મમતા
મમતા
શરદભાઈ એક મધ્યમ વર્ગીય સજ્જન હતા. ખાનગી પેઢીમાં નામું કરીને પોતાનું ગુજરાન ચલાવતા. શાંત પ્રકૃત્તિ ધરાવતા શરદભાઈનું તે દિવસે કામમાં ચિત્ત ચોંટતું ન હતું. એમની પત્ની શારદાને સારાં દિવસો જતાં હતાં. એવામાં ઘરેથી સમાચાર આવ્યા અને તે તરત જ શેઠની રજા લઈને ઘેર જવા નીકળી ગયા. આઠ વરસે શારદાને ત્યાં પારણું બંધાયું અને તેની દીકરીની ઝંખના પણ ઈશ્વરે પૂર્ણ કરી. આંખોનાં રતન સમી દીકરીનું નામ પણ રતન જ પાડ્યું. રતન શારદાને જીવથી પણ વ્હાલી હતી. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો, પણ કુદરતને મા-દીકરીનો પ્રેમ વધુ મંજુર ન હોય તેમ રતન માંડ છ વરસની થઈ ત્યાં એક ગંભીર બીમારીએ શારદાનો ભોગ લઈ લીધો.
શારદાના મૃત્યુના આઘાતથી શરદભાઈ માનસિક રીતે ખૂબ જ ભાંગી પડ્યા. એમની તબિયત વારંવાર બગડવા માંડી. રાત દિવસ તેમને રતનની ખૂબ જ ચિંતા રહેતી. આખરે કુટુંબીજનોનાં આગ્રહને વશ થઈ, મને-કમને તેમણે રંજન સાથે બીજા લગ્ન કર્યા. રતનને મન તો મા એટલે જાણે વાત્સલ્યની મૂર્તિ જ, પણ રંજને પોતાનાં પુત્ર ગોપાલના જન્મ પછી રતન સાથે દૂરવ્યવહાર કરવા માંડ્યો. વહેલી સવારમાં તેને ઉઠાડી દેતી અને ઘરના વાસીદું કરવાથી માંડી નાના મોટા બધાં જ કામ તેની પાસે કરાવતી. એમાંયે જો રતનથી કોઈ કામમાં ચૂક રહી જાય તો તેને અનેક કડવા વેણ સંભળાવી દેતી પડતાં અને ઘણીવાર ઢોરમાર મારતી. રતનને પોતાની સગી મા શારદાની ખૂબ યાદ આવતી. તે માના ફોટાને વળગીને દિવસરાત આંસુ સારતી રહેતી. ઘણીવાર તો રતનને ઘર છોડીને ભાગી જવાનો વિચાર આવતો પણ તેને બિમાર બાપુનો વિચાર આવી જતો, કારણ કે એક રતન જ હતી જે શરદભાઈની દેખભાળ કરતી. રંજન તો ક્યારેય શરદભાઈને પાણી પણ પૂછતી નહીં. રંજન પોતાના પુત્ર ગોપાલને આંખો પર બેસાડીને રાખતી. તેની દરેક જરૂરિયાત પૂરી કરતી જ્યારે રતનને તો પેટ પણ ન ભરાય એટલું ઓછું ખાવાનું આપતી. રતનનાં દરેક સ્વપ્નો રૂંધાવા માંડ્યા અને તેનાં મૂળ જમીનમાં બેસે તે પહેલાં જ ઉખડવા માંડ્યા. ધીરે ધીરે ઉછળતી કુદતી રતન સાવ અબોલ પત્થર બનીને રહી ગઈ.
રતને જુવાનીમાં ડગ માંડ્યા. રંજનને પણ ઘડપણ વર્તાવા લાગ્યું અને શરદભાઈની બિમારી પણ વધુને વધુ ભરડો લઈ ગઈ હતી. શરદભાઈએ જેમ બને તેમ જલ્દી રતનનાં લગ્ન કરી દેવાનું નક્કી કર્યું. આખરે નજીકનાં જ ગામનાં અશોક જોડે રતનનું સગપણ કરી દીધું. અશોક અને રતનની ઉંમરમાં દસ વરસનો ફરક હતો પણ અશોકનું કુટુંબ શ્રીમંત અને સારી શાખ ધરાવતું હોય શરદભાઈને ઉંમરનો બાધ ન લાગ્યો. રતન તો રૂપરૂપના અંબાર જેવી દેખાતી હતી, જયારે અશોક દેખાવે સાવ બરછટ અને મોટી ઉંમરનો લાગતો હતો. રતને લગ્ન ફક્ત રીવાજ નિભાવવા પૂરતાં જ કર્યા હતાં, બાકી તેની અંદરની સ્ત્રીનું અસ્તિત્વ તો નામશેષ થઈ ગયેલું. મુગ્ધાવસ્થાના દરેક સ્વપ્ન રોળાઈ ગયા હતાં. પિયરમાં સાવકી માતાનો ત્રાસ હતો તો સાસરામાં સાસુ પણ તેની માતા કરતાં સહેજ પણ ઉતરે તેમ ન હતી. અશોકે પણ સામાજિક પ્રતિષ્ઠા જાળવવા અને પોતાની શારીરિક જરૂરિયાત સંતોષવા પૂરતાં જ લગ્ન કર્યાં હતાં. સાસરે આવ્યા પછી રતનની દરેક અભિલાષા પાણી વિના કોઈ વેલ સુકાઈ જાય તેમ સુકાઈ ગયેલી પણ લગ્નનાં દોઢ વરસ પછી સુકાઈ ગયેલી વેલમાં ફરી નવા કુંપળ ફૂટ્યાં અને રતન ગર્ભવતી થઈ.
રતન રોજ નજીકમાં આવેલ શિવ મંદિરે જઈને દીકરી અવતરે એ માટે પ્રાર્થના કરતી. તેણે મનમાં નિશ્ચય કરેલો કે પોતાને જે કંઈ પણ નથી મળ્યું તે બધું જ પોતાની દીકરીને આપશે. ભગવાને રતનની પ્રાર્થના સાંભળી અને તેને ત્યાં લક્ષ્મીજી અવતર્યા.
અશોક અને એની માતાને દીકરી જન્મ થયો તે જરાય નહોતું ગમ્યું અને એમાંય રતનની સુવાવડ વખતે ઓપરેશન કરવું પડ્યું હતું ત્યારે ડોકટરે સ્પ્ષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે રતન બીજો ગર્ભ ધારણ કરવા માટે સમર્થ ન હતી. એટલે એમને તો આવેલી દીકરી કણાની જેમ ખૂંચતી.
રતને તેની દીકરીનું નામ સરિતા પાડ્યું. તે આખો દિવસ સરિતાને છાતી સરસી ચાંપીને અનહદ વ્હાલ કરતી. સરિતા સહેજ પણ રડે તો રતન અડધી થઈ જતી, કામ છોડીને તેને તેડી લેતી. આ બધું અશોક અને તેની માતાને બિલકુલ ન ગમતું. તેઓ રતનને મ્હેણાં ટોણાં મારતાં પણ એ બધી વાતોનો રતનને ખાસ ફરક પડતો ન હતો. તે બધું મૂંગા મોઢે સાંભળી લેતી. તે સરિતાને એટલો પ્રેમ આપતી કે એને ક્યારેય બીજા કોઈની ખોટ સાલતી નહીં. પતિ અને સાસુનો અણગમો સહન કરીને પણ રતન સરિતાની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરતી. તેને ભાવતું ભોજન, સારામાં સારાં કપડાં, રમકડાં બધું જ લઈ આપતી. તેને ઢીંગલીની જેમ તૈયાર કરતી અને ખૂબ રમાડતી. તેને સ્કૂલે મૂકવા પણ જાતે જ જતી. ક્યારેક સરિતાને ક્લાસમાંથી છૂટતા પાંચ મિનિટ પણ મોડું થતું તો રતન બેબાકળી બની જતી.
એકવાર હાઈસ્કુલમાંથી એક દિવસ માટે પિકનિક પર જવાનું હતું. સરિતાને બહુ મન હતું એટલે રતને જવા તો દીધી, પણ સરિતાને પિકનિકમાંથી આવતા રાતનાઆઠ વાગી ગયા તો રતન માટે તે સમય કાઢવો ખૂબ કપરો થઈ પડ્યો. જયારે સરિતા પરત ફરી ત્યારે તરત તેને વળગીને રતન ખૂબ રડી. સરિતા પણ માનું દર્દ સમજી ગઈ એટલે તેણે નક્કી કર્યું કે પોતે રતનથી ક્યારેય દૂર નહીં જાય. ક્યાંય રમવા જવાને બદલે ફળીયામાં જ માની નજર સામે જ રમતી. દિવસો પસાર થવા લાગ્યા. રતન અને સરિતા મા-દીકરી નહીં પણ બે ખાસ સખી બની ગયેલી. સરિતાને પણ રતન સિવાય બીજી કોઈ બહેનપણી ન હતી. તે નાનામાં નાની વાત પણ પોતાની માને કહેતી. આડોશપડોશમાં બધાં રતનને પૂછતાં કે ‘સરિતા જયારે સાસરે જશે ત્યારે તારું શું થશે?’ પણ રતનને બદલે સરિતા જ જવાબ આપી દેતી કે 'હું તો મારી વ્હાલી માને મુકીને ક્યાંય નહીં જાઉં.'
સરિતા માટે સારા ઘરના માગા આવવા લાગ્યા. દાદી અને બાપુ પણ લગ્ન માટે બહુ દબાણ કરવા લાગતા નાછૂટકે સરિતાએ પણ હા પાડવી પડી. તેને માની ખૂબ ચિંતા થતી હતી. તે જાણતી હતી કે તેની મા તેના માટે જ જીવે છે પણ હવે નાછુટકે અલગ થવું જ પડે એમ હતું.
એક દીવસ મોટા શહેરનાં નગરશેઠ કહી શકાય તેવા ઘરેથી સરિતા માટે માગું આવ્યું. છોકરો દેખાવડો અને બધી રીતે સરિતાને લાયક હતો એટલે ના પાડવાનો સવાલ જ ન રહ્યો. અંતે બધાંની ઈચ્છા મુજબ સરિતાનું સગપણ ત્યાં નક્કી થઈ ગયું. રતનનો હરખ સમાતો ન હતો પણ મનમાં ક્યાંય ઊંડે તેને સરિતાથી દૂર થવાનો વિષાદ ઘેરી વળતો હતો. લગ્નની આગલી રાતે સરિતાએ મા પાસેથી વચન લીધું કે તે વિદાય વખતે કે એ પછી બિલકુલ રડશે નહીં. તેણે માને પોતાની પાસે જ સુઈ જવા કહ્યું એટલે રતને ના ન પાડી. તે માના ખોળામાં માથું રાખીને નાનપણની જેમ જ સુઈ ગયેલી, પણ રતનની આંખોમાં ઊંઘનું નામ ન હતું! તે તો આખી રાત સરિતાને તાકતી રહી અને વ્હાલથી તેના ગાલ અને માથા ઉપર હાથ પસવારતી રહી.
સરિતાના લગ્ન ખૂબ ધામધુમથી થયા અને વિદાયની કપરી ઘડી આવી ગઈ. રતને હ્રદય પર પથ્થર મૂકીને દીકરીને આપેલું વચન પાડ્યું. વિદાયવેળાએ આંખમાં એક પણ આંસુ આવવા ન દીધું અને પોતાના કાળજાનાં કટકાને હસતા મોઢે વિદાય આપી.
ધીમે ધીમે બધા મહેમાનોની પણ રવાનગી થઈ ગઈ. રતનને હૃદય ભારે થઈ ગયેલું લાગતાં તે રૂમમાં આરામ કરવા જતી રહી. પથારીમાં પડ્યા પડ્યા સરિતાના જન્મથી માંડીને તેની વિદાય સુધીની બધી વાતો તેને યાદ આવવા લાગી અને આંખોમાંથી આંસુઓ દડદડ વહેવા લાગ્યાં. તેને એક વાતનો સંતોષ હતો કે તેણે ક્યારેય પોતાની દીકરીને કોઈ વાતનું ઓછું આવવા દીધું ન હતું. જે મમતાથી પોતે વંચિત રહેલી, તેનાથી અનેક ગણું વ્હાલ તેણે સરિતાને આપેલું. આવા જ વિચાર કરતાં તેની આંખ લાગી ગઈ.
સરિતા સાસરે પહોંચી અને બાકીની વિધિ પૂરી થઈ ત્યાં તેને અચાનક માએ સાદ પાડ્યો હોય એવું અનુભવાયું. તેનું મન બહુ ગભરાવા લાગ્યું એટલે રતન સાથે વાત કરવા તેણે પોતાના ઘરે ફોન જોડ્યો. અશોકે ફોન ઉપાડ્યો અને સરિતાને કહ્યું કે ‘રતન રૂમમાં આરામ કરે છે.’ આમ છતાં સરિતાએ મા સાથે વાત કરવાની જીદ કરી એટલે અશોક રૂમમાં રતનને બોલાવવા ગયો. બહારથી બે ત્રણ વાર સાદ પાડવા છતાં રતને જવાબ ન આપ્યો. અશોક રૂમની અંદર જઈને રતનને જેવો ઉઠાડવા ગયો તેનો હાથ નીચે ઢળી પડ્યો. અશોકના મોઢામાંથી રતનના નામની ચીસ સંભળાય જતાં સરિતા અસહ્ય આક્રંદ સાથે ત્યાં જ ફસડાઈ પડી.....!
