નીલાબેન સોનાણીનો બાળપ્રેમ
નીલાબેન સોનાણીનો બાળપ્રેમ
લાવને મારી પેન ..... હૃદયને સ્પર્શી જાય તેવા શબ્દોથી મઢેલી કાવ્ય પંક્તિઓ ટાંકીને કોઈ જુદા જ સંદર્ભે મારે વાત કરવી છે. શાળામાં બાળકોને હોંશે-હોંશે આવવું ગમે તેવા પ્રયોગો કેટલાંક શિક્ષકમિત્રો કરતા હોય છે. બાળકાવ્ય અથવા બાળગીતો બાળકોને વધુ પ્રિય લાગે છે તેથી વિદ્વાનો તેનો ઉપયોગ વિશેષ કરતા હોય છે. નીલા ઘનશ્યામનગરની પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી નોકરી કરતી હતી તેમને બાળકો અતિ પ્રિય હતા. શાળાના કેટલાંક બાળકો નીલાને વેકેશન અને જાહેર રજાના દિવસોમાં ઘરે મળવા આવતા હતા. વર્ગખંડમાં નીલા શિક્ષણના અવનવા પ્રયોગો કરતી રહેતી હતી. વિદ્યાર્થીઓને તેમાં ખૂબ મજા પડતી હતી. શાળાનો સમય થતાં જ વિદ્યાર્થીઓ રસ્તા પર નીલાની રાહ જોઈ ઊભા રહી જતાં હતા. એટલું જ નહિ તેને રસ્તામાંથી આંતરી જુદા-જુદા વર્ગખંડના વિદ્યાર્થીઓ પોતાના વર્ગમાં ખેંચી જવા પડાપડી કરતા હતા. નીલા સંગીત શિક્ષક હતી. પરંતુ વિદ્યાર્થીઓને તે દરેક વિષય ભણાવતી હતી. અંગ્રેજી તેનો મુખ્ય વિષય હતો. જાણીતા શિક્ષણવિદ ગીજુભાઈ બધેકાની જેમ નીલા વર્ગને સ્વર્ગ બનાવવા બાળવાર્તા અને ગીત સંગીતનો સહારો લેતી હતી. એક દિવસ નીલાએ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના વર્ગમાં જઈ "લાવને મારી પેન આપી દેને બેન, મારે તો નિશાળે જાઉં, લાવને મારી પેન” ગીત ઉપાડ્યું. ગીતના શબ્દો સાંભળી બધા બાળકો ભાવવિભોર થઈ ગયાં. શાળા છુટવાનો બેલ પડવા છતાં કોઈ બાળક વર્ગની બહાર નીકળવા તૈયાર ન હતું. રોજબરોજના વિષયોની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન, ભૂગોળ, પર્યાવરણ, ગુજરાતી અથવા નાગરિકશાસ્ત્ર જેવા વિષયોની છણાવટ બાળકોને ખૂબ ગમતી હતી. ૫ એપ્રિલ ૨૦૨૧ ને સોમવારના રોજ શેરી શિક્ષણ અંતર્ગત નીલાએ થોડા બાળકોને ભણાવ્યા હતા. “લાવને મારી પેન” બાળગીત પણ ગવડાવ્યું હતુ. તેની ખુશીનો પાર ન રહ્યો. શાળા છૂટી ગઈ, પણ વર્ગખંડનો નશો ઉતર્યો નહિ. ઘરે આવીને ઘરના કામ કરતી જાય અને બાળકાવ્યો ગાતી જાય. સાંજના હું ઑફિસેથી ઘરે આવ્યો. નીલાના મુખે એક પછી એક બાળગીતો સાંભળવા મળતા હતા. તેમાનું એક ગીત મારા કર્ણ પ્રદેશને ઓળંગી દિલને સ્પર્શી ગયું.
“લાવને મારી પેન, આપી દેને બેન, મારેતો નિશાળે જાવું લાવને મારી પેન.મારે પાટીમાં એકડા લખવા છે, સાથે કક્કો બારખડી ઘુંટવા છે,મારે ચોપડીના શબ્દો લખવા છે. લાવને મારી...મારે પાટીમાં ચિત્ર દોરવા, મેના પોપટને ચકલી દોરવા, મારે લેશનમાં પાઠ પણ લખવા છે. લાવને મારી પેન, આપી દેને બેન, મારેતો નિશાળે જાવું લાવને મારી પેન...મારે વહેલા નિશાળે જાવું છે, મારે ગીત નવુ-નવુ ગાઉં છે, મારે રેતીમાં થનગન નાચવું છે. લાવને મારી પેન આપી દેને બેન, મારેતો નિશાળે જાવું લાવને મારી પેન...”ગીતના શબ્દો બાળકના ભાવો રજૂ કરે છે.
બીજા શબ્દમાં કહુ તો કવિ બાળક બની નિશાળે જવાની તાલાવેલી વ્યક્ત કરતા કહે છે. હે મારી વ્હાલી બેન તું મારી પેન આપી દે. કારણ મારે નિશાળે જાવું છે. ત્યાં જઈ એકડા, કક્કો, બારખડી અને ચોપડીના શબ્દો લખવા છે. વળી મેના પોપટ અને ચકલીના ચિત્રો દોરવા છે. તું મારી પેન આપી દે કારણ મારે વહેલા નિશાળે જાવું છે. ત્યાં જઈ મારે તો નવું ગીત પણ ગાવું છે. ભણવાનું પતાવી રેતીમાં થનગન નાચવું પણ છે. હવે આપણે આ કાવ્યના સંવાદને આધ્યાત્મિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર કૄપાથી જીવ શીવ બનવા મૃત્યુલોકની યાત્રા કરે છે. પરંતુ સમય જતા તે મોહ માયામાં ફસાઈ જાય છે. જીવને દેહનું બંધન જિંદગીની તોતિંગ દીવાલો વચ્ચે જકડી દે છે. જીવને સંસારનો વૈભવ કોઠે પડી જાય છે. જેમ રખડપટ્ટીનો મોહ બાળકને શાળામાં ભણવા જતા રોકે છે. તેમ સંસારનો વૈભવ જીવને મુક્તિના માર્ગે આગળ વધવા દેતો નથી. આવા સમયે જીવ ગાઈ ઊઠે છે. લાવને મારી પેન આપી દેને બેન, મારેતો નિશાળે જાવું લાવને મારી પેન. જીવન જિંદગીરૂપી બહેનને કહે છે. શીવ બનવાની મારી જે મહેચ્છા હતી. તે મને પાછી આપી દે. કારણકે પરમધામરૂપી પાટીમાં મારે મુક્તિના એકડા લખવા છે. તેમાં પરમાત્માને પામવા ભક્તિનો કક્કો બારખડી ઘુંટવા છે. મારે લખચોરાશીના ફેરા ટાળવા છે. મોહ માયાને મૂળમાંથી કાઢવા છે. એટલું જ નહિ હૈયામાં ભક્તિના બીજ નીત નાખવા છે અને મારે કર્મના બંધનો તોડવા છે. કારણકે મારે વહેલા વૈકુંઠમાં જાવું છે. જિંદગી તારી માયાજાળમાંથી મુક્ત થઈ. સંસારનું સઘળુ સુખ ભૂલી જાવું છે. મારે ઈશ્વરના ચરણે જઈ, ઇન્દ્રનાં દરબારમાં થનગન-થનગન નાચવું છે. ૫ એપ્રીલના રોજ નીલાના કંઠે રજૂ થયેલા કાવ્યના આધ્યાત્મિક ભાવો વાંચી મને સમજાયું છે. મારે વહેલા નિશાળે જાવું છે. અર્થાત્ સંસારનો વૈભવ છોડી મારે ખૂબ વહેલા પ્રભુના પરમધામમાં પહોંચી જાવું છે. જિંદગી સાથે સંવાદ કરતા તે આગળ કહે છે. તું મારી મહેચ્છા મને પાછી આપી દે. કારણકે મારે ઇન્દ્રનાં દરબારમાં જઈ થનગન-થનગન નાચવું છે. પાંચમી એપ્રીલના રોજ હું નીલાના ભાવો વાંચી શક્યો ન હતો. પણ આજે તે સુવાચ્ય લાગે છે. અંતરના ઓરડે શબ્દનો શણગાર શૃંગાર વેરી રહ્યો છે. તેમાંથી નીતરતા ભાવો કરુણરસ ઉત્પન્ન કરે છે. જેના કારણે આંખોમાં ઉર્મિનું ઘોડાપુર ઉમટ્યું છે. માયલો બેચેન થઈ ગાય રહ્યો છે. “લાવને મારી પેન આપી દેને બેન...”