*આસક્તિ*
*આસક્તિ*


આસક્તિ દેહની ના હોવી જોઈએ. આત્માની સારા ગુણોની આસક્તિ રાખવી.. તરવું કે તણાવુ બન્ને જુદી વસ્તુ છે. જિંદગીમાં મોટા ભાગે આપણે તણાઈ જતાં હોઈએ છીએ. પછી પ્રવાહ લાગણીઓનો હોય કે ભાવનાઓનો હોય ! પ્રવાહમાં વહી જનાર ક્યારેય સામા કિનારે પહોંચી શકતા નથી, કારણ કે કિનારા તરફ એમની નજર પહોંચી શકતી જ નથી. માટે જ લાગણીઓમાં વહી જવાથી બચવું જોઈએ.
શાંત સંતુલિત અને સ્વસ્થ જીવન યાત્રા માટે આ જરૂરી છે. જેઓ સંતુલિત રહે છે તેઓજ જીવન જીતી જાય છે અને જીવી જાણે છે. જ્યારે તણાઈ જનારા બેલેન્સ ગુમાવી બેસનારા મોટા ભાગે જીવન હારી જાય છે. કારણ કે ડૂબવાનો ડર તરનારા કરતાં તણાઈ જનારના માથે વધુ ઘેરાતો હોય છે.
જીવનમાં ઘણા બધાં પાસાં છે પ્રેમ,કર્તવ્ય, ભાવના, લાગણી, વ્યવહાર આ બધામાં તણાઈ ના જાવ પણ પરિવારનું વિચારો. મુસીબતોમાં પરિવાર જ પડખે રહેશે. માટે જ ચારે બાજુનું વિચારીને નિર્ણય કરો. સંસારના સાગરમાં તર્યા કરશો તો આજે નહીં તો કાલે કિનારા તરફ ગતિ કરી શકશો. પણ જો એક જ પક્ષ એક જ વાત પકડી રાખશો તો પછી બરબાદી ના રસ્તે જશો.
તરવું એટલે અનાસક્તિમાં જીવવું. તટસ્થ અને ન્યાયપ્રિય રહેવું. તણાવુ એટલે આસક્તિમાં સબડવુ, કોઈની વાત કે સચ્ચાઈ સ્વીકાર કર્યા વગર કાર્ય કરે જવું. આસક્તિજ જીવનના સત્યને શોધી લે છે પછી તે વ્યક્તિ પ્રત્યેની કે વસ્તુ માટેની હોય. ભીતરની ભોમકામાં અનાસક્તિનું નાનું ઝરણું યે જો વહ્યા કરતું હશે તો મનનો મેલ નિકળી જશે. અને આસક્તિ આસક્તિ ખરડે છે. આસક્તિ પરિવાર તોડે છે, આસક્તિ ઘરમાં કલેશ કરે છે.