માસૂમ બાળપણ
માસૂમ બાળપણ
પંડિત જવાહરલાલ નહેરુના જન્મ દિવસને આપણે બાળદિન નિમિત્તે ઉજવીએ છીએ. તો બાળક શું છે ? બાળક એટલે......કુતૂહલથી છલકાતી આંખો, મેઘધનુષી રંગબેરંગી રંગોળી, નવું શીખવાની ધગશ, સતત કંઈ ને કંઈ કરવાની તાલાવેલી, માસુમ સૂતેલા બાળકને ઘસઘસાટ ઊંઘતા જોવું એ પણ એક લ્હાવો છે. પણ હાલનાં સમયમાં બાળકનું બાળપણ છીનવાઈ ગયું છે.
આધુનિક યુગમાં હજુ તો બાળકે જન્મ પણ ન લીધો હોય ત્યાં જ તે ડોકટર, ઈજનેર, લેખક કે વૈજ્ઞાનિક બને તે મા બાપ વિચારવા લાગે છે. બાળકનાં પોતાનાં વિચારો, ઈચ્છાઓને કોઈ માન આપતું નથી. બસ પછી તો શાળા, ટયુશન, કરાટે ક્લાસિક, સંગીત ક્લાસિકના ભારણ નીચે બાળકનું બાળપણ રૂંધાય જાય છે.
કુદરતે આપેલી શકિત જેવી કે સૂરજનું ઊગવું, ખળખળ વહેતા ઝરણાંઓ, પંખીઓનો કલરવ આ બધું બાળક કયારેય માણી શકતું નથી. પોતાનાં સંતાનોને સફળ બનાવવા એ દરેક માતા-પિતાની ઈચ્છા અને ફરજ છે પણ તેના વ્યક્તિત્વનાં ભોગે તો કયારેય નહીં ! જો બાળકમાં ટેલેન્ટ હશે તો તે હંમેશા આગળ આવશે જ ! ડો. અબ્દુલ કલામ સામન્ય પરિવારમાંથી હતાં છતાં પણ તે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ બની શક્યાં.
સાચું કહો તો આપણે પોતે જ બાળકનાં બાળપણને છીનવી રહ્યા છે. બાળકમાં ગુણોનું સિંચન કરવાને બદલે આપણે તેને શાંત કરવાં વિડિઓ ગેમ, મોબાઈલ, કાર્ટુન જેવી આદત પાડીએ છીએ. તેની દરેક જિદ પૂરી કરી આપણે તેને જિદ્દી બનાવીએ છીએ.
આમ, માતા-પિતા પોતાની ઈચ્છાઓ સાકાર કરવાં બાળકોનાં સપનાંઓ ભારેખમ બનાવી રહ્યા છે. બાળક એક કુમળું ફૂલ છે. તેને બગીચાની શોભા બનાવો ન કે દિવાનખાનાના વાઝમા ગોંધી રાખો.