બબ્બે
બબ્બે
અમારી પૂર્વોત્તર પ્રદેશની ટૂર કલકત્તાથી શરૂ થવાની હતી અને ત્યાં પોતપોતાની રીતે ટ્રેઈન કે પ્લેનમાં સહુ યાત્રીઓએ પહોંચવાનું હતું. હું નિર્ધારિત દિવસે વહેલી સવારે અમદાવાદથી નીકળી પ્લેનમાં કલકત્તા પહોંચ્યો અને મળેલી સૂચનાનુસાર જણાવેલી હોટલમાં ટેક્સી દ્વારા પહોંચી ગયો અને ચેક ઇન કરી મને એલોટ થયેલ સિંગલ ઓક્યુપન્સી રૂમમાં પહોંચીને ગોઠવાઈ ગયો. મને સ્વતંત્ર રૂમમાં મારી સંપૂર્ણ સ્વતંત્રતા ફાવે છે .
અન્ય સહુ યાત્રીઓ જુદી જુદી ટ્રેઇનો દ્વારા બપોર સુધીમાં આવી જવાના હતા અને તેમને લેવા સ્ટેશન પર બે વાર બસો પણ જવાની જ હતી. પહેલો દિવસ આરામનો અને પરસ્પર પરિચય માટેનો જ હોવાથી શાંતિ હતી. ટ્રેઈનની લાંબી મુસાફરી કરીને આવનારાઓ માટે આ વ્યવસ્થા સમુચિત જ હતી. હું તો વહેલી સવારે અમદાવાદથી નીકળ્યો હોવાથી રૂમમાં થોડો આરામ કરી સહુ કોઈના આવ્યા બાદ લંચ માટે પહોંચી ગયો.
બે જુદી જુદી દિશાઓમાંથી આવનારા યાત્રીઓ પણ આવીને નાહી-ધોઈ ફ્રેશ અને તૈયાર થઇ લંચ પર આવી ગયા. ડાયનિંગ હોલમાં સામાન્ય ઓળખ – પિછાન થઇ અને સાંજે ચા- કોફી સેશનમાં સહુ કોઈનો પરસ્પર પરિચય થયો. દરેક યાત્રી પોતાનો તેમ જ પોતાની પત્નીનો સંક્ષિપ્ત પરિચય આપવા લાગ્યો. છેક છેલ્લે એક યાત્રીએ પોતાનો પરિચય આપ્યા બાદ પોતાની પત્નીના પરિચય દરમ્યાન બબ્બે પત્નીઓનો પરિચય આપ્યો. રમૂજમાં તે બોલ્યો પણ ખરો કે, ”જગન્નાથ ભગવાનની બે પત્નીઓ – શ્રીદેવી અને ભૂદેવીની જેમ, મારે પણ બબ્બે પત્નીઓ છે-ઈશા અને નિશા”.
આ યાત્રા જગન્નાથપુરી, ભુવનેશ્વર, ગંગાસાગર ઈત્યાદિ અનેક ધાર્મિક સ્થળોની હોવાના કારણે બધા જ યાત્રિકો પ્રૌઢ વરિષ્ટ નાગરિકો જ હતા. આવી ટૂરમાં કોઈના બાળકો તો સાથે આવે જ શાના ?
વાર્તાકાર તરીકે મને આ બબ્બે પત્નીઓવાળા સજ્જન- નામે પ્રભુદાસમાં રસ પડ્યો અને વિધુર હોવા છતાંય સહુથી મોટી ઉમરનો હોવાના કારણે હું સહજ સ્વાભાવિક સ્વરૂપે તેની તેમ જ તેની પત્નીઓની પાસે પહોંચી, તેમનો વિસ્તૃત પરિચય પ્રાપ્ત કરવા માટે કૈંક ઉત્સુક અધીર થઇ, ઔપચારિક રીતે વાતે વળગ્યો.મને વાતો કરવી ગમે છે અને વાતો કરવાઅને સાંભળવા તો હું દર વર્ષે દોડી દોડીને ભારત જતો હોઉં છું.મારી વાતો સહુ કોઈને ગમે પણ છે એ જ તો મારું સદભાગ્ય છે.
મેં વાત શરૂ કરતા પ્રભુદાસને પૂછ્યું: ”પ્રભુદાસભાઈ,તમને બહુ વાંધો ન હોય તો હું જાણી શકું કે આ બબ્બે પત્નીઓનો સાથ યોગાનુયોગ છે કે પછી તેની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છે?”
ઉત્તરમાં બેમાં બોલકણી એવી એક બોલી ઊઠી: ”બંન્ને.આ યોગાનુયોગ પણ છે.અને પૂર્વ આયોજિત પણ છે.મારું નામ ઈશા,હું પ્રભુદાસને પહેલા પરણી.મારી નાની બહેનના પણ પછી તરતમાં જ લગ્ન થયા.અમને દસબાર વર્ષો સુધી બાળક ન થતા અમે મારી નાની બહેનના બે જોડિયા બાળકોમાંથી એક બાળકને ખુશી ખુશી દત્તક લઇ અમારું
ઘર ભર્યું ભર્યું કરી દીધું.આ અમારું સદભાગ્ય જ હતું.પરંતુ તેના એક જ વર્ષમાં મારી બહેનનો પતિ સ્કૂટર પર પુત્રને સ્કુલથી લાવતા લાવતા એક ગોઝારા અકસ્માતમાં પુત્રની સાથે જ ગુજરી ગયો અને મારી બહેન ગાંડા જેવી થઇ ગઈ.તેનું મુખ્ય કારણ એ હતું કે હવે તેનું જીવન શૂન્ય જ શૂન્ય બની ગયું.ન પતિ રહ્યો ન પુત્ર.તેણે પ્રેમલગ્ન કર્યું હતું એટલે તેને પિયરમાં કે સાસરીમાં કોઈ કરતા કોઈ જ સંઘરે તેમ ન હોવાથી, તેને ડિપ્રેશનમાંથી બચાવવા અમે તેને સપોર્ટ આપ્યો.તે અમારી સાથે જ રહેવા લાગી.અમારું બાળક જે અગાઉ તેનું જ હતું અને જોડિયું હોવાથી તેના અકસ્માતમાં ગુજરી ગયેલા બાળક જેવું જ હોવાથી તેને એ બાળકનો અહગરો બહુ બધો લાગવા માંડ્યો હતો.
મનોચિકિત્સકનું નિદાન એ જ રહ્યું કે એ બાળક સાથે તેને માતાની જેમ વર્તવા દેશો તો જ તે નોર્મલ થઇ શકશે. અમને તો કોઈ વાંધો ન હતો; પણ અમારા સમાજમાં અમારી વાતો થવા લાગી કે ‘સાલી આધી ઘરવાલી’ બની ગઈ છે. મારા પતિ પ્રભુદાસ,મારી બહેન અને હું આવી આવી નિંદા -કુથલીથી ત્રાસી ગયા, કંટાળી ગયા અને અંતે આનો ઉકેલ કહો કે તોડ કહો અમે સમસ્યાનું સમાધાન મારી બહેનને મારા પતિ સાથે પરણાવી લઈને જ કરી લીધું. અમે ત્રણેય સુખી સુખી છીએ અને હરહમેશ પ્રવાસોમાં બંને એકી સાથે બહેનો તેમ જ દેરાણીજેઠાણી હોવા છતાં ય પ્રેમથી,આનંદથી, પ્રસન્નતાથી યાત્રાઓ કરીએ છીએ. અમારો મોટો થઇ ગયેલો અમારો સહિયારો પુત્ર ઇશાન ડોકટરી અભ્યાસ કરે છે- હોસ્ટેલમાં રહીને અને હવે બહુ જ જલ્દી સાયકિયાટ્રીસ્ટ પણ બની જવાનો છે.અમે સર્વ પ્રકારે અમને પોતાને સુખી સુખી અને ધન્ય ધન્ય અનુભવીએ છીએ.”
નાની બહેન નિશા પણ બોલી ઊઠી: ”મારી આ મોટી બહેન તો મારી બહેન કે જેઠાણી નથી; મારી મા છે મા અને આ મારા પ્રભુદાસ તો અમારા સહુના પ્રભુ છે પ્રભુ.”
પ્રભુદાસ બોલી ઊઠ્યા: ”પ્રભુ હોવાનો એક લાભ તો સહજ સહજમાં મળી જ ગયો શ્રીદેવી-ભૂદેવીની જેમ બબ્બે પત્નીઓના પતિ બનવાનો.”
તેની સાથે જ મારા મનમાં પણ આ સત્ય ઘટના એક વાર્તાનો પ્લોટ બનવા લાગી ગઈ.