STORYMIRROR

Swati Silhar

Inspirational Tragedy

2  

Swati Silhar

Inspirational Tragedy

નીરસ જિંદગીની ભેટ

નીરસ જિંદગીની ભેટ

3 mins
14.2K


“શું લાગે છે, મેડમ? આ વખતે શું છે?” સોનોગ્રાફીના ટેબલ પર સૂતેલી જાનકીએ પૂછ્યું...

ચેમ્બરમાં પ્રવેશતા ડોક્ટરે જણાવ્યું અભિનંદન તમે એક બાળકીને ગર્ભમાં પાળી રહ્યાં છો.

આ સાંભળી ઘરે આવવા જાનકીના પગ ઊપડ્યાજ નહીં. પાછા વળતાં એને થયું કે આ રસ્તો ઘર સુધી પહોંચે જ નહીં અને વિચારો ને વિચારોમાં એ ઘરે આવી પહોંચી. અંદર પ્રવેશતાની સાથેજ આતુરતાથી રાહ જોતા ઘરના લોકોને જાનકીએ જણાવ્યું કે ‘મારે બાળકી રહી છે’ ત્યાંતો જાણે વાવાજોડું ફુંકાયું. દરેકના ગુસ્સાનો પાર ન રહ્યો, સાસુ, સસરાને એનો વર રાજેશ તેની પર વીજળીની જેમ ત્રાટકી પડ્યા... તું અમને ક્યારેય છોકરો નહિ આપી શકે, તું અમારા કુળને ડૂબાળવા જ આવી છે, છોકરીઓ જણી જણીને સાપના ભારા બાંધ અમારે માથે, અમારે વારસદાર જોઈએ છે,  ક્રોધના આવેશમાં એ ગર્ભવતી હોવા છતાંય એના સાસુ અને વરે એને મારીજુડી... જાનકી બિચારી દર્દની મારી એના રૂમના ખૂણામાં રોતી કકળતી એની બે વર્ષની દીકરી રાધાને જોઈ રહી...

જાનકી સ્વભાવે ખૂબજ નમ્ર, પ્રેમાળ અને દેખાવે ખૂબજ રૂપાળી ગ્રેજયુએટ થયેલી છોકરી, વીસ વર્ષની ઉંમરે એના લગ્ન એવા ઘરમાં થયા જ્યાં માત્ર છોકરાઓની જ અપેક્ષા અને ઘેલછા હતી. લગ્નના એક વર્ષ બાદ એને એક બાળકીને જન્મ આપ્યો રાધાને... દીકરીના જન્મના સમાચાર સાંભળતાજ ઘરના સર્વેએ રો-કકળ કરી મુકી જન્મનું નહી પણ મુત્યુ થયું હોય એવું  વાતાવરણ થઈ ગયું. રાધાને પણ જાનકી સીવાય કોઈ પ્રેમથી બોલાવતું નહી. જાનકી પાસે દીકરાની જ  માંગણી કરાતી.

રાધા બે વર્ષની થતા જાનકીને ફરીથી સારા દિવસો રહ્યા. પરિવાર તરફથી  જાનકીને દબાણ પૂર્વક જાતિપરિક્ષણ માટે સોનોગ્રાફી કરાવતા જાણ્યું કે આ વખતે પણ બાળકી જ છે ને ઘરના તરફથી તેને ગર્ભપાત કરાવવા જોર-જબરદસ્તીથી દવાખાને લઈ જવામાં આવી. ડોક્ટરે જાનકીની હાલત તપાસતા જણાવ્યું કે તેનું ગર્ભાશય તેમજ જાનકીની હાલત નબળી હોવાથી ગર્ભપાત કરવામાં આવશે તો જાનકીના જીવને પણ જોખમ છે તેમજ કદાચ તે ફરીથી ક્યારેય મા પણ ન બની શકે છતાંય તેના ઘરનાએ જીદ પકડી રાખી પણ ડોક્ટરે તેમને વિચારીને નિર્ણય કરવા સલાહ આપતા તેમને શાંત પાડી ઘરે મોકલ્યા. સાસુના મેણાં-ટોણાંને વાતોથી ભડકીને તેના પતિએ તેને શબ્દોના પ્રહાર સાથે–સાથે તેને પટ્ટે ને પટ્ટે માર માર્યો...

આ વાતની જાણ થતા જાનકીના મા-બાપ તેના ઘરે દોડી આવ્યા ને હાથ જોડી કરગરી આખાયે ઘરનાને વિનંતી કરી કે રાધા અને જાનકીને અમે અમારે ઘેર લઈ જઈએ છીયે અને સુવાવડ સુધી ત્યાંજ રાખીશું અને બીજી બાળકી જન્મે એવી તરત અમે રાખી લઈશું અને એને ક્યારેય જાણ પણ નહીં થવા દઈએ કે એ તમારા ઘરની દીકરી છે પણ મહેરબાની કરી તમે મારી જીવતી દીકરીને મોતના પગથીયે ના મોકલશો.

જાનકી અને રાધા બેઉ તેના મા-બાપના ઘરે ચાલ્યા ગયા ત્યારથી સુવાવડ સુધીના સાડા પાંચ મહિનામાં ના કોઈ એમને મળવા આવ્યું ના કોઈએ એના સમાચાર લેવાની તસ્દી દાખવી. જાનકી સાવ નીરસ જીવ્યા કરતી કોઈ ઉમંગ કે આશા બચ્યા નહોતા જીવનમાં. પણ કોણ જાણે ઈશ્વરે શું ધાર્યું હશે... નવ મહિના પુરા થતા જાનકી એ  દીકરાને જન્મ આપ્યો. જેના સમાચાર તેના સાસરીયાઓને મળતાં જ બધા દોડીને આવ્યા એકવાર તેની માફી પણ માંગી. દીકરા અને જાનકી માટે અઢળક ભેટો લાવ્યા ને વાજતે-ગાજતે રાજી-ખુશીથી જાનકીને ભરે ખોળે પોતાના ઘરે લઈ ગયા. 

એ વળતી વેળાએ જાનકીના મુખ પર એજ મૌન અને ઉદાસી હતી માત્ર એનું મન બોલી રહ્યું હતું: “ચમકદાર વસ્ત્રો અને સોના-હીરાના આવરણ નીચે તે ભેટ આપેલા એ ચામડાના લાલ ચટક નિશાનો તમે ઢાંકી દીધા પણ મારી નજર સામે એ હંમેશા ઉપસી આવે છે. હવે કદાચ તમે મારી માટે સોનાની લંકા પણ લઈ આવો તોય તમારા આપેલા એ નિશાનો અને એની પીડા જીવનભર મારાથી કેમ કરી ભુલાશે?”

“વસંતમાં રહેવું ફાવશે નહી જરાયે,

પાનખરની મને આદત પડી છે...

પ્રત્યેક શ્વાસે મોતને જીવી છું,

હે વિધાતા,

તે કેવી મારી આ કિસ્મત ઘડી છે...?”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational