તીર્થભૂમિ
તીર્થભૂમિ
ભારતીય સંસ્કૃતિમાં બાળક માટે પ્રથમ ગુરુ તેના માતા-પિતા, બાળકની પ્રથમ શાળા તેનું ઘર અને બાળકનું પ્રથમ શિક્ષણ તેના પરિવારમાંથી જ શરૂ થતું હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે "સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ".. પરંતુ પ્રાચીન સમયની વિચારધારા વર્તમાન સમયની વિચારધારાથી તદ્દન જુદી છે. વર્તમાન સમયમાં શિક્ષકનો અભિગમ કંઈક આવો બાલ કેન્દ્રી છે.
"આવો ને બાલુડા રે, શિક્ષકો તમને ભણાવે રે;
આવે રે બાલુડા રે, સાથે પાટી પેન લઈને રે.
આવો ને બાલુડા રે, શિક્ષકો તમને હાથથી ભણાવે રે.
આવોને બાલુડા રે, શિક્ષકો તમને ભણાવે રે."
પ્રાચીન સમયમાં શિક્ષણ વ્યવસ્થા પ્રકૃતિના સાનિધ્યમાં, સંસ્કૃત ભાષામાં, તેમજ ઋષિના આશ્રમમાં થતી હતી. વર્તમાન સમયમાં ખાસ કરીને દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ અંતર્ગત જોઈએ તો બાળકના શિક્ષણ માટેની જવાબદારી માતા પિતા, સમાજ, શિક્ષક, વડીલો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, દરેકની તેમાં અનિવાર્ય ભૂમિકા રહેલી છે. ભારતના ભવિષ્યનો આધાર, ભારતનું સ્વપ્ન, ભારતની યુવા પેઢી જે અત્યારે વર્ગખંડમાં નવસર્જન કરવામાં આવી રહી છે. તેનો બધો આધાર શિક્ષક પર રહેલો છે. પહેલાના સમયમાં અર્થાત પ્રાચીન સમયમાં શિક્ષણ ગુરુ કેન્દ્રી શિક્ષણ હતું. જ્યારે આધુનિક યુગમાં શિક્ષણનાં કેન્દ્રમાં વિદ્યાર્થી છે. વિદ્યાર્થીના રસ, રુચિ, વિચારો તેની માન્યતાઓ તેના ગમા-અણગમા તેનું કૌશલ્ય દરેક બાબતોને ધ્યાનમાં રાખીને દરેક માતા-પિતા, શિક્ષકો, બાળકોના ભવિષ્ય માટે ચિંતિત થાય હોય છે. ખાસ કરીને વર્તમાન સમયમાં વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પ્રણાલીમાં શાળા માત્ર એક મકાન કે ચાર દીવાલોનું બનેલું ભૌતિક સુવિધા નથી, પાંચથી છ કલાક સમય પસાર કરવાનું સ્થળ નથી, પરંતુ બાળકને વિષયવસ્તુ આધારિત અભ્યાસક્રમ દ્વારા મૂલ્ય શિક્ષણ, ઉત્તમ નાગરિકોની કેળવણી, સામાજિકીકરણ, સંસ્કૃતિનું રક્ષણ, ભાવિ પડકારોનો સામનો, પરોપકારી, જીવનપથ આધારિત જીવન કૌશલ્ય, વગેરે અનેક બાબતોનું ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સાથે સિંચન કરવાનું કામ ૨૧મી સદીના શિક્ષકો બાળકો માટે કરી રહ્યા છે. ક્યારેક વર્તમાન સમયમાં શિક્ષકો વિશે સમૂહ માધ્યમોમાં નિંદનીય ટીકા-ટિપ્પણી પણ આવતી હોય છે. લાખોની સંખ્યામાં શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા શિક્ષકો સમાજના નવ નિર્માણમાં સુંદર ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને માત્ર પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવામાં આવે તો આ કાર્ય વધુ ગતિશીલ બને. ક્યાંક એકલદોકલ દુર્ઘટના ઓ કે અસામાજિક પ્રવૃત્તિઓના લીધે સમગ્ર શિક્ષણ જગત અને શિક્ષકોને કલંકિત કરવામાં આવે છે. પરંતુ મારા મંતવ્ય અનુસાર સમગ્ર રાષ્ટ્રનો ઘડવૈયા શિક્ષક છે.
શિક્ષક બાળકમાંથી એના રચનાત્મક અભિગમ આધારિત કૌશલ્ય નિર્માણ કરી ડોક્ટર, ઇજનેર, સમાજસેવી, શિક્ષક, વકીલ, કાયદાના રક્ષક, એમ જુદા જુદા ક્ષેત્રમાં બાળકોને શ્રેષ્ઠતમ કેળવણી આપી અનુભવનું ભાથું પુરું પાડી, મૂલ્યોનું સિંચન કરી, સામાજિકીકરણ અને સાંસ્કૃતિકરણનું એકીકરણ કરી બાળકને સમાજ નિર્માણ માટે મોકલી આપે છે. મારી દ્રષ્ટિએ શાળા એ કોઈ બેઠક વ્યવસ્થા, કામ ચલાવું શિક્ષણ, સમય પસાર કરવાનું સ્થળ નથી. પરંતુ સરસ્વતીનું ધામ, ઉપાસકોનું તીર્થધામ, સાધકોનું યાત્રાધામ આમ ત્રિવેણી સંગમથી બનેલું વિદ્યાલય..આમ મારી દ્રષ્ટિએ વિદ્યાલય એટલે મારી તીર્થભૂમિ.