આ તે કેવું ?
આ તે કેવું ?
શેઠ કમલચંદ, રોજિંદા ક્રમ પ્રમાણે થેલીઓ લઈને નીકળ્યા. પહેલા એ નિત્યક્રમ મુજબ મંદિરે જાય અને વળતાં ઘર માટે શાકભાજી અને ફળો ખરીદતાં આવે.
કમલચંદ શેઠને આવતાં જોઈને લાઇનબંધ રેકડીવાળા એકબીજા સામે માર્મિક નજરે જોયું. કેમ કે, શેઠ ભાવમાં એટલી રકઝક કરે કે કોઈપણ રેંકડીવાળો એને કરગરીને સમજાવે કે શેઠ આટલા ઓછા રૂપિયામાં અમને નથી પોષાતું. તો પણ, ઘણી વખત, વજન કરીને રેકડીવાળો એમની થેલીમાં બધું મૂકી દે ત્યારે એ શેઠ, કસી કસીને રૂપિયા આપે, એ વખતે પેલો આનાકાની કરે તો એ શેઠ, રેકડીમાં રૂપિયા મૂકે અને માલ લઈને ચાલતાં થઈ જાય !
આ રેકડી પર પોતાનું ગુજરાન ચલાવનાર, એક શ્રમજીવી, અમીરોની કંજુસાઈ, પોતાની દરિયાદીલીથી સહી લે ! આજે પણ, એવું જ થયું. બસો રૂપિયે કિલો સફરજન, ભાવ ઉતારીને દોઢસો કરાવ્યા. પાંચ કિલો નમતા વજને ઝોખાવ્યા. થેલીમાં એ રેકડીવાળાએ નાખ્યા કે તરત શેઠ, સાતસો પચાસ દેવાને બદલે, સાતસો રૂપિયા રોકડાં આપવા લાગ્યા.
રેકડીવાળો જ્યારે કહેવા લાગ્યો , "શેઠ, આ ભાવમાં તો મને નહિ પોષાય, કીલે દસ રૂપિયા તો માંડ મળે છે. આ મોંઘવારીમાં શેઠ અમારે પુરુય નથી થતું...!"
ત્યારે શેઠ તો સાતસો રૂપિયા રેંકડી પર મૂકી બોલ્યા, "મેં એકસાથે પાંચ કિલોની ખરીદી કરી તો એટલું તો તારે સમજવું જોઈએ ને ? કિલો કે અડધો કિલો વાળા પાસે વધુ કમાઈ લેજે !"
રેકડીવાળો ઉદ્દવિજ્ઞ બની બોલ્યો, "અરે શેઠ, પાંચ કિલો ખરીદનાર અમને કમાવા ન દે તો પછી, બીજા થોડું થોડું ખરીદનાર પાસે શું લઈ લેવું ? શેઠ આ કારમી મોંઘવારીમાં...!"
એને પૂરું બોલવાય ન દઈ શેઠે, જતાંજતાં કહ્યું, "અમારે રૂપિયા ઝાડ પર નથી ઉગતાં, અમને ય શુ મોંઘવારી નહિ નડતી હોય ? એક એક રૂપિયો અમથો એમને એમ ભેગો નથી થતો !"
એ વખતે, મંદિરનો ભગવાન પણ વિચાર કરે કે મારા નામે હમણાં આ શેઠ પાંચ લાખ રૂપિયાનું દાન આપી તકતી મુકવાનું નક્કી કરી ગયો ! જે મંદિરના કોષમાં ઢગલાબંધ ધન છે. ત્યાં એ પાંચ લાખ રૂપિયા આપે ! હા, આવા ઉદાર દાનવીરોને લીધે જ અસંખ્ય સંસ્થાઓ ચાલી રહી છે. એ સ્વસ્થ સમાજનું એક પાસું છે. પણ, કોઈ માણસ આખો દિવસ કામ કરે છે, કોઈ તનતોડ મજૂરી કરે છે, કોઈ શેરીઓમાં અને ઘરે ઘરે ફરીને હાડમારી વેઠીને મહામુશ્કેલીથી જીવનનિર્વાહ કરે છે. ત્યારે આ શેઠ જેવા લોકોને ફક્ત લાખો રૂપિયા ધરાવીને મને ખુશ કરવા માંગતાં હશે એને આ જીવતાં જાગતાં ઇન્સાનમાં એમને હું નહિ દેખાતો હોવ ?
એમની આંતરડી કકળાવતો માનવ ! રે માનવ ! કાંઈ સમજાતું નથી.
આ તે કેવું ?