મહત્વ ગૌરીવ્રતનું
મહત્વ ગૌરીવ્રતનું
આજનાં યુગમાં ગૌરીવ્રતનું મહત્વ કોઈને સમજાતું નથી અને ગૌરીવ્રત દીકરીઓને કરાવતાં જ નથી. ગૌરીવ્રત તો એ છે કે એનાં થકી આપણને નાનપણથી જ ઉપવાસ કરવાની શક્તિ પ્રદાન કરે છે. ગૌરીવ્રત ખાલી સારો પતિ મળે એ હેતુથી નથી થતો. ગૌરીવ્રત થકી શિવ પાર્વતીની પૂજા થકી આપણી ભારતીય સંસ્કૃતિથી જોડાયેલા રહેવા માટે બાળપણથી જ સંસ્કાર વિધિ શરૂ થાય છે.. જેમકે ત્રણ વર્ષનાં બાળકોને ભણવા મૂકવા માટે બાળમંદિરને શિશુવર્ગ છે એમજ આ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા માટે આ ગૌરીવ્રત છે જેનાથી બાળપણથી જ સંસ્કાર મળે છે. તો અહીં કોઈ એવો સવાલ પણ કરશે કે તો છોકરાઓ ને કેમ નહીં ?
એ સવાલ થવો જોઈએ તો એનો જવાબ છે કે એક સ્ત્રી જ માતા બની શકે એવી શક્તિ છે અને નારી જ નારાયણી છે. અને એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે. માટે જ નાની બાળકીઓને નાનપણથી જ આપણી સંસ્કૃતિ વિશે માહિતી હશે તો આવનારી પેઢીને એ પારંપરિક સંસ્કૃતિ અને ધર્મની અને સારાં સંસ્કારનું સિંચન કરી શકશે !
વિચાર કરો કે ગૌરીવ્રત ખાલી પતિ મેળવવા માટે જ થાય છે ?
આજે મોબાઈલમાંથી દસ મિનિટ પણ કાઢીને દીકરીઓને ગૌરીવ્રત પૂજા કરાવતાં નથી અને ઉપરથી એમ કહે કે મેં પણ ગૌરીવ્રત કર્યું હતું મને ક્યાં સારો પતિ મળ્યો છે.
આમ જુઓ તો લગ્ન એક પવિત્ર બંધન છે અને ઘણાખરા અંશે એ સફળ થાય છે અને ક્યાંય એ અપેક્ષાઓનાં ભારથી પવિત્ર ભાવના રૂંધાઈ જાય છે.
તો એમાં તો એવું છે કે..
સો માં દસ પુરુષો ખરાબ હોય તો બધાં જ પુરુષો ખરાબ છે એમ નાં કહી શકાય.. એમ તો સોમાંથી દસ સ્ત્રીઓ પણ ખરાબ હોય છે.
તો બધીજ સ્ત્રીઓ સરખી છે એમ એક લાકડીએ બધાને હાંકી કાઢવામાં આવે એ ક્યાંનો ન્યાય છે.
ગૌરીવ્રત આપણાં ભારતીય સંસ્કૃતિની ધરોહર છે અને એની જાગૃતિ અને ધાર્મિક મહત્વ આજનાં આધુનિક યુગમાં બાળકોને સમજાવવું જરૂરી છે નહીંતર આવનારી પેઢીઓને ભારતીય સંસ્કૃતિ વિષે શિબિરો ભરવી પડશે. ગૌરીવ્રતનું મહત્વ આપણે જ આપણા સંતાનોને સમજાવું જોઈએ એમ મારું માનવું છે.