નગરવધૂની વ્યાખ્યા
નગરવધૂની વ્યાખ્યા
નગરવધૂ શબ્દ સાંભળતાં આપણાં મનમાં કેટલાં બધા પ્રશ્નો ઉદ્ભવે છે. નગરવધૂ એટલે કોણ ? નગરવધૂ કોણે કહેવાય ? પ્રાચીન સમયમાં કેટલાંક વિસ્તારોમાં એવી પ્રથા હતી કે રૂપમાન અને ગુણવાન સ્ત્રીને નગરની વધૂ તરીકેની પસંદગી કરવામાં આવતી, આ નગરવધૂ એટલે કે સમગ્ર નગરની પત્ની. તે સમયમાં નગરવધૂનું સ્થાન રાણી અને દેવી તરીકેનું હતું, એ માટે નગરવધૂ બનવા માટે આકરી પરીક્ષાઓ થતી હતી અને લોકો તેનાં નૃત્ય-સંગીતનો આનંદ ઉઠાવતાં. આ નગરવધૂનાં નૃત્ય માટે ભારે મૂલ્ય પણ ચૂકવવામાં આવતું હતું.
આપણે સૌએ આમ્રપાલીનું નામ તો સાંભળ્યું જ હશે. તે તેની સુંદરતા માટે જાણીતી હતી. પરંતુ આમ્રપાલીની સુંદરતા જ તેનાં માટે શ્રાપ બની ગઈ હતી, તેનાં કારણે જ તે નગરવધૂ તરીકે વિખ્યાત થઈ હતી. ઈતિહાસમાં એવું નોંધાયેલું છે કે આમ્રપાલીને તેની સુંદરતાને કારણે જ નગરવધૂ તરીકે જીવન વિતાવવું પડ્યું હતું. એમ કહેવાય છે કે આમ્રપાલીનાં માતા-પિતા કોણ હતાં એ કોઈ જાણતું નથી. આમ્રપાલીનું જેમને ભરણપોષણ કર્યું તેમને તે એક આંબાનાં ઝાડ નીચેથી મળી હતી તેથી તેનું નામ આમ્રપાલી રાખ્યું હતું.
જેમ-જેમ આમ્રપાલી યુવાન થતી ગઈ તેમ-તેમ તેની સુંદરતા ચરમસીમાએ પહોંચી ગઈ. આમ્રપાલીનું આકર્ષણ વૈશાલી નગરીનાં પુરૂષોમાં એટલું બધું હતું કે દરેક પુરૂષ તેને જ પરણવાં ઈચ્છતો હતો. આ જોઈ યુવકોનાં માતા-પિતા ચિંતામાં પડી ગયા કે જો આમ્રપાલી કોઈ એક પુરૂષને પરણે તો બીજાં તમામ પુરૂષો તેનાં દુશ્મન બની જશે અને અનર્થ સર્જાશે. આ વાતનું સમાધાન મેળવવા માટે વૈશાલીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં હાજર તમામ પુરૂષો આમ્રપાલીને પરણવાં ઉત્સુક હતાં. સભાનાં અંતે સૌ નગરવાસીઓએ મળીને એવો નિર્ણય કર્યો કે આમ્રપાલી વૈશાલીમાં નગરવધૂ એટલે કે વૈશ્યા બનીને રહેશે જેથી દરેક પુરૂષ તેનો સાથ માણી શકે.
આજનાં સંદર્ભમાં જોઈએ તો સ્ત્રીઓ પર થતાં અત્યાચારો અને બળાત્કારો. આ હેવાનો બાળકીથી લઈને વૃદ્ધા સુધીને છોડતાં નથી. આ જોઈને લાગતું નથી કે નગરવધૂની વ્યાખ્યા વધુ કંઈ બદલાઈ હોય. ઉપરાંત દીકરીઓને પ્રેમનાં માયાજળમાં ફસાવી મુંબઈ જેવા મહાનગરમાં લઈ જઈને વેંચી નાખવામાં આવે છે, ત્યારે સ્ત્રી નગરવધૂ બનીને જ રહી જાય છે.
