Chintal Joshi

Classics

3  

Chintal Joshi

Classics

નર્તકી

નર્તકી

7 mins
14.3K


છન, છન, છનાછન, છન, છન, તા, ધિક, તા, ધિક, ધીન, ધીન, ધિક, તા. ઘૂંઘરૂંની છમ છમ, ને ઢોલકના તાલનો અવાજ એકસાથે એક મધુર રવ ઉપજાવી રહ્યો હતો. બે હાથે પૂરા મનથી ને જોશથી ઢોલક પર થાપ દેતો ને બોલ બોલતો મલય નર્તકીના પગને નીરખીને જોઈ રહ્યો હતો. ગોરા ગોરા પગમાં અલતો લગાડેલો હોવાથી એ વધુ સુંદર દેખાતા હતા. સહેજ ઊંચો ઘાઘરો પહેરેલી નર્તકીની પગની પાની પણ દેખાતી હતી અને કાકડી જેવા નાજુક એના પગમાં બાંધેલાં સોનેરી ઘૂંઘરૂં એના રૂપાળા પગને શોભાવતા હતા, પાતળી કમર નૃત્યના તાનમાં બરોબર તાલમાં લચકાતી હતી. ઘેરદાર લાલ ઘાઘરો ને તસતસતી ઘેરા જાંબલી રંગની ચોલીમાં નર્તકીનો યુવા દેહ સ્વર્ગની અપ્સરા સમ શોભતો હતો. આછી ને સરકની લીલી ચૂંદડીના છેડે મોતિ ટાંકેલા અને ગાળામાં જામનગરી બાદલો છાટેલો. સોનેરી કોરથી શોભતી એ ચૂંદડી નર્તકીના માથાથી લઈ ઉરોજને ઢાંકતી કમર ફરતે એવી તે વીંટળાયેલ હતી જાણે થડને નમણી નાગરવેલ. પાતળું એ તન ઢોલકની થાપ સાથે નૃત્ય કરી રહ્યું હતું. એક એક મુદ્રા જાણે વીજળીનો પ્રકાશ પાથરી રહી. એના ઘૂંઘરૂંની ઝણકારથી એ મધુર સંગીત રેલાવી રહી હતી.

પદમણી શી શોભતી એ નર્તકી એટલે, વૈખરી.

વૈખરી સુંદર તો હતી જ સાથે સુશીલ ને સમજુ પણ હતી. મલય અને વૈખરી બાળપણથી ભગવાન સોમનાથના મંદિરમાં સાથે ભગવાન સોમનાથની નૃત્ય આરાધના માટે સોમનાથ મંદિરના સંચાલક શ્રી વરદ મૂર્તિ સ્વામીના આશ્રમમાં રહેતા હતા. બાળપણથી સાથે રહેતા હોવાથી સહજ બન્ને એક બીજાને ચાહતાં હતાં. શૈશવની મિત્રતા યુવાનીમાં પ્રેમમાં પરિણમી હતી અને એ પ્રેમ બંનેની કલામાં ભારોભાર છલકાતો હતો. મલય ઢોલક પર થાપ આપે એજ તાલમાં વૈખરીના પગના ઘૂંઘરૂં છમકતા અને નૃત્યની મુદ્રામાં રસમાધુરી.

કાર્તિકી પૂર્ણિમા એ ભગવાન સોમનાથની દિવ્ય પૂજાનું આયોજન વર્ષોથી થાય છે, સોમનાથમાં મેળો ભરાય ને લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભક્તો ભોલેનાથના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન પામી ધન્યતા અનુભવે, પૂનમના દિવસે આ ક્રમ જળવાયને રાતે ભગવાન સોમનાથની સામે રહેલ રંગમંડપમાં નૃત્ય આરાધનાથી ભગવાન આશુતોષ પીનાક પાણી શ્રી નટરાજ રાજ એવા સાંબ સદાશિવને રીઝવવાનો કાર્યક્રમ યોજાયને એ કાર્યક્રમમાં મોખરે હોય નર્તકી વૈખરી ને એનો બાળપણનો મિત્ર મલય.

આજે પણ કાર્તિકી પૂનમ છે ને સવારથી મલય અને વૈખરી ઉત્સાહ સભર નૃત્યની તૈયારીમાં લાગ્યાં છે. મલયે રેશમી વાદળી અચકન ને પીળું પીતાંબર પહેરવા કાઢ્યું, ને એ લયને વૈખરીને બતાવ્યું, "જો તો વૈખરી આ આજના નૃત્ય સમારોહ માટે કેવું રહેશે?"

વૈખરી આંખો નચાવતી બોલી, "સારું લાગશે પણ જો એની સાથે આ કેસરી લહેરિયાવાળું રાણી ગુલાબી ચમ્પા કોર મૂકેલું ખેસ પહેરે તો વધુ સારું લાગે."

"હમ્મ તું સાચું કહે છે લાવ એજ પહેરું." કહેતો મલય વૈખરી ના હાથ નો ખેસ લેવા જાય ત્યાં તો વૈખરી એ ખેસ પોતાના અંગ સાથે ચપોચપ વીંટાળી દીધો ને બોલી આને હાથ અડાડીયા વગર કાઢે તો ખેસ તારો ને હું પણ , મલય ઘડી ભર માથું ખંજવાળી વિચારી રહ્યો ને વૈખરી ઉભી ઉભી મદમાતું હસી રહી હતી. હવે મલય પણ પ્રણય રંગ રેલાવતો એની લગોલગ આવ્યો ને ખેસના છેડાને કે જે વૈખરીના ગળે ને કમર ફરતે વિટાયેલ હતો એને મોઢા વડે ખેંચી લેવા મથી રહ્યો હતો આમ કરતા એ વૈખરીના ખુશ્બૂ ભીના અંગોની સુગંધ માણતો એની ઉપર ઢળી પડ્યો. બન્ને એકબીજાને અપલક તાકી રહ્યા હતા, થોડી ક્ષણોનો એ પ્રણય રસ બન્નેને સ્વર્ગીય સફર કરાવી ગયો. એક ઝટકા સાથે મલય વૈખરી ઉપરથી ઉઠ્યોને એ ઝટકાની અસરથી મોંમાં રહેલ ખેસ પણ નીકળી ગયો, વૈખરી હસી પડી ને બોલી, "હારી ગયો ને ! હવે હું તારી નય જા." એટલું બોલી ત્યાં મલયે એનો હાથ પકડી લીધો ને પોતાનો એક હાથ એના મોઢાએ દાબયો અને બોલી પડ્યો, "ના ના વૈખરી એવું ના બોલ તારા વગર જીવવું શક્ય નથી મારી માટે, તું મારી નય થા તો હું તો મરી જઈશ." કહેતાં તો એની આંખો ના ખૂણે અશ્રુબિન્દ છલી પડ્યાં.

બન્ને એકબીજાને ગાઢ આલિંગનમાં લઇ વચને બંધાયા કે આજનું નૃત્ય પૂરું થયા પછી સ્વામીજીને વાત કરી બન્ને એકમેકના થઈશું.

વૈખરી સુહાગના સ્વપ્નાં સેવતી નૃત્ય માટે શણગાર સજી, વાદળી ઘાઘરો, ને કેસરી ચોલીમાં લીલું પીળું લહરિયું વળી આછી ઓઢણી, નવશેરો હાર, કમરબંધ, કતીમેખલા, ચોટલામાં ચાંદીનાં ચકતાં, ને માંગ ટીકો, લાલ મોટો ચાંદલો ને હાથમાં કાચની ભળતી બંગડીની ઓરેકોરે કનકણ, ને હાથ પગમાં લાલ અલતો લગાવતાં એ ગાઈ રહી,

"મહેંદી મન ભાવન મારા મૈયરની રે

મેં તો હથેળીમાં મુક્યા સૂરજ ચાંદ કે

તારલિયો મારો સાંવરિયો રે....

હો.. કે તારલીયો મારો સાંવરિયો રે..

હું તો નમણું તે મોગરા નું ફૂલ કે

સુગંધ મારો સાંવરિયો રે...

કે હું તો વનની નખરાળી હરણી રે

કે મૃગલો મારો સાંવરિયો રે..." ગીતના શબ્દો આશ્રમના સંચાલક સ્વામી વરદ મૂર્તિના કાને પડ્યા અને એમણે વૈખરીના ઓરડામાં નજર કરી સોળ શણગાર સજેલી વૈખરી અપ્સરા સમ શોભતી હતી. સ્વામીની નજર લલચાણી. નિયત ખરાબ થઈ પણ સમયનું ભાન થતાં મનને મારી ઓરડામાં ગયા ને વૈખરીને ઉતાવળે તૈયાર થવા કહ્યું, ને મનમાં વિચાર કર્યો કે આજે કાર્યક્રમ પતે પછી રાતના અંધકારમાં વૈખરીને પોતાની કરી લેશે. વર્ષોથી આ આશ્રમનું ખાઈ રહી છે એક રાત મારી સાથે કાઢી નાખશે તો શું બગડી જશે? માને તો ઠીક નહીંતર બળજબરીનો રસ્તો પણ અપનાવીને એને આજ મારી કરીને રહીશ. એમ વિચારી સ્વામી રંગમંડપ ભણી ચાલતા થયા.

"અરે વૈખરી તું અહીં !! આવ, બોલ શું? કામ હતું?"

મલયના પ્રશ્નના ઉત્તરમાં વૈખરી થોડી વિચલિત થતાં મલયની લગોલગ આવી મલયના કાનમાં કંઈક કહી વળી. બન્ને એ એકબીજાની સામે સૂચક દ્રષ્ટિ નાખી, ઈશારામાં જ નિશ્ચય કરી લીધો. બન્ને મક્કમ ઈરાદાને મનમાં ભરી જુદા પડ્યા.

સોનનાથ મહાદેવને દિવ્યાતી દિવ્ય શણગાર સજાવવામાં આવ્યો હતો, ફૂલોથી આખું મન્દિર શોભતું હતું, દિવાની ઝગમગાટથી ચમકતું હતું, રંગમંડપને પતાકાથી શણગારેલ હતો, રંગોળી કરી હતી, ને માહોલ જમાવટવાળો હતો લાખો ભક્તોની મેદની નૃત્ય મન્ડપમાં જમા હતી, બધા આતુરતાથી કાર્યક્રમ ચાલુ થવાની રાહમાં હતા.

થોડીવારમાં મલય અને વૈખરી મંડપમાં આવ્યાં. કાર્યક્રમને દીપ પ્રાગટય બાદ ચાલુ કરવામાં આવ્યો. ભગવાન શિવ ને પાર્વતીના વિવાહ પ્રસંગને નૃત્ય નાટીકા દ્વારા ભજવાય રહ્યો હતો. મલય તાલમાં ઢોલક વગાડતો હતો ને એ તાલમાં વૈખરી નાચી રહી હતી. શ્રધ્ધાળુ ભક્તો નર્તકી અને વાદક વૃંદ પર ઘોર કરી અભિવાદન કરી રહ્યા હતા. ઘોરમાં એકઠું થયેલું ધન મલયનો નાનપણનો મિત્ર એક બચકીમાં ભરી રહ્યો હતો. નૃત્ય પૂરું થયું. લોકો ભગવાન આશુતોષની જય બોલાવી મંદિરમાં ગયાં. ભીડ વધી રહી હતી. કાર્યક્રમ સ્થળ પર અફડાતફડી હતી. સ્વામી મંદિરની વ્યવસ્થામાં પ્રવૃત થયા.

રાત વધી, પૂનમનો ચન્દ્ર ચાંદની રેલાવતો હતો, મંદ પવન લહેરાતો હતો આશ્રમમાં સ્વામી અસ્વસ્થતા ને બેચેની અનુભવી રહ્યા હતા. લોકોના સૂવાની રાહ જોઈ રહ્યા હતા જેથી એ તેની મેલી મનશા પુરી કરી શકે.

ધીમે ધીમે આશ્રમમાં શાંતિ પ્રવર્તી, લોકો નિદ્રાધીન થયા, ને દબાતા પગલે સ્વામી વૈખરીના ઓરડા ભણી ચાલ્યા. ઓરડામાં અંધકાર હતો, કંઈ દેખાતું ન હતું. સ્વામીએ દરવાજે દસ્તક દેવા દરવાજો ઠપકાવ્યો ત્યાંતો એ ખુલી ગયો સ્વામી રાજી થતા અંદર પ્રવેશ્યા ચન્દ્રનું અજવાળું દરવાજામાંથી અંદર પ્રવેશ્યું. ઓરડો સાવ ખાલી હતો, ત્યાં ન તો વૈખરી હતી ન એ નો સમાન. સ્વામીને અચરજ થયું એણે આશ્રમના અન્ય સભ્યોના ઓરડા ચકાસ્યા તો જાણ થઈ કે મલય, તેનો મિત્ર અને વૈખરી આશ્રમમાં નહોતાં. કાર્યક્રમમાં મળેલ ધન રાશિ લઈ એ ત્રણેય આશ્રમ અને ગામ છોડીને ભાગી ગયાં હતાં.

મલય વૈખરી અને તેનો મિત્ર ભક્તોની ભીડ સાથે ઓગળી ગયાં. આશ્રમથી એટલા તો દૂર નીકળી ગયાં કે સ્વામી એમને શોધી ના શક્યા. મલયના મિત્રએ મલયને આમ અચાનક ભગવાનું કારણ પૂછ્યું, મલયએ ઊંડા નિશ્વાસ સાથે જણાવ્યું કે કાર્યક્રમની પૂર્વે સ્વામી વૈખરીના ઓરડામાં ગયા હતા ને વૈખરીને જોઈને એમની દાનત બગડી હતી, સમજુ વૈખરી સ્થિતિ તરત પારખી ગઈ ને મારી પાસે આવીને મને વાત કરી. કાર્યક્રમ પત્યા પછી મેં તને પરાણે ધનરાશી સમેત સાથે લીધો. હવે આ નૃત્યને વાદનનું કાર્ય આપણે કાયમ માટે છોડવું પડશે નહીંતર સ્વામી આપણને ગોતી લેશે. આ ધનરાશી વડે આપણે કંઈક વ્યવસાય કરીને ગુજરાન કરીશુ. હું ને વૈખરી પરણીશું. બધા એ નિરાંતનો શ્વાસ લીધો ને ભગવાન આશુતોષ શ્રી સોમનાથની જય બોલાવી.


Rate this content
Log in

Similar gujarati story from Classics