વનપ્રવેશ
વનપ્રવેશ
જીવનની આ બહુમંજીલા ઇમારતના, પચાસમાં મઝલેથી દુનિયા ખૂબ જ સુંદર લાગે છે.
હજુ હમણાં સુધી નીચેથી જે ખૂબ મોટું(અગત્યનું) લાગતું હતું એ હવે અહીંથી ઘણું નાનું લાગે છે. જીવન એક કાચની પારદર્શક લિફ્ટ જેવું છે, ઘણા લોકો,વસ્તુઓ, ઈચ્છાઓ,લાગણીઓ, આવેગો સાથે જોડાય અને પોતાનો સમય થાય એટલે છૂટતા પણ જાય, એમાંથી ઘણું હજુ સુધી સાથે છે ને મારા અંત સુધી સાથે પણ રહેશે.છૂટ્યું એ પણ નિયતિ હતી ને સાથે જે છે એ પણ જરૂરી છે એવું મારું માનવું છે.
ઈશ્વરનો એટલો આભાર તો ચોક્કસ માનવો પડે કે, પૂજ્ય શ્રી ગુરુદેવના કૃપા પાત્ર એવા, મહારાણીદાસ દાદાના કુળમાં જન્મ આપ્યો, હવે આને ગયા ભવનાં કોઈ સારા કર્મોનું ફળ કહો કે પછી નસીબ, પણ શરૂઆત જ આટલી સારી હોય, એ અડધો જંગ તો ત્યાં જ જીતી ગયો કહેવાય. જે માં-બાપના ખોળે હું જન્મ્યો, એમનું ઋણ ક્યારેય પણ ન ચૂકવી શકાય, મારામાં આજે જે કઈ પણ સારું છે એ એમની દેન છે, સંસ્કાર, રીતભાત, વ્યવહાર કે જ્ઞાન એ મૂળભૂત રીતે એમની જ ધરોહર છે, હા સમયની સાથે મેં એમાં ફેરફાર કે ઉમેરો કર્યા હોઈ શકે.
ભાઈઓ/બહેનો એવા મળ્યા કે જેમને જીવનમાં આદર્શ બનાવી શકાય, પોતે ચાલીને કેડી કંડારતા શીખવ્યું, આજના સમયમાં જ્યાં સગા ભાઈ બહેનો વચ્ચે સંપ નથી ત્યાં, પિતરાઈઓ વચ્ચે આટલી આત્મીયતા રહેવી અને અમારા સંતાનો સુધી પણ આપોઆપ પહોંચવી એ કુટુંબના બધાજ નાના મોટા ભાઈ બહેનો થકી છે એવું હું દ્રઢપણે માનું છું.
મિત્રો વિશે...શું લખું ? કેટલું લખું ? જીવનના હર તબક્કે, મને મિત્રો મળ્યા અથવા તો મેં બનાવ્યા, મારા જીવનનું, મારુ સૌથી મોટું કોઈ એચિવમેન્ટ હું ગણતો હોઉં તો એ, એ છે કે મેં બધે મિત્ર જ બનાવ્યા છે, દુશ્મન કોઈને માન્યા જ નથી, હા, ક્યારેક કોઈ સાથે, કોઈ કારણસર, મતભેદ હોઈ શકે પણ મનભેદ કદી થયો નથી. ક્યારેય કોઈ જાણી કે અજાણી વ્યક્તિ માટે. "આને તો પાડી જ દેવો છે" એવો ભાવ ક્યારેય જન્મ્યો જ નથી, ઈર્ષ્યા કે અદેખાઈ ના ભાવ કોઈ દિવસ મારામાં જન્મ્યા જ નથી અને આ હું સંપૂર્ણ પ્રામાણિકતાથી કહું છું. કદાચ ક્યારેક કોઈ પ્રત્યે અહોભાવ થયો હોય, કોઈની સાથે જાતની સરખામણી કરી હોય એવું બન્યું છે, પણ એ હંમેશા, જાતનું મૂલ્યાંકન કરી, બહેતર બનાવવાની પ્રક્રિયાના ભાગ રૂપેજ, માત્ર સકારાત્મક જ. મારુ માનવું એવું છે કે મને અંગત જીવન તથા વ્યવસાયિક જીવનમાં ઘણાખરા સારા મિત્રો અને વ્યક્તિઓ જ મળ્યા છે, કોઈ એક કે બે નું નામ લઈ બાકીના ને અન્યાય ન કરી શકાય.
મને જીવનસાથી તરીકે એવી પત્ની મળી જે ઘણા ક્ષેત્રોમાં કે વિષયોમાં મારાથી સવાઈ છે ને ખરા અર્થમાં મારી પૂરક, મારુ અર્ધું અંગ છે. જ્યારે પણ જીવનમાં હું નબળો પડ્યો છું, મુંજાયો છું ત્યારે ઈશ્વર પાસે પછી પણ એની પાસે પહેલા ગયો છું, ખરેખર તો એ મારા કહ્યા પહેલા જ મારી પાસે આવી છે અને પોતે એક મજબૂત દીવાલ બનીને ઉભી છે ને મને મજબૂત બનાવ્યો છે. ક્રોધિત સ્વભાવની પાછળ છુપાયેલી એની લાગણી, કાચ જેવું વ્યક્તીવ, પ્રખર બુદ્ધિમત્તા,વિચારોની સ્વતંત્રતા,ખેલદિલી અને મોજીલો સ્વભાવ એ એની વિરાસત છે ને એની પાસેથી હું ઘણું શીખ્યો છું ને હજુ પણ શીખી રહ્યો છું.
મારા સંતાનોની હજી શરૂઆત છે એટલે વધુ તો શું લખું,પણ અત્યારે આ તબક્કે તો એવું લાગે છે કે એ જે છે એ બરોબર જ છે, આગળ એમના ભાગ્યમાં જે લખ્યું હશે તે મુજબ તેઓ આગળ વધશે, અમારા મા-બાપ ની જેમ અમે પણ જો એના માટે દીવાદાંડી બની શકીએ તો સારું છે, પણ એ એટલા સક્ષમ બને કે પોતાનો રસ્તો આપમેળે બનાવી શકે એ ઇચ્છનીય છે..
એવું નથી કે જીવનમાં જે ચાહ્યું એ બધું મળ્યું જ છે.. એ તો શક્ય જ નથી. ઘણું નથી મળ્યું, ઘણું મળીને છૂટી ગયું છે, દુઃખ પણ થયું છે, મનુષ્ય છું, નસીબમાં જે નથી એ પામવાના હવાતિયાં પણ ઘણા માર્યા છે, પણ હવે એનો કોઈ અફસોસ નથી, જે મળ્યું છે, જેટલું મળ્યું છે એ સરસ જ છે અને જે નથી મળ્યું એ મારૂ હતું જ નહીં એવું ધીરે ધીરે માનતા શીખી ગયો છું.
ઉપર જે કાંઈ લખ્યું એનો મતલબ એવો બિલકુલ નથી કે હવે થાકી કે હારી ગયો છું કે નિવૃત થયો છું, પણ હવે બાકી બચેલા વર્ષો વધારે ઉત્સાહથી, આનંદથી જવાબદારીઓ વગર ઉજવવાની આ તૈયારી છે, બાકી મારુ ગમતું કામ તો હું આખરી શ્વાસ સુધી કરતો જ રહીશ, ભલે સમય પ્રમાણે વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં જરૂરી ફેરફાર કરીશ પણ જીવનને વહેતુ રાખીશ, ક્યારેક મને ગમશે ત્યાં અટકીશ પણ, બંધિયાર તો નહીં જ થાવ.
ને છેલ્લે, નિપુર્ણ ભલે હું હોઉં કે ન હોઉં પણ મારી નજરે 'પૂર્ણ' તો હું છું જ, ને જે અપૂર્ણ રહ્યું છે મારા જીવનમાં, એ મને, જે છે એવું જ ગમવા માંડ્યું છે.
ને છેલ્લે મારી જ લખેલી એક કવિતા થોડા ફેરફાર સાથે..
જીવન એક મિત્ર જેવા ઈશ્વરની દ્રષ્ટિએ
ઉંમર તો એક સંખ્યા છે, તું એની ગરીમાં જાળવીને એને ભૂલી તો જો,
મુક તારી બધી ચિંતાઓને, મારા ભરોસે, તારા અસ્તીત્વ ને મારામાં ઓગાળી તો જો.
નીરસ નથી આ જિંદગી, બસ તું એને માણવાની ઈચ્છા તો કરી જો,
ખુલ્લા પગે દરિયાની રેતમાં, મારો હાથ પકડી, એકવાર ચાલી તો જો.
જાણું છું એટલું સહેલું નથી આ બધું, પણ તું પ્રયત્ન કરી તો જો,
વિચારોમા પણ, આલિંગનની એ ઉષ્મા તું અનુભવી તો જો.