મા
મા
‘મા’ શબ્દ બોલતાં જ હૈયામાં ઉમળકા થઇ આવે, જાણે કે આનંદની હેલીઓ છલકાય. કાગળ-કલમ પણ ઓછા પડે એટલી બધી સ્નેહની સરગમ વહી રહી હોય એમાંથી સંક્ષિપ્તમાં ‘મા’ વિષેની થોડી વાતમાં એટલું જરૂર કહી શકાય કે દુનિયાનો એક નિઃસ્વાર્થ પ્રેમ શું હોય છે એ ‘મા’ શીખવી શકે. કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ વગર સદંતર આશિષ વરસાવનાર ‘માવડી’ને સતસત વંદન કરી એનાં ચરણોને સ્પર્શ કરી પાવન થવાનો અવસર જ્યારે-જ્યારે મળે ત્યારે કૃતાર્થ થઇ જવાય.
આમ તો પુરાણોમાં કહ્યું છે કે, જાગતાં વ્હેંત જ ‘માતા-પિતા’ના આશીર્વાદ લેવા જ જોઈએ અને આપણે અંતરમનથી સદાય એમને પૂજનીય ગણીએ જ છીએ. જીવનમાં આનંદે, સંપીને જીવન જીવવા ઇચ્છતાં દરેક વ્યક્તિએ આ વાત ન વિસરવી કે મા’ જેટલી જ પ્રેમાળ ‘સાસુમા’ હોય છે. જયારે મન થાય ત્યારે ‘હું તમને પ્રેમ કરું છું અને માન-સમ્માન હ્દયથી આપું છું.’ આવું ‘સાસુમા’ ને પણ કહી શકાય.
જીવનના દરેક પડાવમાં તમને અડીખમ ઉભા રહેતાં શીખવવા ‘સાસુમા’ હંમેશા પ્રયત્ન કરે છે. અમુક સમયે એમના અનુભવ અને શિખામણ જીવનપર્યંત આપણને એક જડીબુટીની જેમ મદદરૂપ થાય છે. પ્રેમ-સ્નેહ એ લેવળ-દેવળનો વિષય જ નથી. આપણે પ્રેમ કરીએ પછી એમાં અપેક્ષાઓના અંકુશ ફૂટે ત્યાં જ હ્દય ઘવાવાની બીક હોય છે.
‘મા’ તમારા આશીર્વાદ સદાય અમારા પર વરસે એ જ અંતરમનથી ઈચ્છા અને તમને પળેપળે યાદ કરતા, આપણા પ્રત્યક્ષ મુલાકાતની રાહ જોતાં અમે.’