ગુરુ
ગુરુ
ગુરુને ભગવાનથી પણ ઊંચો દરજ્જો અપાયો છે. તેથી જ તો કહેવાયું છે,
"ગુરુ ગોવિંદ દોનો ખડે કા'કે લાગુ પાય ?
બલિહારી ગુરુ, આપકી જીન્હે ગોવિંદ દિયો બતાય!!"
જે ગોવિંદ સુધી પહોંચાડે તે મહાન ગુરુ ! એ ન હોય જો ઘણીવાર ભગવાન સુધી પહોંચવાની નેમ પણ ન હોત ! જન્મદાતા માબાપ છે. પણ, ત્યારે આપણે કાચી માટીના પિંડ જેવા ! ગુરુ આપણને એના શરણમાં લઇ, કુશળ કુંભારની જેમ, ટપલા મારી ને ઘડે ! પણ, ભીતર પ્રેમનો હાથ ફેરવીને આપણને તૂટવા ન દે ! એવો પ્રેમ કરે એ ગુરુ ! જે દીકરાને લોટ પાણીમાં ડોહીને પીવડાવતાં જોઈ પુત્રપ્રેમ ને વશ રાજ્યાશ્રિત થવાનું સ્વીકારે, એ જ દ્રોણાચાર્યે અર્જુનમાં જ્યારે પાત્રતા જોઈ તો,એ જ પિતા પુત્રથી વધુ નજીક અર્જુનને પોતાનાથી પણ સવાયો, શ્રેષ્ઠ ધનુર્ધર બનાવે તે ગુરુ !!
જીવને સંસારમાં સદ્દગુરુનું શરણ મળી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. કેમ કે એક ઉત્કૃષ્ટ ગુરુ શિષ્યને ક્યારેય મઝધારે છોડતાં નથી. ફક્ત, મોક્ષ માર્ગ બતાવે જ નહીં પણ ત્યાં સુધી પહોંચાડી દે, એવુ, જીવનું જતન કરી વિકાસ કરે એ ગુરુ !
દુનિયામાં ગુરુ શિષ્યના જ્વલંત ઉદાહરણો બીજા અનેક છે.
સોક્રેટિસ, એરિસ્ટોટલ, પ્લેટો, શિવાજી અને રામદાસ, ચંદ્રગુપ્ત અને ચાણક્ય, આવા તો નામી અનામી ઘણા શિષ્યોને ઉત્તમ ગુરુ પ્રાપ્ત થયા અને સેંકડોના જીવન ઉજાગર કર્યા ! પોતે જ ગુરુ હોવા છતાંપણ, જ્યાંથી પણ જ્ઞાન મળે એને ગુરુ બનાવનાર એવા ગુરુ દતાત્રેય કેમ ભુલાય ?
સાચા ગુરુની દ્રષ્ટિ એના શિષ્યના આત્મવિકાસ પ્રત્યે હોય, નહિ કે એના સ્ટેટસ કે બેન્ક બેલેન્સ પર ! પણ, આજે આવા મહાન ગુરુ મળવા મુશ્કેલ ને મળે તો ઓળખવા મુશ્કેલ ! ત્યારે, જે વૈચારિક મિત્રતા કે પતિ પત્ની કે સ્વજનમાં, આપણને કોઈ વ્યક્તિ એવી મળી જાય કે આપણી અંદર રહેલા દુર્ગુણો, કમી, જેવા વિકારો દૂર કરવામાં મદદ કરે અને જેનાથી આપણો આધ્યાત્મિક વિકાસ થતો જાય અને અલૌકિક આનંદની અનુભૂતિ કરતાં કરતાં પરમતત્વની નજીક લઈ જાય, એ વ્યક્તિ પણ શું આપણા માટે ગુરુ નથી ?
જો માં પોતાના દીકરા ને માટે આ કરી શકે તો અભણમાં પણ, વિદ્વાન દીકરાની ગુરુ છે. જેમ કે થોમસ આલ્વા એડિસનની મા ! જેને સ્કૂલમાંથી એમ કહી હાંકી કાઢ્યો હતો કે આ કઈ શીખી શકે એમ નથી. એને એ જ માં એ ભરપૂર વિશ્વાસ સાથે જણાવ્યું કે તને ભણાવવા માટે એમની પાસે કઈ નથી. જો એ માં ન હોત તો એક હજારથી વધુ શોધ કરનાર વૈજ્ઞાનિક આ વિશ્વને ન મળત !
પત્ની જો શ્રેયનો માર્ગ બતાવે તો એ પણ ગુરુ છે. જેવી રીતે તુલસીદાસ અને રત્નાવલી. વાલ્મિકી ને નારદ ! શુક ને સૌનક ! સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ ! પરીક્ષિત અને વ્યાસજી !
ગુરુ તો પારસમણિ થી પણ વધુ મૂલ્યવાન છે ! પારસમણિ, લોખંડને સોનુ બનાવે.. જ્યારે ગુરુ તો, લોઢા જેવા મૂઢ ને સોનુ નહિ પારસમણિ બનાવે !
ગુરુ જ એક એવી વ્યક્તિ છે કે લોહીનો સંબંધ ન હોવા છતાં, શિષ્ય ને પોતાના કરતા સવાયો બનાવે ! આ ગુરુરૂપી પારસમણિ
લોઢાને સોનુ ન બનાવતા, પારસમણિ બનાવે ! ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સૌ પોતપોતાના ગુરુદેવને નમસ્કાર કરીએ.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ! ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ,તસ્મેય શ્રી ગુરવે નમઃ !