હસ્તરેખાઓ
હસ્તરેખાઓ
રંગપુર નામનું એક સુંદર મજાનું નાનું અમથું ગામ હતું આ ગામમાં ક્રિશિવ છોકરો રહેતો હતો. બાળપણથી જ તે ખુબ જ હોશિંયાર અને ચબરાક, ચંચળ પણ એટલો જ. ક્રિશિવ નવુ નવું જાણવા માટે હંમેશા ઉત્સુક રહેતો. એક વખત તેણે હાથની રેખાઓ વિશે સાંભળ્યું તેને આ બધું જાણવાનો ખૂબ જ રસ જાગ્યો. ગામમાં એક વૃદ્ધ પંડિત રહેતા હતા, લોકો કહેતા કે તેઓ હાથ જોઈને ભવિષ્ય કહી દેતા.
એક દિવસે ક્રિશિવને પણ પોતાના હાથ તેમને બતાવવાનું મધ થયું તે પંડિત પાસે પહોંચ્યો અને તેનો હાથ આગળ કર્યા અને પૂછ્યું,
“મારા હાથમાં શું લખાયું છે?”
પંડિતે તેની રેખાઓને ધ્યાનથી જોઈ અને કહ્યું,
“તારા હાથમાં મોટી સફળતા લખાઈ નથી.”
આ શબ્દો ક્રિશિવના દિલમાં સીધા ઘૂસી ગયા. એ દિવસથી એ માનવા લાગ્યો કે કદાચ એ કંઈ મોટું કરી શકશે નહીં. તે મહેનત તો કરતો, પણ અંદરથી વિશ્વાસ તૂટી ગયો હતો.
સમય પસાર થયો. એક દિવસ ગામમાં એક શિક્ષક આવ્યા. તેમણે ક્રિશિવને નિરાશ જોઈને પૂછ્યું,
“તું આટલો ઉદાસ કેમ રહે છે, કેમ કોઈ પ્રવૃત્તિ કે સ્પધૉ માં જોડાતો નથી?"
ક્રિશિવે કહ્યું,“મારા હાથમાં સફળતા નથી લખાઈ…”
શિક્ષકે હળવું સ્મિત કર્યું અને કહ્યું,
“હાથની રેખાઓ શું છે ખબર છે?
ક્રિશિવે નકારમાં માથું ધુણાવ્યું.
શિક્ષકે કહ્યું: હસ્તરેખાઓ તો આપણી મહેનત અને સમય સાથે બદલાય છે. જો બધું હાથમાં જ લખાયેલું હોત, તો માણસ પ્રયત્ન શા માટે કરે?”
આ શબ્દોએ ક્રિશિવને ઝંઝોળી નાખ્યો.
તે દિવસથી તેણે હાથની રેખાઓ જોવી બંધ કરી અને પોતાના હાથથી કામ કરવું શરૂ કર્યું. દિવસ-રાત મહેનત કરીને તે સ્કુલમાં પણ ટોપ આવવા લાગ્યો અને ભણીગણીને એ ગામનો સૌથી સફળ યુવાન બની ગયો.
વર્ષો પછી, એ ફરી પંડિત પાસે ગયો અને પોતાના હાથ બતાવ્યા.
પંડિત આશ્ચર્યમાં પડી ગયા.
“આ તો એ હાથ જ નથી… રેખાઓ બદલાઈ ગઈ!”
ક્રિશિવે હસીને કહ્યું,
“હાથની રેખાઓ નહિ, મેં મારી જિંદગી બદલી છે.”
હાથમાં શું લખાયું છે એ કરતા, હાથથી શું લખી શકાય છે એ વધારે મહત્વનું છે.
