આશીર્વાદ
આશીર્વાદ
ગુરૂના ચરણે મસ્તક નમાવી એનાં ભકતે કહ્યું "ગુરૂદેવ,આપના માર્ગદર્શન મુજબ મારે બે લાખ રૂપિયા સારાં કામમાં ખર્ચ કરવા છે".
ગુરૂએ કહ્યું, " મહામારીના વિતેલા વિકટ સમયમાં તારી સદમાર્ગે રૂપિયા ખર્ચ કરવાની ઈચ્છા સાચે જ પ્રશંસનીય છે. મહામારીના કારણે આ રૂપિયા કોરોના ને કારણે આર્થિક સંકટમાં આવેલા લોકો માટે વપરાય એ જ એનો સદઉપયોગ છે. મારી પાસે આવા જરૂરતમંદ લોકોની યાદી છે. સુકૃતની આવી ભાવના સદા રાખજો. ઈશ્વર તમારો ધંધો વધુ...
ગુરૂજીને વચ્ચેથી જ અટકાવી ભકતે કહ્યું "ગુરૂદેવ, એવાં આશીર્વાદ આપો કે મારો ધંધો ઓછો થઈને પહેલાં જેવો થઈ જાય. મારી દવાની દુકાન છે. આ વખતે મહામારીના કારણે દવાની ખપત
ચાર-પાંચ ગણી થઈ ગઈ. મને આવક કરતાં લોકોનાં સારા સ્વાસ્થ્યમાં રસ છે. આ મહામારી જતી રહે અને મારી દવાની ખપત ઓછી થઈ જાય તો મને ખૂબ જ ગમશે. "
ગુરૂજીએ ભીની આંખે ભકતને દિલથી આશીર્વાદ આપ્યા.
મેં હાથે કરીને રોશની ઓછી કરી દીધી. ભડકતા તેજ કરતાં આછો ઉજાસ સારો છે.