સંત રણમ મહર્ષિનો વૃક્ષપ્રેમ
સંત રણમ મહર્ષિનો વૃક્ષપ્રેમ
"મહર્ષિજી, હું ભારે મૂંઝવણમાં છું." દક્ષિણ ભારતના મહાન સંત રમણ મહર્ષિનાં ચરણોમાં નમતાં એક યુવાન સ્ત્રીએ કહ્યું.
"શું છે દીકરી ?" મહર્ષિએ પૂછ્યું.
"બાબા, મેં આપના પ્રત્યેની ભક્તિને કારણે આપની છબી પર એક લાખ બિલીપત્ર ચડાવવાની માનતા રાખી છે. હું આપને ભગવાનની જેમ પૂજું છું...અને ત્રણ મહિનામાં એ માનતા પૂરી કરવાનો નિર્ણય કર્યો છે..." એ સ્ત્રીએ કહ્યું.
"ઓહ !" બાબા વ્યથાપૂર્વક બોલી ઊઠ્યા, "પણ, મારી દીકરી, હું કાંઈ ભગવાન નથી !"
"બાબા ! મારી શ્રદ્ધાનો સવાલ છે. મારો મૂળ પ્રશ્ન એ છે કે હું જ્યાં રહું છું ત્યાં બિલીપત્ર મળતાં નથી. મેં પચાસ હજાર બિલીપત્રો તો ચઢાવી જ દીધાં છે. પરંતુ ઉનાળાના દિવસો હોવાથી બિલીવૃક્ષનાં પર્ણો પણ ખરી પડ્યાં છે." સ્ત્રીએ કહ્યું.
"આ બાબતે હું શું કરી શકું ? હું કંઈ ચમત્કારથી ઝાડ પર પાંદડાં તો ઉગાડી શકું નહીં." મહર્ષિએ જણાવ્યું.
"ના બાબા, હું આપની પાસે કોઈ ચમત્કાર કરાવવા માંગતી નથી. પણ, મારી માનતા પૂરી કરવાનો બીજો કોઈ માર્ગ બતાવો."
"હા, એનો માર્ગ છે તો ખરો ! બિલીપત્રને બદલે તું પચાસ હજાર વાર તારા શરીર પર ચીંટિયા ભર !"
"પરંતુ, એ તો ભારે પીડાકારક બનશે, બાબા !"
"બરાબર છે, વૃક્ષ પણ એવું જ અનુભવતું હશેને ? એના પ્રત્યે ક્રૂર ન બનો. ક્રૂરતા એ પાપ છે. કોઈ પણ બહાના હેઠળ એવું આચરણ ન કરવું જોઈએ." મહર્ષિએ ઉપદેશ્યું.