લગ્ન એક આજીવન સફર
લગ્ન એક આજીવન સફર
લગ્ન એક એવી સફર છે જેમાં બે અજાણ્યા લોકો સાથે મળીને હું અને તું માંથી આપણે બનવાની એક અલગ જ સફર છે. લગ્નનાં બે પાત્રો અલગ અલગ કુટુંબમાંથી આવે છે. સ્વભાવ અલગ, રૂઢિઓ અલગ છતાં પણ બંને જો એકબીજાને સમજવાની કોશિશ કરે તો દામ્પત્યજીવન મધુર બને છે.
શરૂઆતમાં બંનેને તકલીફ પડશે. પછી ધીમે ધીમે એકબીજાનાં ગમા, અણગમાને ઓળખીને આગળ વધે તો જરૂર ખુશ રહેશે. પાર્ટનરનું મોં જોઈને મુડને પારખી જવાની કળા જો હસ્તગત થઈ જાય તો જીવન સીધું જ ચાલવા લાગે છે. સંપુર્ણતાનો આગ્રહ છોડી એકબીજાની ભૂલોને માફ કરતાં શીખો. તો જીવન મજેદાર બની જાય.
ચા ન ભાવે તો પણ ચા પીતા થઈ જાવ, અણગમતી ટેવોને પણ ગમતી બનાવી લો. એ જ સાચો પાર્ટનર સાબિત થાય છે. એ.સી. ની ઠંડી હવા માફક ન આવે છતાં પણ ધાબળો ઓઢી સાથીના હૂંફાળા સ્નેહને પામશો તો લગ્ન બોજ નહી લાગે.
અહીં થોડી થોડી તૂ તૂ મે મે કે નોકઝોક થશે, પણ દિલ તો બંનેનાં એક જ હશે. સમય જતાં બંને એકબીજાનાં શ્વાસ બની જાય છે. એકબીજા વગર રહેવું મુશ્કેલ બની જાય છે. માતા-પિતા, ભાઈ બહેન એ બધાં સંબંધો તો લોહીનાં છે. પણ લગ્નમાં તો અજાણી, અનોખી વ્યક્તિને જાણીતી અને પ્રિય લાગે તેવી બનાવવાની હોય છે. સંસારમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.પણ જીત મેળવવાની હોય છે. બાળકો મોટા થતાં એ તો માળામાંથી ઊડી જશે પછી રહી જશે ફક્ત પતિ પત્નીનો સાથ, પ્રેમ..... તો પતિ હોય કે પત્ની, તેને માન આપો, દિલમાં સ્થાન આપો. આ એક જ વ્યક્તિ એવી છે કે આજીવન તમારો સાથ છોડશે નહીં.
આમ, લગ્ન જીવન એ એક આજીવન સફર છે. એમ કહેવું જરાપણ ખોટું નથી.