માતૃપ્રેમ
માતૃપ્રેમ
અનિતાના લગ્ન જીવનને બે વર્ષ થયાં હતાં. આ બે વર્ષમાં તેને પોતાની મા હર પલ યાદ આવતી. સાસુ મેણાં ટોણાં મારે ત્યારે, પતિ સાથે કોઈ બાબતમાં ઝઘડો થતો ત્યારે, વસતારી કુટુંબ એટલે કામ ખુબ કરવું પડતું ત્યારે, ક્યારેક એકલતા અનુભવતી ત્યારે, મા ખૂબ યાદ આવતી.
"માં તે માં બીજા બધા વગડાનાં વા" " જનનીની જોડ સખી નહી જડે રે લોલ" "મા "વિશેનાં આ તમામ શબ્દો તેને ખૂબ અનમોલ લાગતા. અનિતાએ બધી જ પરિસ્થિતિનો સામનો કરી, લગ્નજીવનને સુખમય બનાવ્યું હતું. આજે તો અનિતા પોતે મા બનવા જઈ રહી હતી. નવ મહિના સુધી એક નાનકડાં જીવને પોષીને જન્મ આપવો એ હરેક મા માટે અનહદ ખુશીની ક્ષણ હોય છે.
અનિતાને નવ મહિના પૂરાં થાય છે. અને બે જુડવા દીકરીઓને જન્મ આપે છે. અનિતાના ઘરે સાક્ષાત બે લક્ષ્મીનો અવતાર જન્મ લેતાં તેની ખુશીનો કોઈ પાર નથી રહેતો. આજના સમયમાં હજુ પણ ઘણાં પરિવાર એવા છે કે, જે દીકરીનો જન્મ થાય, એટલે વહુને મેણાં ટોણાં મારતાં હોય છે. અનિતા પણ આવાં જ સંકુચિત વિચારોનો ભોગ બની હતી. તેનો પતિ બે જુડવા દીકરી આવવાથી અનિતા સાથે છૂટાછેડા લે છે. અનિતા પર જાણે આભ તૂટી પડે છે.
અનિતાની મા તેને પૂરો સહકાર અને હિંમત આપે છે. અનીતાને તેનાં મમ્મીનો પ્રેમ, વાત્સલ્ય બધું યાદ આવે છે. અને તે પોતાની દીકરી માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે. અનિતા પણ બે દીકરીની માં છે. તે પણ હવે પોતાની દીકરીઓ માટે માતા અને પિતા બંનેની જવાબદારી નિભાવે છે. અને તેમની દીકરીઓ ભવિષ્યમાં ક્યારેય પાછી ન પડે, તેવાં સંસ્કારોથી પોતાની ફૂલ જેવી દીકરીઓનું ઘડતર કરે છે.
ખરેખર, "માં"ના તોલે કોઈ ન આવે એ વાત અનિતા સાબિત કરી બતાવે છે.