એકલતાની લતા
એકલતાની લતા
એકલતાની લતા, બની શકે ગળાની ભીંસ કે એ બની રહે ગળાનો હાર છે,
એકલતા બની રહેશે શાપ કે આશીર્વાદ, આપણી માનસિકતા પર આધાર છે.
માનવ સહજ, આ ન સમજી શકાય એવી વિચિત્ર નિર્બળતા ને કેમ સમજવી ?
હોય ભીડ માં ત્યારે ઝંખે એકલતા અને એકલતામાં એને, લોકોની દરકાર છે.
એકલતા વધારી શકે આત્મવિશ્વાસ, તો ક્યાં વધારી શકે નિર્બળ વિચારોની ધાર,
એકલતાનું માપદંડ છે અજબ ગજબ, એકલતા તો બની રહે બેધારી તલવાર છે.
ઝમીરના અમીર બની અને ખુમારીનું ખમીર, લાવી શકાય છે એકલવ્યની માફક,
એકલતા બનાવી શકે છે આપણને એકલવીર, એકલતામાં શક્યતા અપરંપાર છે.
એકલતાના તારને રાખો જો યોગ્ય રીતે સંજોવી, તો બની જાય છે સીતાર,
હોય જો હકારાત્મક વલણ એકલતામાં, તો બહુલતાનો બહુમુલ્ય વિસ્તાર છે.
એકલતામાં જ્યાં જ્યાં હોય છે અલૌકિક આધ્યાત્મિકતાનો અનોખો શણગાર ‘સૌરભ’,
જિંદગીનું રણ ત્યાં બને રહે છે ઝરણ, એકલતામાં આધ્યાત્મીકતા સર્જી શકે ચમત્કાર છે.