અજબ બદલાવ
અજબ બદલાવ


આજના આધુનિક યુગમાં સાચાં સંબંધો તો મુશ્કેલીમાંજ બને છે. અને જલસા હોય ત્યારે તો જગત આખું બાજુમાં જ હોય છે.
'જ્યાં શ્વાસોના સરવાળાએ જિંદગીના ય હિસાબ કરી નાખ્યાં,
શેષ લાગણી પડી રહી ને દાખલા બેહિસાબ કરી નાખ્યાં.'
અમદાવાદના એક જાણીતા વિસ્તારમાં રહેતા મમતાબેન નામ પ્રમાણેજ માયાળુ અને પ્રેમાળ હતાં. નાની ઉંમરે વિધવા થયેલા. એકજ દિકરો હતો સુનીલ. સુનીલ પાંચ વર્ષનોજ હતો જ્યારે એનાં પિતાનું આકસ્મિક મૃત્યુ થયું હતું ત્યારે. મમતાબેનને એક આધાર હતો કે રો હાઉસ પોતાનું હતું. મમતાબેને ઘરે ખાખરા અને નાસ્તો બનાવીને ઘરે ઘરે ફરીને વેચાણ કર્યું. એટલે ઓર્ડરો મળવા લાગ્યા. મમતાબેને સુનીલને ભણવા મૂક્યો અને ઘરથી નજીકમાં એક ભાડાની દૂકાન લીધી. ખુબ મહેનત કરી ને પણ સુનીલની પરવરીશમાં મમતાબેન કોઈ કચાશ રાખતા નહીં.
આખાં એરિયામાં મમતા બેનના ખાખરા અને નાસ્તાના વખાણ થવા લાગ્યા અને ઘરાકી પણ વધવા લાગી. મમતાબેને ખાખરા બનાવવા બે બહેનો રાખી. ધીમે ધીમે કામ વધી ગયું એટલે મમતાબેને પોતાની દૂકાન ખરીદી અને કામ કરવાં માટે સ્ટાફ પણ રાખ્યો. આ બાજુ સુનીલનું ગ્રેજ્યુએશન પૂરું થયું અને તેને ગાંધીનગરની એક મોટી કંપનીમાં નોકરી મળી. નોકરી કરવા રોજ બાઈક લઈને જતો આવતો. ત્યાં કંપનીમાં સાથે કામ કરતી માધવી સાથે પ્રેમ થઈ ગયો. રોજ બરોજ બહાર મળતાં એટલે સુનિલ ઘરે મોડો આવતો. મમતાબેન પૂછે તો કેહતો કે 'કંપનીમાં કામ બહુ હતું.'
માધવીએ શર્ત મુકી કે લગ્ન પછી આપણે જુદા રહીશું. સુનીલ કહે છ મહિના પછી કોઈ સજ્જડ બહાનું ધરીને નિકળી જઈશું. આમ પ્લાનિંગ કરીને સુનિલે ઘરમાં વાત કરી કે 'મમ્મી હું માધવીને પ્રેમ કરું છું.'
મમતાબેન તો ખૂબ જ ખુશ થઈ ગયા એમણે માધવીને મળવા બોલાવી અને આશીર્વાદ આપ્યા. થોડાંજ સમયમાં સુનીલ અને માધવીનાં લગ્ન થઈ ગયાં.
મમતાબેન તો ખૂબ ખૂબ ખુશ થયાં. માધવી અને સુનીલ નોકરી એ સાથે જતાં તો મમતાબેન જ ઘર સંભાળતા અને સાચવતાં. માધવીને રસોઈની પણ ચિંતા ના કરવી પડે પણ માધવી અને સુનીલ જમીને પોતાના રૂમમાં જતાં રહેતાં. મમતા બેન એકલાં એકલાં બેસીને પ્રભુ સ્મરણ કરતાં. માધવીના આવ્યા પછી બહું મોટો ખાખરાનો ઓર્ડર મળ્યો. એટલે મમતાબેને માધવીને સોનું લઈ આપ્યું. કે લક્ષ્મી રૂપ ધરીને આવી અને ધંધો વધ્યો તો આ મારાં તરફથી ગિફ્ટ.
આમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. હવે માધવી એ સુનિલને કહ્યું કે 'જુદા રહેવા ક્યારે જવું છે. ?'
સુનીલ કહે 'હજુ છ મહિના નિકળી જવા દે હું મકાનની તપાસમાં છું અને થોડું બેન્ક બેલેન્સ હોય તો આપણને તકલીફ ના પડે.'
આમ રોજ મમતાબેન ધંધો અને ઘર સંભાળતા પણ ના કોઈ ફરિયાદ કરી કે ના કોઈ માગણી છોકરા પાસે કરી. ધંધામાં જ્યારે જ્યારે વધુ ફાયદો થતો મમતાબેન સુનીલ અને માધવીને કંઈને કંઈ ભેટ સોગાદ આપતા. એક વર્ષ થયું અને માધવીને સારા દિવસો રહ્યા એટલે એ લોકો એ નક્કી કર્યું કે આવનારુ બાળક એક વર્ષ નું થાય ત્યાં સુધી અહીં જ રોકાઈ જવું જેથી આપણને કોઈ તકલીફ ના પડે અને બાળક મોટું પણ થઈ જાય.
મમતાબેને આ જાણ્યું કે ઘરમાં એક નવા મહેમાન આવવાના છે એમણે દાન ધર્મદા અને પૂજા પાઠ ચાલું કર્યા અને માધવીને સોનીને ત્યાં લઈ જઈ ને એક નેકલેસ અપાવ્યો. ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો. દિવસો પૂરાં થતાં માધવીએ એક દિકરીને જન્મ આપ્યો. મમતાબેનની ખુશીનો પાર ના રહ્યો એમણે આખા વિસ્તારમાં અને સગાંવહાલાં અને દુકાનમાં કામગીરી કરતા કારીગરોને પણ મિઠાઈનો ડબ્બો ગિફ્ટ આપ્યો. દિકરી નું નામ વૈભવી પાડ્યું.
વૈભવીને છ મહિનાની મૂકીને માધવી નોકરીએ લાગી ગઈ. મમતાબેન વૈભવીની સાર સંભાળ રાખતાં અને સારી રીતે પરવરીશ કરતાં. આમ કરતાં વૈભવી એક વર્ષની થઈ. મમતાબેને બર્થ-ડે પાર્ટીનું આયોજન કરીને ધામધૂમથી ઉજવણી કરી. અને એક સપ્તાહ પછી મમતાબેનને ગળાંમાં ખુબ દુખાવો ઉપડ્યો અને તાવ પણ આવ્યો. ફેમિલી ડોક્ટરને બતાવી આવ્યા અને દવા ચાલુ કરી પણ કોઈ ફરક ના પડ્યો. મમતાબેન તો પણ ઘરનું કામકાજ, વૈભવીની સારસંભાળ અને ધંધો સંભાળતા પણ માધવી એ રજા લઈને મમતા બેન ને આરામ ના અપાવ્યો.
દિન પ્રતિદિન મમતાબેન ની તબિયત બગડતાં એમને મોટા ડોક્ટરને બતાવ્યું. અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કરાવ્યા અને અંતે નિદાન થયું કે મમતાબેનને ગળાનું કેન્સર થયું છે. મમતાબેન આ સાંભળીને થોડીવાર સ્તબ્ધ થઈ ગયા પછી પોતાની જાતને સંભાળી લીધી. ઘરે આવીને આરામ કર્યો. સાંજે સુનીલ અને માધવી આવ્યા એમને રીપોર્ટ બતાવ્યા અને ડોક્ટરે કહ્યું હતું એ કહ્યું. અને મમતા બેન કહે 'મારે કોઈ ઓપરેશન કરાવવું નથી. જેટલું જીવાશે એટલું જીવીશ.'
સુનીલ અને માધવી આ સાંભળીને વિચારમાં પડ્યા. ઉપર રૂમમાં જઈને બન્નેને દિલથી સાચો પસ્તાવો થયો કે, 'આપણે આપણાજ સુખનો વિચાર કર્યો પણ માનું ધ્યાન રાખ્યું નહીં. મમ્મીને હવે ખુબ ફેરવીશું અને સમય પણ આપીશું. એ માટે સુનીલ અને માધવી નાની વૈભવીને લઈને એક જાણીતા પ્રખ્યાત જ્યોતિષ પાસે ગયા અને કહ્યું કે
"અમે ઘણી બધી ભૂલો કરી છે બસ એવો ચમત્કાર કરી આપો કે એક વર્ષ વધુ જીવે મારી મમ્મી તો એની નાનામાં નાની ઈચ્છા પૂરી કરીએ. એને દેશપરદેશ ફેરવીએ. એને ખુબ સુખ આપીએ. મારી મમ્મીએ તો પરવરીશમાં કોઈ કમી નહોતી રાખી પણ મને સમજણો થયો ત્યારથી એનું ખાખરા વેચવાનું પસંદ નહોતું એટલે હું એનાથી દૂરજ રહ્યો.
ક્યારેય મમ્મી પાસે બેસીને મેં વાત નથી કરી. મારોજ નિર્ણય હતો એનાથી દૂર જવાનો અને એમાં માધવીનો સાથ મળ્યો એટલે હું મારા મમ્મીની પરવરિશની કિંમત સમજી શક્યો જ નહીં જ્યારે આપણીજ ભૂલ હોય છે, ત્યારે સામા પક્ષે શુ માઠી અસર થાય એ અનુભવતી નથી. હવે અમે એની લાગણીઓને સમજ્યા છીએ. તમારુ બહુંજ નામ સાંભળીને આવ્યા છીએ.. કંઈક ઉપાય બતાવો. અમે એની સાથે બેસીને ખુબ વાતો કરીએ એને સમય આપીને હૂંફ આપીએ."
અને એ લોકો રડી પડ્યા.