એક નવો અનુભવ
એક નવો અનુભવ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
“પહેલા અનુભવ કરો અને પછી લખો.”
લેખન ક્ષેત્રે મારા આ નિયમનું ચુસ્તપણે પાલન કરતા મને ઘણા સારા નરસા અનુભવો થયા છે. જેમાંથી એક સારા અનુભવનો હું ઉલ્લેખ કરવા માંગું છું કે જેણે મારા જીવન જીવવાની દિશા જ બદલી નાખી. વાત એમ બની કે હું સંદેશ દ્વારા સુપર વુમન ૨૦૦૯નો ખિતાબ મેળવેલ રેકી ગ્રાંડ માસ્ટર રમાબેન શિમ્પીના સંપર્કમાં આવ્યો. તેઓએ મને રેકી પર પુસ્તક લખવા માટે વિનંતી કરતા કહ્યું, “શું તમે રેકી વિષે પુસ્તક લખશો ? મારે આ સમાજ ઉપયોગી જ્ઞાનને લોકો સામે મુકવાનું છે.”
મેં કહ્યું, “હું રેકી વિષે લખીશ પરંતુ મને તેના વિષે કોઈ જ્ઞાન નથી એટલે વગર જાણ્યે હું તેના વિષે કેવી રીતે લખું ? પરંતુ જો તમે મને રેકી વિષેનું જ્ઞાન આપશો તો હું જરૂર લખીશ.”
તેઓ મને રેકી શીખવાડવા તરત તૈયાર થઇ ગયા. આમ પુસ્તક લખવા પહેલા મેં એમની પાસેથી રેકીની સંપૂર્ણ તાલીમ લીધી જે આજે મને વ્યક્તિગત રૂપે ખૂબ કામમાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હું લેખન માટે કરેલ અભ્યાસનો વ્યાવસાયિક રૂપે ક્યારેય ઉપયોગ કરતો નથી. રેકી અંગે પુસ્તક લખવા બાબતે રમાબેન જોડે થયેલો મારો સંપર્ક અમારા બંનેના જીવનનો યાદગાર પ્રસંગ બની ગયો છે. અહીં હું મારા શબ્દોમાં એ પ્રસંગને વર્ણવવાને બદલે રેકી ગ્રાંડ માસ્ટર રમાબેન શિમ્પીએ પુસ્તક માટે જે પ્રસ્તાવના આપ હતી તે જ જેમની તેમ પ્રસ્તુત કરું છું, આભાર.
*****
રેકીના પ્રભાવથી ૨૦૧૫માં મારા જીવનમાં બનેલી એક ઘટનાથી મારી વાતની શરૂઆત કરું. બહુ જ દિવસથી મારા મનમાં વિચાર આવતો હતો કે રેકી ઉપર પુસ્તક છાપું. રેકી વિષય પર લખું. મને એવું લાગતું હતું કે કોને કહું કેવી રીતે આ કામ બને ? આ માટે હું દિવસરાત વિચારતી હતી, જે રેકીથી મારું જીવન જ્યોતિમય બન્યું છે અને જે મારા રોમ રોમમાં સમાયેલી છે તે રેકી શક્તિ વિષે કેવી રીતે લખું ? લખું તો ખરી પણ કેવી રીતે છપાય ? હવે રેકીનોજ કમાલ કે એક દિવસ એક યુવતી મારા પરિચયમાં આવી એનું નામ “દીપા”. વાતો વાતોમાં એને મને કહ્યું કે મારા પતિ રાત્રે ત્રણ - ત્રણ વાગ્યા સુધી અનેક વિષયો પર લખે છે અને હાલ તેઓ એક નવો વિષય શોધી રહ્યા છે! મેં એને એના પતિનું નામ પૂછ્યું ત્યારે એને મને કહ્યું કે એમનું નામ “પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે” છે. આ નામ મારા માટે પરિચિત હતું. એમની “માઈલસ્ટોન -૧૩” અને “નેશન ફર્સ્ટ” જેવી ટૂંકી વાર્તા મેં અગાઉ વાંચેલી. દીપાએ લેખકશ્રી પ્રશાંત સાળુંકેની પત્ની છે એ જાણતા જ મેં એને પૂછ્યું કે “તમારા પતિ રેકી વિષે લખશે ?”
દીપા બોલી, ”જો વિષય ગમશે તો એ જરૂર લખશે, આમ પણ હાલ તે કોઈક નવા વિષય પર લખવાનું વિચારીજ રહ્યા છે.”
મેં દીપા પાસે લેખકશ્રી પ્રશાંત સાળુંકેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. આખરે એમણે એમના વ્યસ્ત સમયમાંથી મારા માટે સમય ફાળવ્યો. મેં એમને "રેકી" વિષય પર લખવા વિનંતી કરી. જવાબમાં એમને સહજતાથી કહ્યું કે આ વિષય પર મારા કરતાં તમે લખો તો વધુ સારું રહેશે. મેં કહ્યું પણ મને લખતાં નહિ આવડે ! જવાબમાં તેઓ કશું બોલ્યા નહિ ચુપચાપ ત્યાંથી જતાં રહ્યા. બીજા દિવસે લેખકશ્રી પ્રશાંત સાળુંકે પાછા આવ્યા ત્યારે એમના હાથમાં પુસ્તક હતું જેનું નામ હતું “રેકી – એક અભ્યાસીકા” જેના લેખક એ પોતે હતા ! મને એ પુસ્તક આપતાં તેઓ બોલ્યા, ‘જો મને રેકીનું કશું જ્ઞાન ન હોવા છતાં પણ હું લખી શકું છું તો તમે તો રેકી ગ્રાન્ડ માસ્ટર છો ! આ વિષય પર તમારાથી વધુ સારું કોણ લખી શકશે ?' મેં એમની પુસ્તક વાંચી ગાગરમાં સાગર જેવી એમની એ ચોપડી વાંચ્યા બાદ મને ઉત્સાહ આવ્યો. ત્રીજા દિવસે મેં દીપાને ફોન કરીને કહ્યું કે હું પુસ્તક લખવા તૈયાર છું. એ પછી એમની એ જ પુસ્તકને પાયો બનાવી મેં લખવાની શરૂઆત કરી. પ્રશાંત સર નિયમિત અંતરે આવી મારા પુસ્તકના લખાણમાં સુધારો વધારો કરવા ઉપરાંત હજી એની અંદર શું ખૂટે છે એની માહિતી આપતા એમની પ્રેરણા અને સહકારથી આશ્ચર્યજનક રીતે આ પુસ્તકનું શરૂઆતનું માળખું હું તૈયાર કરી શકી ! જોકે આ માટે મને સાતથી આઠ મહિનાનો સમયગાળો લાગ્યો. માળખું તૈયાર કર્યા બાદ મેં તે લેખકશ્રી પ્રશાંત સાળુંકેને સોપ્યું. એમણે મારી પુસ્તકમાં જોઈતી જરૂરી માહિતીઓ ઉમેરી અને વાક્ય રચના મઠારીને મારા લખાણને સુંદર વાર્તારૂપિ ઓપ આપ્યો.
૨૦૧૬ બેસતા વર્ષનો એ દિવસ હું ક્યારેય નહિ ભૂલું. આ દિવસે લેખકશ્રી પ્રશાંત સાળુંકે મારા ઘરે આવ્યા અને મારા હાથમાં પુસ્તક મૂકી મને પગે લાગતાં બોલ્યા “દાદી, નૂતન વર્ષાભિનંદન”. એ પુસ્તક જોઈ મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. પુસ્તક આપી તેઓ બોલ્યા, “પુસ્તકને ધ્યાનથી વાંચી જાઓ અને જો કોઈ ભૂલ હોય તો એમાં સુધારો કરી મને પાછું આપો.” મેં એ દિવસે એકી બેઠકે જ પુસ્તક વાંચી. કહેવાય છે કે આપણું બાળક એ આપણે જ ઉછેરવું પડે કોઈ બીજો એને મોટો ન કરી શકે તેમજ આપણી પુસ્તક આપણે જ લખવી પડે એને કોઈ બીજો મઠારી ન શકે પણ લેખકશ્રી પ્રશાંત સાળુંકેએ મારી આ પુસ્તકને પાંચ મહિનાઓની અથાગ મહેનત અને ખૂબ કાળજીપૂર્વક મઠારી છે. ખરેખર હું એમનો દિલથી આભાર માનું છું અને સાહિત્ય જગતમાં મારા જેવા નવા નવા લેખકોને ઉત્સાહ આપી નવી રચનાઓ સમાજ સામે મુકવાનું જે એમણે બીડું ઝડપ્યું છે એમાં સફળ થાઓ એવા શુભાશિષ આપું છું. સાથે સાથે આવા સારા વ્યક્તિ સમાજને વધુને વધુ ઉપયોગી થાય એ માટે મેં એમણે રેકી વિષે પણ જ્ઞાન આપવાનું શરૂ કર્યું આ પ્રસંગની વાત તેઓ એમની બીજી પુસ્તકમાં કરવાના છે. તેથી હું એ વિષે અહીં કશું લખતી નથી.
મારી શારરિક અને માનસિક તંદુરસ્તી સાથે જીવનમાં જોશ, જોમ પ્રેમ અને આંનદ કેવી રીતે મેળવવો એનું રહસ્યોદઘાટન કરતી એક અતિ પ્રાચીન ગુઢ વિધા વિષે લખતા હું ખૂબ આંનદ અને ગર્વની લાગણી અનુભવી રહી છું. સ્વયમને પામવાના આ રસ્તા પર મને જે અનુભવ થયા છે. તેમાં સહાયક અને માર્ગદર્શિકા બનનાર સર્વેનો અંત:કરણપૂર્વક આભાર માનુ છું. રેકીને ઘેર ઘેર પહોંચાડવાનું મારું સ્વપ્ન લેખકશ્રી પ્રશાંતભાઈ તેમજ દીપાબેને પૂર્ણ કર્યું તે બદલ એમનો હદયના અંતકરણથી ફરી એકવાર આભાર માનું છું.”