ડંખ
ડંખ
હોસ્પિટલામાં લોકો સમાતા ન હતાં. ૪૫ વર્ષના મિલિન્દને અચાનક હ્રદય રોગનો હુમલો થવાથી આઈ.સી.યુ.માં દાખલ કર્યો હતો. એક તો મિલિન્દ વકિલ ને તેમાં પાછો મળતાવડો. દરેકની સાથે હસીખુશીને બોલે. માનસી ખૂબ પરેશાન હતી. નાના માનવ અને મનનને દાદીમા પાસે મૂકી હર સમય મિલિન્દની પાસે રહેતી. મિલિન્દને તો ખબર પણ ન હતી. નિરાંતે ‘સેંટલ્યુક હોસ્પિટલમાં’ હતો. કાર્ડિયોલોજીસ્ટ તેનો ખાસ મિત્ર હતો તેથી માનસીને થોડી રાહત હતી. શની અને રવિ ડૉ. મિત્રે એક પણ કોલ લીધો ન હતો જેથી માનસી બાળકો પાસે જઈ શકે અને તેમને તથા મિલિન્દના મમ્મીને ફિકર ન કરવા માટે સમજાવી શકે.
શરૂઆતના ચાર દિવસ ખૂબ કટોકટી ભર્યા હતા. મમ્મી તો પ્રભુનું નામ લે અને આજીજી કરે. બાળકોને પ્રેમથી સંભાળે.
આજે સોમવારે બાળકોને નિશાળે મોકલી માનસી, હોસ્પિટલ આવી. મિલિન્દ આજે કદાચ આંખો ખોલે એમ લાગતું હતું. માનસી વિચારી રહી હતી, મિલિન્દ ખાવાપીવામાં નિયમિત છે. સિગરેટ્યા દારૂ પીતો નથી, મમ્માને હિસાબે ઘરમાં કોઈ માંસ કે એવું ખાવાનું આવતું પણ નથી ને ખાતું પણ નથી. શા કારણે તે આવી પરિસ્થિતિમાં મૂકાયો.
હા, તેનો ધંધો વકિલાતનો છે તેથી કદાચ તનાવ થયો હશે? માનસી તથા મમ્માને પણ એકબીજા વગર ચાલતું નહીં. તેથી મિલિન્દને ઘરની બાબતમાં ખૂબ શાંતિ હતાં. મિલિન્દ ‘છૂટાછેડા’નો વકીલ. લોકોના જીવનમાં આવતાં કૌટુંબીક ઝઘડા વીશે સારો એવો માહિતગાર હતો. તેથી તો તેનો સંસાર શાંતિથી ચાલતો. બને ત્યાં સુધી બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવામાં તે સફળ થતો. હા, તેથી તેની આવકમાં માર પડતો. તેનાં મમ્મા કહેતાં, "બેટા તું ધરમનું કામ કરે છે. તને કેટલાંય બાળકોના આશીર્વાદ મળે છે. ઘરભંગ થવાને બદલે તેમનાં ઘર મંડાય છે." મિલિન્દને મમ્માની વાત ગમતી. માનસી પણ એવું જ ચાહતી કે સમાજ કાજે મિલિન્દ પોતાના ભણતરનો અને વાકચાતુર્યનો સદુપયોગ કરે.
આ વખતનો કેસ જરા જુદો હતો. હેમા અને હરી બંને છૂટાછેડાનો કેસ લઈને આવ્યા હતાં. હેમાની સાથે મિલિન્દને બાળપણની ઓળખાણ નીકળી. જ્યારે તે મિડ્લ સ્કૂલમાં હતો ત્યારે ન્યુયોર્કમાં બને સાથે ક્લાસમાં હતા. હેમાને મિલિન્દ ત્યારે ગમતો હતો. પણ પછી તે હ્યુસ્ટન આવી ગયો. આ એ જ મિલિન્દ છે તે તેને પછી ખબર પડી. કેસ માટે સલાહ લેવા, હેમા કોઈકવાર એકલી પણ આવતી. એક વાર ભૂતકાલની વાત કરતાં આ એજ મિલિન્દ છે તેની જાણ થઈ.
હેમા, સંયમ ન રાખી શકી અને બધી વાત જણાવી. મિલિન્દે જુનું ભૂલી જવા કહ્યું. તેના મનમાં તો એવું કાંઇ ન હતું. વખાની મારી હેમા કાબૂ ન રાખી શકી અને બંને જણા ખોટું કદમ ભરી ચૂક્યાં.
મિલિન્દને પછી ખૂબ અફસોસ થયો. વહાલસોયી પત્ની, કુમળી કળી જેવા બે બાળકો અને જનની. તેના હાલ બૂરા થયા ન તે કહી શકતો ન સહી શકતો. તેથી જ આજે તે ‘સેંટલ્યુકમાં,આઇ સી યુ’ જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. તેને મનમાં ડંખ લાગ્યો કે તેણે પોતાની જાતને કેમ ન સંભાળી? હેમા, હરી સાથે સુખી ન થઈ શકી તેમાં તેનો કોઈ દોષ ન હતો!