એક વચન અમૂલ્ય જીવનને
એક વચન અમૂલ્ય જીવનને


વચન. શબ્દ નાનો પણ એનું મહત્વ જીવનમાં શું છે એ સમય સમજાવી જાય. સાચી રીતે આપણે વચનનું મહત્વ કદાચ ન પણ સમજ્યા હોય. એક સામાન્ય વાત છે કે કોઈ એ આપણને,"હા પાક્કું"એમ કહ્યું હોય તો આપણે એની અપેક્ષા એ બેસી રહીએ. અને ક્યારેક આપણે કોઈને આપેલું વચન ભૂલી પણ જઈએ.
અત્યાર સુધીના આપણા જીવનમાં આપણે કેટલાય લોકોને વચનો આપ્યા હશે. એમાંથી થોડા ગંભીરતાથી લીધા હશે તો કદાચ કોઈક વચનો ભૂલી પણ ગયા હશે.
આતો આપણે કોઈ વ્યક્તિને આપેલા વચનની વાત થઈ. આપણે આપણા અમૂલ્ય જીવન ને કેટલા વચનો આપ્યા છે આજ સુધી....? જીવન પ્રત્યે શું આપણી જવાબદારી એટલી જ છે કે કામ કરો રૂપિયા કમાવો અને સાંજે ઘેર ભેગા થઈ જાવ....? આપણે આપણી ખુશી વિચારીએ છીએ, પરિવારના સભ્યોની ખુશી નો વિચાર કરીએ છીએ. તો આપણા અમૂલ્ય જીવન માટે કંઈ નહીં...?
હું તને સમજીશ....
જરૂરી છે જીવનને સમજવું. બાકી તો, મારી લાઇફમાં જ કેમ આવું થાય છે...!?? ને પેલા ને કેટલી શાંતિ છે,બધું જ છે એની પાસે મારી સાથે કેમ નથી..!!? વગેરે વગેરે તો ચાલ્યા જ કરવાનું. અને જીવનના અંત સુધી એવું જ રહેવાનું. ત્યારે શાંતિથી ખુશ રહેવા આ એક વચન જીવનને આપવું જોઈએ કે હું મારા જીવનને સમજીને ચાલીશ. જેવો પણ છે, એ મારું જીવન છે, હું મારી રીતે એને આકાર આપીશ. બધા પાસે બધું નથી હોતું પણ એને મેળવવાનો દરેક વ્યક્તિ પાસે છે. મહેનત અને વિશ્વાસથી જે કંઈ તમારા જીવનમાં ખૂટતું હોય એ મેળવી લો અને એટલે એના માટે સૌથી જરૂરી છે કે પહેલા આપણે પોતપોતાના જીવનને સમજીએ... ન મળ્યાનો અફસોસ કર્યા કરવા કરતા સંતોષપૂર્વક રહીને નવું મેળવવાની આશા રાખો. ઉદાસ થઈને બેસી રહેવા કરતા અને ઈર્ષ્યા કરવા કરતા એમ કહો કે હું મારા જીવનને સમજીશ અને આગળ વધીશ.
વચન તને સાચવવાનું:
રૂપિયા સાચવતા આવડી જાય, પરિવારના સંબંધો સાચવતા આવડી જાય પણ જ્યારે જીવન પર દુઃખ આવી પડે ત્યારે એને પણ સાચવવાનું ને..
કોઈપણ વાતમાં સફળતા મળે વ્યક્તિ નિરાશ થઇ જાય, ખૂબ પ્રયત્ન કરે પરંતુ અંતે એને ન સમજાય કે કરવું શું..? એકલી સાવ કાયર જેવો નિર્ણય લઈ લેશે. જીવનનો અંત લાવવાનો નિર્ણય! કોણે આપ્યો આ અધિકાર....? એક અમૂલ્ય જીવનને આ રીતે સાવ નકામી વસ્તુ સમજીને એનો ત્યાગ કરવાનો અધિકાર કોણે આપ્યો ? જીવન તમારું પોતાનું ભલે હોય એની સાથે કેટલાયે લોકો સંકળાયેલા હોય છે એ પણ યાદ રાખવાનું.. આત્મહત્યા કરીને છૂટકારો નથી મળતો પરિવારને હંમેશા માટે ન ભૂલાય એવી વેદના આપી જાય છે લોકો.
સુખ પણ ભોગવીએ છીએ ને આપણે તો આપણે આ વચન યાદ રાખીએ કે,"મારા જીવનને હું સાચવીશ ખૂબ કાળજી રાખીશ, સ્વાસ્થ્ય રહીને, ખુશ રહીને, દરેક પડકારોનો હિંમતપૂર્વક સામનો કરીને હું મારા જીવનને સાચવીશ. આત્મહત્યા જેવા ખોટા અને નકામા વિચારોને મારા સુંદર જીવનથી હંમેશા દૂર રાખીશ.
વચન તને પ્રેમ કરવાનું:
ખૂબ જ અનોખી લાગણી છે. પ્રેમ. બધાને કરી શકીએ તો આપણી જાતને આપણા અમૂલ્ય જીવનને પણ કરવો જોઈએ. આપણા અને આપણા જીવન વચ્ચેના પ્રેમને ખૂબ ગાઢ બનાવો. જીવનનું મહત્વ સમજીએ અને એને ખુબ પ્રેમ કરીએ. ખુશ રહેવાનો સૌથી સરળ રસ્તો.... આપણા અમૂલ્ય જીવનને પ્રેમ કરવાનું વચન પ્રમાણિકતાથી નિભાવીએ.