નૈતિક ફરજ
નૈતિક ફરજ


વિશ્વના તમામ દેશોમાં સૌથી મોટું અને લેખિત સ્વરૂપનું દસ્તાવેજી બંધારણ એ ભારતનું બંધારણ છે. આપણા આ બંધારણમાં નાગરિકના મૂળભૂત અધિકારો અને ફરજોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આજે મારે તમને બંધારણમાં સમાવિષ્ટ ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજોની વાત કરવી છે. દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં અધિકારો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. દરેક વ્યક્તિ લોકશાહી શાસન વ્યવસ્થામાં અધિકારો મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. જ્યારે ફરજો અદા કરવામાં તે સહેજ ઉણો ઊતરે છે.
ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકોમાં બાળકને ધોરણ:-૧ થી લઈને ધોરણ:-૧૨ સુધી મૂળભૂત ફરજો અને પ્રતિજ્ઞાપત્ર પાઠ્યપુસ્તકો દ્વારા આત્મસાત કરવામાં આવે છે. આપણા બંધારણની કલમ ૫૧( ક) અનુસાર ભારતના નાગરિકોની ફરજો સુનિશ્ચિત કરવામાં આવી છે. જે મુખ્યત્વે (ક) થી (ડ) સુધીની ૧૧ ફરજો દરેક નાગરિકો માટે નિર્દેશિત છે. આ મૂળભૂત ફરજો પૈકી કલમ (ઘ) માં 'દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની' એવો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. આનો સૂક્ષ્મ અર્થ આપણા દ્રષ્ટિકોણથી વિચારીએ તો હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીનો ભોગ બન્યું છે. ત્યારે આવા સમયે ભારતીય નાગરિક તરીકે આ ગંભીર મહામારીનો સમગ્ર દેશના નાગરિકો ઘરમાં જ રહીને દેશ સેવા કરે તેમજ આ મહામારીનો સામનો કરવા ,કોરોના વાયરસને હરાવવા ભારતના પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે સંકલ્પ લીધો છે ત્યારે આપણે સહુ ઘરમાં જ રહી આ મહામારી પરાજિત કરીએ, વિશ્વના લોકોનું શારીરિક અને માનસિક આરોગ્ય જળવાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતી એવી 'વિશ્વ આરોગ્ય સંગઠન' પણ સતત પ્રયાસો કરે છે. કોરોનાનો નાશ કરવો એ જ હાલમાં ભારતનો એક સંકલ્પ છે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા સ્થાને છે તેથી આ મહામારીને નાખવી ખૂબ જ જરૂરી અને કપરી છે છતાં અશક્ય તો નથી જ. આવા સમયે ભારતમાં વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કર્યું છે. ત્યારે ભારતના નાગરિક તરીકે આપણી કેટલીક ફરજો બજાવવાની રહી. (૧) ઘરમાં રહીને પોતે સલામત રહે તેમજ પોતાના કુટુંબ અને બીજા નાગરિકોને પણ સુરક્ષિત રાખીએ. (૨) ઘરમાંથી બહાર નીકળવાનું થાય ત્યારે જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે જ અઠવાડિયે એક વાર બહાર નીકળવાનો સંકલ્પ લઈએ. (૩) દૂધ, શાકભાજી, કરિયાણું જેવી આવશ્યક ચીજવસ્તુઓ લેવા જઈએ ત્યારે એક મીટરનું અંતર બનાવી રાખીએ. (૪) ઘર બહાર નીકળી ત્યારે માસ્ક મોઢા ઉપર અવશ્ય પહેરીએ (૫) ઘરે પરત આવીને હાથ સાબુથી ધોઈએ. (૬) સરકારશ્રીના જાહેર સૂચનાનો કડક પણે પાલન કરી- કરાવીએ. (૭) પ્રધાનમંત્રી રાહત ફંડમાં તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક સહાય કરીએ. (૮) પોલીસ ,ડોક્ટર ,સેવાભાવી સંસ્થાના કર્મચારીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ. (૯) ઘરમાં પોતાના કૌશલ્ય અંતર્ગત કાર્ય કરી પોતે પ્રવૃત્તિમાં રહીએ તેમજ બાળકને પણ સ્વાધ્યાય કાર્ય કરાવી પ્રવૃત્તિલક્ષી બનાવીએ. (૧૦) શેરી, મહોલ્લા કે સોસાયટીમાં લોકો વધુ માત્રામાં ભેગા ન થાય તેની તકેદારી રાખીએ..એક સાચા નાગરિક બની નૈતિક ફરજ બજાવી દેશસેવા કરીએ.