પરીક્ષાનો ડર ? છૂમંતર 2
પરીક્ષાનો ડર ? છૂમંતર 2
મન કહે, ''વાત-વાતમાં બધો જાદુ આવી જશે. જો તમે સમયની કિંમત સમજશો, તો તમારા ઉપર જાદુની અસર થશે જ અને તમને આવડી પણ જશે. જે કામનો સમય, તે કામમાં ધ્યાન આપો ! ઘરે ગૃહકાર્ય કરવાનું હોય, ત્યારે તે કરો. દરેક પ્રવૃત્તિનો સમય નક્કી કરો. પછી જુવો, કેવો જાદુ થાય છે !'' ત્યાં વળી ટણકટોળીએ ઉધામો મચાવ્યો :
જય : ''સમયના આયોજનમાં જાદુ શું ? તારે જાદુ કરવો હોય તો કરને !''
પલ : ''એ ભાઈઓ ! આ મનિયો ગપ્પા મારે છે. જાદુ-બાદુ કાંઈ નથી કરવાનો ને આપણને રમવા પણ નથી દેવાનો !''
રવ : ''આ તો 'ગરજે ગધેડાને બાપ' કહેવા જેવું કરે છે.''
મન આગળ બોલ્યો, ''પણ તમે મારી વાત તો પૂરી સાંભળતા જ નથી. જો જાદુ શીખવો જ હોય, તો 'મનને માળવે રાખશો' તો નહિ ચાલે. આપણા મન ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. મનથી નક્કી કરી લીધા પછી તે છોડવાનું નહિ. આપણે પેલા અર્જુનની જેમ બધું મન દઈને શીખવાનું. પછી શીખવામાં મન ચોર્યે ન ચાલે. 'મન મજબૂત, તો આળસ દૂર ભાગે.' તો મારું કહેવાનું એ છે કે, આપણે ભણવાનું હોય, તો આપણું મન ભણવામાં જ રાખવાનું. આવું કરવાથી યાદ જલદી રહેશે. પાછળથી મહેનત ઓછી કરવી પડશે.''
હવે યશ, જય ને લય એક સાથે તાડૂકયા, ''એ ભાઈ ! અમારે તારું ભાષણ નથી સાંભળવું ! કયાં નેતાની જેમ ભાષણ ઝીકવા બેસી ગયો છે ? અમારે કાંઈ નેતા નથી થવું !''
પલ : ''આ મનિયો ભાષણની મોકાણ કરવા બેઠો છે.''
રવ : ''ચાલો દોસ્તો ! આપણે કાંઈ જાદુ નથી જોવો. આપણે આપણી રમતો રમીએ. આતો આપણો ખોટો સમય બગાડે છે.''
(ક્રમશ:)