પરિવર્તન
પરિવર્તન
વકીલાતની પ્રેક્ટીસમાં ભરુચમાં સિતાંશુ વસાવડાનું ઉજળુ નામ. એ જો કેસ હાથમાં લેતો સામેના વકીલની હાર નિશ્ચિંત થઈ જાય. કાયદાની આંટી ઘુંટી જાણે એટલી સહજ બનાવીને રજુઆત કરે કે જજને લાંબુ વિચારવાનું રહે જ નહીં. તીક્ષ્ણ બુધ્ધી અને દલીલોથી સામેના વકીલોની દલીલો અને મુદ્દાઓ તોડતા ક્ષણનો પણ વિલંબ ન લાગે.
આસુતોષ એકનો એક દિકરો પણ તેને તો વકીલ થઈ બાપની પ્રેક્ટીસ સાચવવી નહોંતી. તે તેના મોસાળ ઉપર પડ્યો હતો તેથી ફાઈન આર્ટ્સમાં ભણી પ્રાચિન તૈલચિત્રો ઉપર પી. એચ.ડી. કરી. તે માનતો કે વકીલાત એટલે અસીલનાં હીતમાં કાયદાનું અર્થ ઘટન અને તે કરવા લેવાતા બુધ્ધીનાં ઉપયોગને તે હીણપત સમજતો. તેથી ત કલાકાર થયો. માધુરી સાથે તેના લગ્ન થયાં અને તેમના લગ્નજીવનમાં સુકેતુ જન્મ્યો. સિતાંશુભાઈઅને દિવ્યા ત્રીજી પેઢી જોઇ ઘણા રાજી થયા. તેમનું મન હવે નિવૃતિ લેવા તરફ વળતું હતું પણ બુધ્ધી તેમને રોકતી હતી તેના બે કારણો હતા એકતો ધીખતી પ્રેક્ટીસ અને આશુતોષની આછી પાતળી કમાણી. આખી દુનિયામાં જેમની દલીલોનો ડંકો વાગતો તેમના ઘરેજ તેઓ દલીલબાજીમાં કદી જીત્યા નહોંતા. આસુતોષ તો સ્પષ્ટ ભાષામાં કહેતો જ્યારે કાયદાને અસીલનાં હેતુ પ્રમાણે તોડવામાં આવે… તેની અવળી રજુઆત કરવામાં આવે તે નર્યુ જુઠાણું જ હોય… સિંતાશુભાઇ કહેતા કે પૈસાની કિંમત સમજીશ ત્યારે કહેજે હું કરું છું તે મારી બુધ્ધી કૌશલ્ય છે કે જુઠાણું…
પ્રકૃતિ પ્રેમી આસુતોષ રંગોળી અફલાતુન બનાવતો અને જ્યારે ટીવી ઉપર તેની પ્રથમ આવેલી રંગોળીએ તેની યશ ગાથા લહેરાવી અને તે પગલે મળેલી ફીલ્મજગતની કલાનિર્દેશક્ની જાહેરાતે તેને રાતો રાત લાખો રુપિયાનો ધણી બનાવી દીધો. બાપના નામે નહીં આપબળે તે આગળ વધતો હતો. આ પ્રગતિ લાંબી એટલા માટે ચાલી નહીં કે સ્ટુડીયો પરથી ઘરે આવતા રસ્તામાં કોમી રમખાણોનો તે ભોગ બની ગયો.
નાનો સુકેતુ સમજણો થયો ત્યાર પછી દાદાને પુછતો દાદા આ કોમી રમખાણો એટલે શું? એ શા માટે થાય છે? કોણ કરાવે છે અને શા માટે કરાવે છે ? પપ્પાને શું કામ મારી નાખ્યા ? આ દાજી કાકા મને જુએ છે અને કેમ રડે છે ? આટલો બાહોશ વકીલ પણ આ પ્રશ્નોને સહજ રીતે પૌત્રને સમજાવવામાં તકલીફ અનુભવતા. માધવી કહે, "કોમી રમખાણો એટલે ધર્મ ઝનુન. દાજીકાકા અને તારા પપ્પા સારા મિત્રો તેથી તને જુએ અને તેમને તારા પપ્પા યાદ આવે તેથી તે રડે."
આસુતોષ કહેતો કેસ ન્યાયની મદદ કરવા લઢાવો જોઇએ નહીં કે અસીલને જીતાડવા. આ વાત સિતાંશુભાઇને આસુતોષનાં મૃત્યુ પછી સતત સંભળાયા કરે. સફળતા અને લક્ષ્મીની રેલમ છેલે બે વાતો તેમને સમજાવી હતી કે શામ દામ દંડ કે ભેદની જે પણ રીત અપનાવવી પડે તે અપનાવીને પણ સફળ થાવ લક્ષ્મી હોય ત્યાં અર્ધી સફળતા આવે જ અને પછીની અર્ધી સફળતા સામે વાળાની નબળાઈને શોધી દેવાથી આવે.આ સફળતાનો નશો ઘણી વાર અંદરનો અવાજ સાંભળવા દેતો નથી. આ અવાજ જેમ સમય જાય તેમ ઘેરો થતો જાય છે અને ક્યારેક જ્યારે વળતા પાણી શરુ થાય ત્યારે તે અવાજ આંતરમન નબળું પાડી દઈ બુધ્ધીજન્ય ચમત્કારો ઘટાડે છે.
સિતાંશુભાઇને આસુતોષના અવાજમાં આતરમન સંભળાવા લાગ્યુ હતું… ખાસ તો રાજકરણી દાસ પટેલનો ફોન આવ્યો કે નજરુંનો કેસ તમે ના લેશો. તે નબળો કેસ છે. ત્યારે આંતરમનમાં દાસ પટેલનું રાજકરણ સમજાયું. નજરું એટલે દાજી હનીફની બહેન. આ દાજીના માણસોએ આસુતોષને મરાવ્યો હતો તેનું કારણ દાસ પટેલનાં કહેવાથી દાજીનાં બાપાને ગેંગવોરમાં ફસાવીને ફાંસીએ ચઢાવ્યો હતો. આસુતોષ છેલ્લી વખતે કહ્યું હતું કે દાજી તો હથીયાર છે ઘા તો દાસ પટેલનો છે તે ત્યારે સમજાયું નહોતું પણ હવે બધું સ્પષ્ટ હતું… વેરની આગ આગળ વધારવવી હોય તો દાસ પટેલને માનજો નહીંતર નજરુનો કેસ લઢી તેને સાસરીયાઓના ત્રાસમાંથી બચાવજો… આંતરમન આસુતોષનીજ ભાષા બોલતું હતું.
દાસ પટેલનાં વિસ્મય સાથે સિતાંશુ વસાવડાએ નજરુંનો કેસ લીધો. ચીવટતાપૂર્વક લઢ્યા અને નજરુંને સાસરીયાનાં ત્રાસમાંથી છૉડાવી ત્યારે હનીફ સિતંશુભાઇનાં પગ પકડીને ખૂબ જ રડ્યો. તેને છાનો રાખતા સિતંશુભાઇ બોલ્યા, ”કર્મનું ગણિત મને કદી સમજાયું નહોતું. પણ તેં જે કર્યુ તે વસ્તુ આગળ ચલાવવાનો કોઇ જ ફાયદો નહોતો અને ક્ષણીક આવેગો ભવ ભવાંતરોનાં વેર બાંધે તે કરતા આસુતોષ કહે છે તે કેટલાંક કામો આત્માની શુધ્ધી માટે પણ કરવા જોઇએ. કોમી રમખાણો મહદ અંશે વેરનો બદલો વાળવા કે પાર્ટીનાં તોફાની તત્વોને ડામવા કે લોક્ધ્યાન બીજે વાળવા થતા હોય છે. પણ તેનો ભોગ બનતા માણસોને ઘેર જઈને જોશો તો ખરી સજા તો નિર્દોષ અને રહી ગયેલા કુટુંબીજનો ભોગવે છે.
આસુતોષને ગુમાવીને હું આ સત્ય સમજ્યો. હવે સુકેતુનાં પ્રશ્નોને હું સચ્ચાઈથી સમજાવી શકીશ કે વેરની જ્વાળા પ્રેમથી શમે. તું પણ આસુતોષને મરાવીને ખુશ તો નહોતો જ અને તેથી તો સુકેતુને જોઇ તને આંસુ આવતા. માધ્વી સુકેતુ અને દિવ્યા મારા પૂણ્યની ટોકરી છે. નજરુંનો કેસ એ મારી ભૂલનું પ્રાયશ્ચિત છે.”
આસુતોષનો આત્મા પ્રસન્ન ચિત્તે સિતાંશુભાઇનાં પરિવર્તનને જોઇ રહ્યો હતો… સિતાંશુભાઇ સ્પષ્ટ રીતે સાંભળી રહ્યા હતા તે અવાજ ને, "જે ત્યાગે તે પામે અને જે પકડે તે પકડાઈ જાય ભવાટવીનાં જંગલમાં..."