વિદ્યાર્થીઓના વાત્સલ્યમૂર્તિ પ્રાધ્યાપક યોગેન્દ્ર વ્યાસ
વિદ્યાર્થીઓના વાત્સલ્યમૂર્તિ પ્રાધ્યાપક યોગેન્દ્ર વ્યાસ
વિદ્યાર્થીઓના વાત્સલ્યમૂર્તિ પ્રાધ્યાપક યોગેન્દ્ર વ્યાસ
ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસનું આ રીતે, સજોડે જતું રહેવું ખૂબ જ વસમુ છે. આજે, અમદાવાદમાં, આઝાદ સોસાયટી વિસ્તારમાં આવેલા સરસ્વતીચંદ્ર નગર સોસાયટીમાં, પોતાના જૂના ઘરે ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસ અને તેમનાં જીવનસાથીએ આત્મહત્યા કરી હોવાના સમાચાર કંપારી છૂટાવે તેવા છે. આ સમાચાર સાંભળીને લાખો લોકો સ્તબ્ધ થયા, ડઘાઈ ગયા.
ઓહ માય ગોડ.. શું વાત કરો છો.. ? હોય જ નહીં.. તેમના હજારો વિદ્યાર્થીઓ આ સમાચાર સાંભળીને શોકમાં ગરકાવ થઈ ગયા.
છઠ્ઠી ઓક્ટોબર તેમનો જન્મદિવસ. (જન્મ 06-10-1940). બરાબર એક મહિના પહેલાં એટલે કે છટ્ઠી સપ્ટેમ્બર, 2021, સોમવારે તેમણે ઓમ કોમ્યુનિકેશનના સંવાહક અને જાણીતા કવિ મનીષ પાઠકને કહ્યું હતું કે તમે મારા જન્મદિવસે શબ્દજ્યોતિનો જે કાર્યક્રમ યોજ્યો છે તે રદ કરજો. (પહેલાં તેમણે મનીષભાઈને આ કાર્યક્રમ કરવાની સંમિત આપી હતી.) યોગેન્દ્રભાઈએ કહ્યું હતું કે મારાં પત્ની બિમાર છે. પથારીવશ છે. તેઓ ઘરે પથારીમાં હોય અને હું મારો જન્મદિવસ ઉજવું એ યોગ્ય ના કહેવાય. તમે આ નિમિત્તે મારા જીવન-કવન વિશે આર્કાઈઝ કરવા માગો છો પણ એ શક્ય નથી. વળી, જુદી જુદી રીતે આ બધુ છુટક છુટક થયું પણ છે.
નિયત કાર્યક્રમ તેમણે આ રીતે કેન્સલ કરાવ્યો હતો. શું તેમને તેમની વિદાયનો અણસાર આવી ગયો હશે ? ગુજરાતી શબ્દવિશ્વમાં આ પહેલાં આત્મહત્યાની દુર્ઘટનાઓ થઈ છે, પણ જૈફ વયે કોઈ લેખક-પ્રોફેસર આ રીતે સજોડે, જૈફ વયે આત્મહત્યા કરી હોય તેવું પહેલી વાર બન્યું છે. સમગ્ર ગુજરાતમાં તેના શોક સાથેના પડઘા પડ્યા છે.
શું હતું તેનું કારણ ? પોલીસને તેમની જે આત્મહત્યા માટેની નોંધ મળી છે તે પ્રમાણે માંદગીને કારણે તેમણે આવું અંતિમ પગલું ભર્યું હતું. યોગેન્દ્રભાઈએ થોડા સમય પહેલાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું તો તેમનાં જીવનસાથી અંજનાબહેન કેન્સરની બિમારી સામે લડત આપતાં હતાં. યોગેન્દ્રભાઈને કિડનીની બિમારી હતા. બન્ને માંદગીથી કંટાળ્યાં હતાં. અંતિમનોંધ પ્રમાણે દવા ઉપરાંત તેમણે યોગનો સહારો લીધો હતો પણ તેનો ખાસ ફાયદો થયો નહોતો.
જેમના હાથ નીચે સેંકડો વિદ્યાર્થીઓ તૈયાર થયા હોય, દેશ-વિદેશમાં ઉચ્ચ સ્થાનો શોભાવતા હોય, તે પ્રતિષ્ઠિત પ્રોફેસર-રીડર આવું પગલું ભરે તે નવાઈ ભરેલી વાત લાગે છે. તેમણે અંતિમ શ્વાસ સરસ્વતીનગર સોસાયટીમાં, પોતાના જૂના ઘરે લીધા. તેમનો એકનો એક દીકરો ગ્રેસ્ટોલોજિસ્ટ છે. અમદાવાદમાં જ રહે છે. જે માહિતી મળી છે તે પ્રમાણે યોગેન્દ્રભાઈ અને અંજનાબહેન, તેમના દીકરાને ત્યાં, નવા બંગલામાં રહેવા ગયાં હતાં. જોકે થોડા થોડા અંતરે સરસ્વતીનગર સોસાયટીમાં બે-ત્રણ દિવસ રહેવા આવતાં હતાં. આ વખતે રહેવા આવ્યાં ત્યારે રહી જ પડ્યાં.
લંડનમાં, બેન્ક ઓફ બરોડાના ફરજનિષ્ઠ તેમાન વિદ્યાર્થી સિદ્ધાર્થ ઠક્કરે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેમનાં વિદ્યાર્થીની હેમા રાવલ તો બોલી શકતાં જ નહોતાં. તેઓ કહે છે અમારા જેવા અનેક વિદ્યાર્થીઓ માટે તેઓ બીજા મા હતા. તેઓ ખૂબ જ પ્રેમાળ હતા. વિદ્યાર્થીઓ માટે તેમની કેબિન સદાય ખુલ્લી રહેતી.
યોગેન્દ્રભાઈ વિદ્વાન હતા એટલા જ સંવેદનશીલ પણ હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. સને ૧૯૫૭માં તેમણે એસ.એસ.સી., સને ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., સને ૧૯૬૩માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. અને સને ૧૯૬૯માં તેમણે પીએચ.ડી. કર્યું હતું. સને ૧૯૬૩થી ૧૯૬૬ સુધી, ચાર વર્ષ તેઓ સુરેન્દ્રનગરસ્થિત એમ. એમ. શાહ મહિલા કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક અને આચાર્ય હતા. એ પછી તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદની સરસપુર આટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં તેઓ ૧૯૬૬થી ૧૯૬૮ સુધી પ્રાધ્યાપક હતા અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય હતા. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા અને ૧૯૮૦થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં તેઓ ભાષાવિજ્ઞાનના રીડર હતા. પછી તો તે ભવનના ડિરેકટર પણ થયા હતા.
તેઓ ગુજરાતી ભાષાના ભાષાશાસ્ત્રી હતી. ભાષાવિદ્ હતા. ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં તેમનું મોટું નામ અને કામ હતું. તેમણે ભાષા વિશે સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં હતાં. ‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ’ (૧૯૬૭), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૪), ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘ભાષા વિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ (૧૯૭૯), ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.
‘બે કિનારાની વચ્ચે’ (૧૯૮૨) અને ‘કૃષ્ણજન્મ’ (૧૯૮૩) એમની લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ (૧૯૭૬) અને ‘મનોરંજક બોધકથાઓ’ (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે.
પ્રાધ્યાપક યોગેન્દ્રભાઈ વ્યાસના એક વિદ્યાર્થીને આકસ્મિક રીતે પૈસાની જરૂર પડી.સાહેબના પત્ની અંજનાબહેને તેમના ખુદના કન્યાદાનમાં આવેલા પાંચ હજાર રૂપિયા તેને આપ્યા. સુરેન્દ્રનગરમાં રહેતાં એક પૂર્વ વિદ્યાર્થીને ઘર બાંધવા માટે પૈસાની જરૂર પડી. સાહેબે તેને ઘરની તિજોરીની ચાવી આપીને કહ્યું કે ‘લે, તારા હાથે આમાંથી મકાનમાં ખૂટે એટલા પૈસા લઈ લે અને જોજે થોડા વધારે લેજે. વળી જરૂર પડે ગામથી અમદાવાદ ભાડું ભરીને ન અવાય.’ ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં યોગેન્દ્રભાઈની કેબિનમાં ચાર વાગ્યે તે વિદ્યાર્થીઓ સાથે દરરોજ દાબડા ઉજાણી કરતા. તેમાં એક વખત ગામડાનો એક નવોસવો દલિત ગરીબ વિદ્યાર્થી તેના ડબ્બામાંની ‘બાફેલા બટાકાની લાલઘૂમ ભાજી અને રેશનના ક્વોટાના ઘઉંની બે પડવાળી રોટલી’ બાબતે ખૂબ મૂંઝારો અનુભવતો હતો.તે પામી ગયેલા સાહેબે તેની પાસેથી ટિફિન આંચકીને ‘મને તો આ સૂકી ભાજી બહુ ભાવશે’ એમ કહીને ‘ચામડા જેવી રોટલીના ટુકડામાં ભાજીનું ફોડવું ભરી મોંમાં મૂક્યુંઅને સુંદર રીતે ડોકું હલાવ્યું’ અને ‘ વિદ્યાર્થીને જાણે ભીતરથી અજવાળું ઉમટ્યું’
માંડ 22-23 વર્ષનાં યોગેન્દ્રભાઈ સુરેન્દ્રનગરની કૉલેજમાં આચાર્ય હતા. એ વખતે એ સૂટ-બૂટ પણ પહેરતાં. એક વખત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારી એક વિદ્યાર્થીનીને કાર્યક્રમ શરૂ થાય તેની થોડી જ મિનિટો પહેલાં સ્ટેજ પાછળ ઊલટી થઈ. સાફ કરવા કોઈ ઝડપથી આવી રહ્યું ન હતું. સૂટ-બૂટમાં સજ્જ આચાર્યએ જાતે સફાઈ કરી. સાહેબ પાસે પહેલી વખત ભણનારી એક વિદ્યાર્થિનીએ પહેલી પરીક્ષામાં પેપર ખૂબ સુંદર રીતે લખ્યું હતું. સાહેબે તેના ઘરે ફોન કરીને દીકરીના મા-માબાપને અભિનંદન આપ્યા એટલું જ નહીં તેના ઘરે મળવા પણ ગયા.પછી તો સંખ્યાબંધ વિદ્યાર્થીઓના કિસ્સામાંબન્યું તેમ તેમ વ્યાસ સાહેબ એ વિદ્યાર્થિનીના પરિવારના વડીલ બની ગયા.
એક વિદ્યાર્થીના હૃદયના ઑપરેશન વખતે સાહેબ તેમના તબીબ દીકરાને લઈને ઑપરેશન પહેલાં હૉસ્પિટલ પહોંચી ગયા હતા. એક વખત વખત એક વિદ્યર્થિનીને ત્યાં ગયા, તેનું નાનું બાળક છાનું જ ન રહે. તો વ્યાસ સાહેબ અને તેમના પત્ની આખો સમય દીકરાને રમાડવામાં જ ગૂંથાયા. સાહેબની કેબિનમાં એક ‘સત્યનારાયણની પોથી’ હતી. તેઓ પુરસ્કારના, બહારનાં વ્યાખ્યાનો, પુરસ્કાર વગેરેના પૈસા એમાં રાખતા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમાંથી મદદ કરતાં. આ પોથી વિશે તેમના સહુ વિદ્યાર્થીઓને ખબર રહેતી, અને એનો હિસાબ પણ વિદ્યાર્થીઓ જ રાખતા. ગરીબ વિસ્તારની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં તેમના એક પૂર્વ વિદ્યાર્થીએ લખેલા એક પોસ્ટકાર્ડ માત્રથી સાહેબે એ શાળાના બધા વિદ્યાર્થીઓને રાહતદરે પુસ્તક મળે તેવી વ્યવસ્થા ગોઠવી આપી હતી.
ઉપર્યુક્ત પ્રસંગો ‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ નામના પુસ્તકમાં વાંચવા મળે છે. વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક યોગેન્દ્રભાઈ વ્યાસના જીવનનું હાર્દ હતા, અને તેઓ વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓના જીવનનો અવિભાજ્ય હિસ્સો હતા.
આ વિરલ હકીકતની પ્રતીતિ ‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ પુસ્તકના પાને-પાને થાય છે. અહીં યોગેન્દ્રભાઈના 156 વિદ્યાર્થીઓએ તેમનું ઘડતર કરનાર આ અધ્યાપકના જીવનપ્રસંગો નિર્મળ ભાવે અકૃત્રિમ રીતે આલેખ્યા છે.
સાહેબના પૂર્વ વિદ્યાર્થિની ડૉ. નીલોત્પલા ગાંધીએ સંપાદન કરેલું આ પુસ્તક ‘ડૉ. યોગેન્દ્ર વ્યાસ વિદ્યાર્થી પરિવાર’ના નેજા હેઠળ પ્રકાશિત થયું છે. 2000 ના વર્ષમાં વ્યાસ સાહેબ ભાષાભવનમાંથી ઔપચારિક રીતે નિવૃત્ત થયા તે અવસર સાધીને, નિલોત્પલાબહેન અને સાથીઓએ કેવળ પોસ્ટકાર્ડ પર મોકલેલાં નિમંત્રણના હાર્દિક પ્રતિસાદ પરથી આ પુસ્તક તૈયાર થયું છે. તેમાં 1961થી માંડીને તેમના નિવૃત્તિ વય દરમિયાન યોગેન્દ્રભાઈ પાસે ભણી ચૂકેલા વિદ્યાર્થીવર્ગે સરને યાદ કર્યા છે.
વ્યાસ સાહેબની ભાષાવિજ્ઞાન અને સાહિત્ય વિષયોની સજ્જતા તેમ જ તેમની વર્ગ શિક્ષણમાં હથોટીનું વર્ણન તો અહીં હોય જ.
સાથે તેમની સંખ્યાબંધ છબિઓ આ પુસ્તકમાં અંકાયેલી છે : વિદ્યાર્થીઓ સાથે ઉજાણીમાં અંતકડીમાં ગીતો ગાનારા, લાડુના વાળનારા, ચોસઠ વિદ્યાર્થીઓને પોતાને ત્યાં જમાડનારા, કૉલેજના કાર્યક્રમમાં ‘કૉલેજના શશી કપૂર’ના ફિશપૉન્ડનો ‘મેરા નામ શશી કપૂર નહીં, રાજકપૂર રખો’ કહીને જવાબ વાળનારા, સિગરેટ પીતાં પીતાં કૉલેજની લૉબીમાં ફરનાર જી.એસ.ને લાફો મારી દેનાર, યુવક મહોત્સવ માટે વિદ્યાર્થીને રવિવારને દિવસે પોતાના ઘરે આખો દિવસ બોલાવીને રરિહર્સલ કરાવનાર, બહારગામના અને નોકરી કરતાં વિદ્યાર્થીઓ માટે વર્ષો સુધી રવિવારે સવારે ત્રણ-ચાર કલાકના વર્ગ લેનારા, વિદ્યાર્થીઓના ફૉર્મ પર ટ્રુ કૉપીની સહીઓ કરવામાં કે તેમણે લખેલાં જવાબો તપાસવામાં કલાકો વીતાવનારા વ્યાસ સાહેબ .....આ યાદી ઘણી લાંબી થઈ શકે.
‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ પુસ્તકના આવા શિક્ષક અત્યારે તો લગભગ દરેક બાબતે કાલ્પનિક, દંતકથા જેવા લાગે છે !
પ્રાધ્યાપક યોગેન્દ્ર વ્યાસ અને તેમનાં પત્ની અંજુબહેનની સ્મૃતિને આદરપૂર્વક વંદન !