કરિયાવર
કરિયાવર
દીકરીના લગ્નમાં કરિયાવરમાં આપવાની તમામ ચીજવસ્તુઓ પર એક નજર નાખીને શેઠ જીવરાજ આડતીયા અભિમાનની લાગણી અનુભવી રહ્યા હતા.
કરોડપતિ શેઠ જીવરાજ આડતીયાની દીકરીના લગ્ન હોય પછી શું ખામી હોય? ચમચીથી માંડીને ઓવન સુધી, ઈયરફોનથી માંડી એરકન્ડીશનર સુધી, કપડાની તો આખી દુકાન જ જાણે, હનીમુન ટુર, કલબ મેમ્બરશીપ વગેરે બધુજ ! ટુંકમાં રૂપિયાથી ખરીદી શકાતા તમામ સુખો શેઠે પોતાની દીકરી માટે ખરીદ્યાં હતાં.
શેઠે અભિમાનભરી એક નજર ફેરવી અને દીકરીને કહ્યું, “જો બેટા, આમાં હજુ કશું ખૂટતું લાગે તો કહી દે, શેઠ જીવરાજ આડતીયા પળમાં એ હાજર કરી દેશે.”
દીકરીએ પપ્પાથી નજર મિલાવી, ગળે થોડો ડુમો બાઝ્યો. ધ્રુજતા અવાજે એ બોલી, “પપ્પા,મારું બચપણ !”
અને શેઠની ગર્વીલી નજર જરા ઝાંખી થઇ અને આંસુનું એક ટીપું આંખમાંથી ઉતરી આવ્યું.