*આજે દિવાળી*
*આજે દિવાળી*
આજે દિવાળી છે, આજે ચોપડા પૂજન પણ થાય છે. દિવાળી એટલે દિલની ભાવનાઓના દીપ પ્રગટાવવા અને બીજાને મદદરૂપ બનવું. જે દિલના દેવાલયને અજવાળે, અંતરના આકાશને ઉઘાડે, પ્રાણોને પ્રેમથી પલાળે, દેહના દીપને ઉજમાળે એનું નામજ દિવાળી. આત્માથી આત્મા મળે, મનમાં રહેલી વેરની ગાંઠો ઓગળે અને દિ' જો વળે તો જ દિવાળી સાચા અર્થમાં સાર્થક બને. દીપ સે દીપ જલાવોનો સંદેશો આપવા માટે આવે છે આ દિવાળીનું પર્વ વરસો વરસ અમાવસથી અજવાળી પૂનમ સુધીની યાત્રા એટલે દિવાળીની ઉજવણી.
આપણે પણ દિલનાં ગોખમાં દિવ્ય દીવા પેટાવીએ. અંતરને અને પરિવારની ભાવના મજબૂત બને એવા સમજણના દિપ પ્રાગટાવીએ. આપણા આખા જીવનપથને પ્રકાશિત કરે એવા દીવડા પ્રગટાવીએ. આજથી વર્ષો પહેલાં શ્રી રામ, સીતા, લક્ષમણ ચૌદ વર્ષનો વનવાસ પુરો કરીને આ દિવસે અયોધ્યા આવ્યા હતા એ માટે પણ દિવાળી ઉજવાય છે. અને એ ખુશીમાં જ આ દિવાળીના તહેવારો ઉજવવામાં આવે છે. અને એ ખુશીમાં અયોધ્યામાં ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. એ યાદમાં આજે દિવા પ્રગટાવવામાં આવે છે.
આત્માનો દીપ જલાવો. બહારી દીવા તો પ્રતીક છે. સંકેત છે.. ખરેખર તો તનના કોડીયામાં રહેલી મનની વાટને સ્નેહના ઘીમાં ઝબોળીને જ્ઞાનની જ્યોત જલાવવાની છે. દિલનો દીપ જલ્યો તો સમજો દિવાળી સફળને આ જિંદગીની સફર પણ સફળ અને તોજ દિવાળી આપણા દિ' વાળશે.
એક કવિની પંક્તિ...
" રાત ભલે હો અંધારી, વાટ ભલે હો કાંટાળી "
તમે જલાવો દીપ સનેહના.