હસ્તાક્ષર
હસ્તાક્ષર
ચંદુભાઈ અને જગુભાઈ પોતાના માં-બાપનાં સ્વર્ગે સિધાવ્યા પછી ગામડાંની જમીન અને મકાન વેચી નાંખવા માટે તલપાપડ થઈ રહ્યા હતાં. પરંતુ બંને ભાઈઓ અને તેમની પત્નીઓને મનમાં બીક હતી કે સાસરે ગયેલી પોતાની જે એક બેન છે એ કદાચ મિલ્કતમાં ભાગ માંગશે અને પૂરો ભાગ આપવાની ના કહીશું તો ક્યાંક જમીન મકાનનાં કાગળિયામાં સહી નહીં કરે. અને એની સહમતિ વગર તો મિલ્કત વેચી જ નહીં શકાય. તો પણ એક દિવસ નક્કી કરી બંને ભાઈઓ બેનનાં ઘરે ગયા. તેમણે બેનને કાગળિયામાં સહી કરવા અને મિલ્કત વેચાઈ ગયા પછી થોડા રૂપિયા આપશે એમ કહ્યું.
આ સાંભળી બેને કહ્યું," અરે મારા વીરા તમે આજે મારી પાસે સહી લેવા આવ્યા. હું તો જે દિવસ સાસરે આવી એ જ દિવસે મેં ઘરનાં બારસાખ પાસે મારાં હાથના કંકુથાપા રૂપી હસ્તાક્ષર આપી જ દીધા છે કે આ ઘરથી હવે મારે લાગણી અને પ્રેમ સિવાય કશું જ ન ખપે. ભાઈ-ભાભી મને પ્રેમથી રાખે એ જ મારા માટે મારો મિલ્કતનો ભાગ. લાવો આજે કાગળિયામાં કાયદેસરના હસ્તાક્ષર કરી આપું."
આ સાંભળી બંને ભાઈઓને પોતાના વિચારો પર ખૂબ પસ્તાવો થયો, કે એમણે તો બેન મિલ્કતમાં પોતાના ભાગ માંગશે જ એવું કેવું ખોટું અનુમાન કર્યું હતું. અને બેને તો પ્રેમ સિવાય કશું જ ન માંગ્યું.
