થૂકવાનું બંધ કરાવનાર
થૂકવાનું બંધ કરાવનાર
ઢીંગલીઘરના સ્થાપક રામુદાદા. ઢીંગલીઘરમાં એક છોકરો દાખલ કરાયો. તેને ગમે ત્યાં થૂંકવાની ટેવ હતી. માતા-પિતાએ રામુદાદાને કહ્યું કે, આ છોકરાને એવી ટેવ છે. રામુદાદા કહે તમે બિલકુલ ચિંતા ના કરશો. રામુદાદાના હૃદયમાં નાનાં બાળકો માટે સાત મહાસાગર ઘૂઘવતા હતા. તેમણે બાળકને ખૂબ જ પ્રેમ કર્યો. પ્રેમભરી મૈત્રી કરી અને કહ્યું કે, બેટા તને જ્યારે થૂંકવાનું મન થાય ત્યારે તું મને કહેજે. તારે ફક્ત મારા ખોબામાં જ થૂંકવાનું. છોકરો કે બરાબર છે. છોકરો ભણતો હોય ત્યારે તેને થૂંકવાનું મન થાય એટલે રામુદાદાને જોરથી બૂમ મારે. રામુદાદા દોડતા દોડતા જઈને તેની સામે ખોબો ધરે. એ છોકરો થૂંકે. રામુદાદા હાથ ધોઈ લે. બીજી વાર છોકરો દોડતો દોડતો રામુદાદા પાસે જાય, મારે થૂંકવું છે. રામુદાદા લાખ કામ પડતાં મૂકીને પોતાનો ખોબો તેની સામે ધરે. છોકરો થૂંકીને પાછો ભણવા જતો રહે. આમ થોડા દિવસ ચાલ્યું.
પછી આગળ ના ચાલ્યું. કેમ ? છોકરાને સમજાયું કે, હું ખોટું કરી રહ્યો છું. એણે આ રીતે થૂંકવાનું બંધ કરી દીધું. તેની થૂંકવાની કુટેવ જ જતી રહી.