વૃદ્ધાશ્રમ
વૃદ્ધાશ્રમ
છ મહિના પર જ નવનીતભાઈના પત્ની લીલાબેનનુ અવસાન થતાં નવનીતભાઈ એકલા પડ્યા. દીકરો નલીન અને વહુ લોપા ઓફિસ જાય પછી ઘરમાં એકલા ગમે નહીં મુંઝાયા કરે.નલીનને પોતાનો વેપાર એટલે બહુ ઓછો સમય ઘરે રહે.
વહુ લોપાથી પપ્પાજીનુ દુઃખ જોવાય નહીં.એણે પતિને વાત કરી,"મારી વાત સાંભળી તમે ગેરસમજ ન કરતા. પપ્પાજીની એકલતા જોવાતી નથી એટલે વિચાર આવ્યો. આપણી વાડીમાં જ સરસ વૃધ્ધાશ્રમ બનાવીએ. એવો અનોખો કે જ્યાં રહેતા વૃધ્ધો મજબૂરીથી નહીં , સ્વેચ્છાએ રહે.વૃધ્ધોને માટે એટલે વૃધ્ધાશ્રમ એવું નામ પણ નહીં.નામ પણ અલગ જ રાખીશું.
નલીને બે જ મહિનામાં લીલા તૈયાર કરાવી.બધી જ સગવડ સાથે.વાડીમાં રંગબેરંગી ફુલછોડ રોપ્યા. રંગબેરંગી પતંગિયા, પક્ષીઓ પણ વસાવ્યા.વાડી કિલ્લોલ કરવા લાગી. વીલાનું નામ આપ્યું,' અનોખી વીલા' એકલતા અનુભવતા વયસ્ક સ્ત્રી પુરુષો અંહી રહે. અનુકુળતાએ દીકરા-વહુ કંપની આપવા આવે,ફરવા લઇ જાય.પોતે ક્યાંક જવાના હોય, કે રજામાં પોતાના સંતાનોને દાદા-દાદી પાસે મૂકી જાય.એટલે પરિવારની હૂંફ પણ રહે સંબંધ સચવાય,એકલતા પણ ન લાગે.
પપ્પાના જન્મદિવસ સુધીમાં વીલા તૈયાર.એમાં રહેવા ઉત્સુક વયસ્ક નાગરિકોના નામ પણ આવી ગયા.
પપ્પાના જન્મદિવસે લોપાએ કહ્યું,"પપ્પાજી, આજે આપણે વાડીમાં જન્મદિવસ ઉજવીશું." કહી વાડીમાં લઈ ગયા. નવનીતભાઈ તો અનોખી વીલા જોઈ સ્તબ્ધ ! આ શું ? લોપાએ કહ્યું, "તમારા જન્મદિને તમારા માટે ભેટ. તમારી એકલતા જોવાતી નથી એટલે અમે આ વિચાર્યું. રખે માનતા કે અમે તમને અમારાથી અલગ કર્યા છે.એવું તો અમે સ્વપ્ને પણ ન વિચારીએ.તમારે બધાએ જ પોતાની ઇચ્છા થાય ત્યાં સુધી અહીં રહેવાનું. ઘરે આવવાની ઈચ્છા ત્યારે ઘરે. તમને કોઈ બંધન નહીં, મરજી મુજબ જિંદગી જીવો.ઘરે આવવાની ઈચ્છા હોય ત્યારે ઘરે આવી રહેવું સાથે રહીશું. અત્યાર સુધી આ બધાનો અલગ પરિવાર હતો. હવે આપણાં બધાનો એક પરિવાર 'અનોખી વીલાનો અનોખો પરિવાર.'
નવનીતભાઈ તો અનોખી વીલામાં પ્રવેશતા જ સામે પત્ની લીલાનો સ્નેહાળ, હસમુખા ચહેરા વાળો ફોટો જોઈ ગદ્ ગદ્ થઈ ગયા.
અનોખી વીલામાં ત્રણ તો નવનીતભાઈના મિત્રો જ નીકળ્યા. નવનીતભાઈ બોલી ઉઠ્યા,"લોપા જેવી વહુ સહુને મળજો. લીલાના ગયા પછી આ છ મહિનામાં મને ખૂબ સાચવ્યો છે. આજે પણ મારી એકલતા દૂર કરવા આટલું મોટું સાહસ કર્યું. ભવોભવ મને લોપા જ વહુ તરીકે મળે એવી પ્રાર્થના."
લોપાએ સૌ વડીલોને કહ્યું, રાત્રે, દિવસે તમારે ઘરે જવું હોય તો જઈ શકો,અંહી માત્ર મેનેજર ને જાણ કરવી."
"ટુંક સમયમાં આપને મનગમતી રમતોના સાધનો વસાવીશું. આપને કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો જાણ કરશો અમે વ્યવસ્થા કરીશું. અમારો એક જ ધ્યેય કે જિંદગીના અંતિમ પડાવે તમને કોઈ દુઃખ ન પહોંચે."
બધા જ ખુશ થઈ ગયા.લોપા અને નલીનને અઢળક આશીર્વાદ આપી સૌ સાથે સુરૂચિ ભોજનને ન્યાય આપવા ગયા.