શિક્ષકની ખુમારી
શિક્ષકની ખુમારી
ગામમાં પાંચ વરસ શિક્ષક તરીકે અનસૂયાબહેન નોકરી કરીને લગ્ન કર્યા. તેમના પતિ પણ શિક્ષક તરીકે બીજા જિલ્લામાં નોકરી કરતા હતા. લગ્ન બાદ તેમના પતિ ક્યારેક ત્રણ -ચાર દિવસ સળંગ રજા આવે ત્યારે ઘરે આવતાં હતાં. આમ દિવસો અને વરસ બે પુરા થયાં. અનસૂયાબહેનને ત્યાં દીકરાનો જન્મ થયો. પ્રસુતીની રજાઓ છ માસ જેટલી પુરી કરીને અનસૂયાબહેન શાળાએ હાજર થયા. શાળાએ હાજર થયા પણ હવે મોટો પ્રશ્ન શાળાએ આવવું અને દીકરાને સાચવવાનો હતો.
અનસૂયાબહેનના સાસુ પોતાના ગામે ખેતી હોવાથી બધુ જ છોડીને છોકરાને સાચવવા આવી શકે તેમ ન હતા. આમ છતાં તેઓ ઘર, ખેતી, વગેરે બધુ જ છોડી દીકરાની વહુ અને પૌત્રને સાચવવા આવ્યા. જ્યારે ખેતીમાં કામ હોય ત્યારે અઠવાડિયું જઈને કામ પૂરું કરીને આવતા હતા. એકવાર ઘરે નાના દીકરાની સગાઈનો પ્રસંગ હોવાથી અનસૂયાબહેનના સાસુને ચાર દિવસ વધુ રોકાઈ જવું પડ્યું. આ બાજુ ચાર દિવસ અનસૂયાબહેનના છોકરાને સાચવવા માટે ઘરે કોઈ ન હોવાથી બહેન શાળાએ દીકરાને લાવતા અને પોતાના વર્ગની બહાર ઘોડિયામાં સુવડાવીને પોતે ભણાવવા લાગી જતા હતા. આમ ત્રણ દિવસ પુરા થયા હતા. કાગને બેસવું અને ડાળને ભાગવું એવે કાળે ઉપરી અધિકારી મોટા સાહેબ આવ્યા. વર્ગની બહાર એક ખૂણામાં ઘોડિયે બાળક જોઈ સાહેબ તો ઊકળી ઉઠ્યા "આ વળી કોણ અહીં છોકરા લાવે છે ?" બહેનને બોલાવી સાહેબે ખખડાવી કાઢ્યાં અને એક દિવસ પગાર કાપવાનું આચાર્યને કહી દીધું. અનસૂયાબહેને સાહેબને સાચી વાત કહી અને ચાર દિવસથી જ બાળકને લાવે છે તેવું પણ જણાવ્યું. આમ છતાં સાહેબ કહેવા લાગ્યા કે ' તમે ગામના છોકરાને ભણાવવા એવો છો કે તમારા છોકરાને સાચવવા ! ઘણી આજીજી કરવા છતાં ઉપરી અધિકારી સાહેબ ન માન્યા ત્યારે અનસૂયાબહેને ન છૂટકે સાહેબને કહી દીધું કે ' ગામ આખાના છોકરા સાચવીએ અને અમારા છોકરા ઠેબે ચડે તે કેમ ચાલે સાહેબ ! તમારે જે કરવું હોય તે કરી લેજો સાહેબ ! એમ કહી અનસૂયાબહેન ખુમારીથી ઓફિસ બહાર નીકળી ગયા.