધ".!!!
જે સ્ત્રી, પુરુષના સંસારની નીવ છે, એકેક વસ્તુ ને એકેક દિવસ સંભાળીને, યાદ રાખીને અને યાદ કરાવીને જીવે છે.
હું ઓળખું છું એવી કેટલીયે સ્ત્રીઓને કે જે આખા પરિવારની સંજીવની હોય છે. મોટાભાગના પુરુષો એવા જ હોય છે કે એની નાનામાં નાની વાત, પહેલા એની માં અને બહેન અને પછી પત્ની અને દીકરી.. બધું જ સંભાળે છે. સામાન્ય રીતે કામે જતાં પતિને એની પત્ની ટિફિન, જરૂરી કાગળો, ફાઇલ, અરે પર્સ, રૂમાલ, વોલેટ અને મોબાઈલ, બેલ્ટ, હેલ્મેટ, .. પેન, કઈ કેટલીયે વસ્તુ યાદ કરી કરીને હાથમાં આપે છે. પિયર ગયેલી પત્નીની ગેરહાજરીમાં પતિ ઓફીસ જવા નીકળે અને ત્યારે કેટલી વાર પાછું ફરવું પડે દરવાજેથી કે એને ખુદ પોતાની જાત પ્રત્યે ગુસ્સો આવી જાય અને તો પણ તે કંઈક ને કંઈક તો ભૂલી જ જાય!
આમ, સ્ત્રી એ પુરુષની અર્ધાંગિની જ નહીં પણ, સંપૂર્ણ અસ્તિત્વ ઓળઘોળ કરનારી પૂર્ણાંગીની જ કહેવી પડે!! અને એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એની પોતાની કોઈ અલગ તિથિ જ નહીં!!
સ્ત્રીના ત્યાગ અને સમર્પણ ની શું વાત કરવી?? એ પોતાને માટે એક તિથિ પણ નથી રાખતી કે કોઈએ વ્યક્તિગત એને યાદ રાખવી પડે!
સ્ત્રી પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે એના અનેક ઉદાહરણ પ્રચલિત છે. એ પોતાના માતા પિતા છોડી દે છે, ભાઈભાંડુ, સખીઓ છોડે છે, પોતાનો દેશ, વેશ પણ ત્યાગ કરીને એને જે મળે છે તેમાં એ ઢળી જાય છે. સમર્પણ ની સાક્ષાત મૂર્તિ છે, સ્ત્રી! અરે પોતાની પાછળ પિતાનું નામ પણ કાઢી નાખે છે અટક પણ બદલી નાખનાર, ક્યારેક તો જન્મથી મળેલું પોતાનું નામ પણ બદલી નાખે છે.
એ સ્ત્રીના સમર્પણની શું વાત કરવી કે જે જીવતાજીવ એનું અસ્તિત્વ, પોતાના ઘર પરિવાર કે સંસારમાં સમગ્ર અસ્તિત્વ ઓગાળી નાખે છે. આ સ્ત્રીના સમર્પણની ઉત્કૃષ્ટતા તો જુઓ કે સ્વનું સમર્પણ કરતી કરતી જીવતી એક સ્ત્રી મર્યા પછી એની ખુદની એક તિથિ પણ એને નામ નથી રાખતી!
આધુનિક સમાજ ભલે સ્ત્રી ને પૂરૂષ સમોવડી બનાવવાના નાદમાં પડ્યો. પણ, ભારતીય સંસ્કૃતિમાં તો સ્ત્રીને પુરુષ કરતાં ક્યાંયે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલું જ છે.
એથી તો સૌ પ્રથમ સંસ્કાર આપતી વખતે બાળકને શીખવવામાં આવે છે, "માતૃ દેવો ભવ"
એટલે જ કહેવાયું છે ને?
નમો દૈવ્યે મહાદૈવયે, શિવાયે સતતમ નમઃ
નમઃ પ્રકૃતયે ભદ્રાયૈ નીયતા પ્રણતા સ્માતામ્ ||
જ્યારથી શ્રાદ્ધ વિશે કંઈક પણ ખબર પડવા લાગી ત્યારથી મેં મનોમન નક્કી કરી લીધું હતું કે દાદાનું શ્રાદ્ધ કરવાનું હોય તો દાદીનું પણ તેની મૃત્યુ તિથિ મુજબ જ કરવું જોઈએ અને નાનાની તિથિ યાદ રાખીશ એમ નાની ની પણ તિથિ પ્રમાણે શ્રદ્ધાંજલિ આપીશ.